લક્ષ્ય
લક્ષ્ય
માનવ જીવન વિવિધ રંગો અને કલ્પનાઓથી ભરેલું છે. પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવું એ તેનો મુખ્ય હેતુ હોય છે. પોતાના લક્ષ્યને હાંસલ કરવામાં બેદરકારી દાખવનાર લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. વળી, સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે - " પ્રયોજન વિના મૂઢઅપિ ન પ્રવરતતે !" અર્થાત્ હેતુ વગર મૂર્ખ માણસ પણ કાર્ય કરતો નથી.
વ્યક્તિ વ્યક્તિએ જગતમાં કંઈક મેળવવવાની, પ્રાપ્ત કરવાની તમન્ના ભિન્ન ભિન્ન હોય છે. એક વખત પોતાનું ધ્યેય, લક્ષ્ય નક્કી કર્યા બાદ તે તેને મેળવવા સાધનાના માર્ગે ચાલી નીકળે છે. કેટલાક લક્ષ્ય સરળ અને સહજ રીતે પ્રાપ્ત થતાં હોય છે તો કેટલાક લક્ષ્ય લાંબાગાળાના અને કઠોર પરિશ્રમ માંગી લે તેવા હોય છે.
સામાન્ય રીતે માનવી સ્વભાવ પ્રમાણે બીજાએ આ મેળવ્યું એટલે મારે પણ જોઈએ. પરંતુ દરેકની ક્ષમતા અને કાર્ય પધ્ધતિ અલગ અલગ હોય છે. જેના પરિણામે ક્યારેક તે કાર્ય વચ્ચેથી મૂકી દઈ બીજું કાર્ય હાથમાં લઈ લે છે. આવી પરિસ્થિતિમાં બાવાના બેય બગડે જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
સાધના એ તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન સંકલ્પ છે. ભારતીય ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યતિઓ પ્રાચીન સમયમાં કઠોર તપ,સાધના કરી દેવોને પ્રસન્ન કરી વિવિધ વિદ્યા પ્રાપ્ત કર્યાનાં કેટલાય ઉદાહરણો ઈતિહાસમાં જોવા મળે છે.દ્રઢ વિશ્વાસ, ધીરજ અને ખંતપૂર્વક મહેનત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. ભક્ત પ્રહલાદ અને નચિકેતા તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ગુજરાતી સાહિત્યમાં કહેવાયું છે કે " મન હોય તો માળવે જવાય". કઠોર સાધનાનો કોઈ વિકલ્પ નથી.
આજની આધુનિક પેઢી સાધનાને બદલે ભાગ્યના સહારે બેસી રહી શેખચલ્લીની જેમ મધુર સ્વપ્ન સેવતો હોય છે. સ્વાવલંબી બનવાને બદલે પરાવલંબી બનતો જાય છે. જીવનમાં આવતી પ્રત્યેક નિરાશા, આળસને ખંખેરી સતત સંઘર્ષ કરનાર વ્યક્તિ જ ચળકે છે. એટલેજ કહેવાયું છે કે " કટાઈ જવા કરતાં ઘસાઈ જવું સારું". સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે - " ઋતે ન પરિશ્રમાત દેવા !" અર્થાત્ મહેનત નથી કરતા તેમને દેવો પણ સહાય કરતાં નથી.
જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે. કુદરતનું રસપાન કરવું,સંગીત,પંખીઓનો કલરવ,શિક્ષણની ભૂખ,સમાજ સેવા વગેરે સાધના છે.જ્યાં સુધી જીવનમાં અનુભૂતિ ન થાય સુધી સાધના નકામી કે અધૂરી છે.
જીવન સંસારમાં મુસાફરી પૂર્ણ કરી દરેક જીવાત્માં પરમતત્વને પામવાને સાધના કરવા પ્રેરે છે.