કળયુગના ઓછાયા -૧૭
કળયુગના ઓછાયા -૧૭


અક્ષત ફોન કરીને રૂહીની બાજુમાં આવીને બેસી જાય છે. થોડીવારમાં રૂહી આંખો ખોલે છે.અત્યારે તે નોર્મલ લાગી રહી છે.
તે અક્ષતને પુછે છે, હું કેમ અહીયા સુતી હતી ??
અક્ષત : તને ચક્કર આવી ગયા હતા એટલે....
દસેક મિનિટમા જ આસ્થા ત્યાં આવી પહોચે છે...તે અક્ષત પાસે આવે છે. રૂહી અત્યારે નોર્મલ બેઠી હોય છે. પણ તે થોડી ચિંતિત હોય છે.
રૂહી : મને કેમ આટલી વીકનેસ લાગી રહી છે ?? જાણે મારામાં કોઈ શક્તિ જ નથી.
અક્ષતે કદાચ આસ્થા સાથે જ ફોન પર વાત કરીને બધુ ટુંકાણમાં સમજાવી દીધું હોવાથી તેને કોઈ બહું નવાઈ ના લાગી.
આસ્થા : સ્વરા થોડી વારમાં જ અહીયા પહોચે છે એટલે પછી અમે રૂહીને ઓટોમા લઈ જઈએ હોસ્ટેલ.
રૂહી : આસ્થા તને કેમ ખબર પડી કે હું અહીંયા છું ?
અક્ષત : કોઈ મને તારી સાથે આમ જુએ તો ખરાબ લાગે અને હું તને હોસ્ટેલ મુકવા પણ ના આવી શકું છેક એટલે મે તેને ફોન કરીને અહીં આવવા કહ્યું.
સાડા ચાર વાગી ગયા છે.....સ્વરા પણ ત્યાં આવી પહોચી છે....રૂહી ત્યાં વોશરૂમ જાય છે...એ દરમિયાન અક્ષત જલ્દીથી આસ્થા અને સ્વરાને બધી સાચી હકીકત જણાવે છે.....
અક્ષત : તમે લોકો જો હેલ્પ કરશો તો જ બધાને હવે આ બધામાંથી છુટકારો મળશે...કારણ કે હું હોસ્ટેલમાં તો આવીને રૂહી કે તમને કોઈને મદદ નહી કરી શકું...
આસ્થા : હા... ચોક્કસ..આ બધાની જ તફલીક છે....રૂહીની એકની નથી...એ તો બધાનુ જ વિચારે છે એટલે એને હોસ્ટેલ પણ ના છોડી.
અક્ષત તેમને બંનેને બધી વસ્તુંઓ અને ક્યારે કયા સંજોગોમાં કેવી રીતે શું કરવું એ શ્યામના કહેવા મુજબ એ બધુ જ સમજાવી દે છે અને એમાની કેટલીક વસ્તુંઓ એની પાસે રાખી લે છે.
અને એટલામાં રૂહી બહાર આવે છે અને કહે છે, અક્ષત મારે પેલા દાદાના ત્યાં જવાનું છે...પોણા પાંચ થઈ ગયા છે.
અક્ષત : હું તમારી સાથે આવું છું. હોસ્ટેલના રસ્તા પર જ છે તો હું તેમને મળી આવુ છું...તારી તબિયત સારી નથી તો તું હોસ્ટેલ જઈને આરામ કર. સ્વરા અને આસ્થા સાથે હોસ્ટેલ જા...
રૂહી : ના તું જઈશ તો એ તને ઓળખશે નહી...અને કદાચ કંઈ કહેશે નહી...હું આવુ છું તારી સાથે પછી હું હોસ્ટેલ જતી રહીશ....
અક્ષતના બહું સમજાવવા છતાં રૂહી ન માની એટલે રૂહી અને અક્ષત ત્યાં દાદાને ત્યાં જવા તૈયાર થાય છે...અને સ્વરા અને આસ્થા ને અક્ષત સારી રીતે સમજાવી દીધા.
અક્ષત અને રૂહી લીલાબેનના ઘરે આવે છે.
લીલાબેન : હા આવો.
અક્ષતને જોઈને થોડા અચકાય છે...
રૂહી : આન્ટી ચિંતા ન કરો. એ મારી તબિયત થોડી સારી નહોતી એટલે સાથે આવ્યો છે.એની સામે દાદાજી ને પુછવામાં કંઈ જ વાધો નથી.
અક્ષત ને લીલાબેન ને જોઈને થોડુ અતડુ લાગ્યું એટલે એણે સામેથી કહ્યું, રૂહીને ઈશારો કરીને હું બહાર બેસુ છું. એમ કહીને બહાર નીકળી જાય છે.
હવે લીલાબેન સામેથી રૂહીને અંદર રૂમમાં લઈ જાય છે.
ઉમરને કારણે થોડી આંખો નબળી થઈ હોવાથી એ પુછે છે, લીલા બેટા આ કોણ છે ?
લીલાબેન : દાદાજી એ હોસ્ટેલમાં રહે છે અહી જ્ઞાતિસમાજમા...એમણે તમારી પાસેથી કંઈ જાણવુ છે.
દાદાજી : પણ હવે મારે એ જગ્યા સાથે કોઈ સંબંધ નથી.મારે કોઈ સાથે કંઈ વાત કરવી નથી.બેટા તું અહીથી જતી રહે.
લીલાબેન રૂહીને કહે છે, દાદાજી ને આ બાબતે કદાચ કંઈ વાત કરવી નથી.
રૂહી ઈશારામાં કહે છે કે એકવાર હું વાત કરી જોઉ...... લીલાબેન કંઈ કામ યાદ આવતા બહાર રૂમમાં જતા રહે છે.
રૂહી : દાદા મહેરબાની કરીને તમે અમારી હોસ્ટેલ વિશે કંઈ જાણતા હોય તો કહોને...કોઈના જીવન મરણ નો સવાલ છે....
દાદાજી : કોણ ?
રૂહી : હું પોતે....આ હોસ્ટેલ ચાલુ થયા પછીનુ તો આ ત્રીજુ વર્ષ છે...પણ એ પહેલાં ત્યાં શું હતું એ તમે મને કહેશો.
દાદાજી:હું મને ખબર છે એટલી જાણકારી આપુ છું તને એમાંથી જે કામમાં આવે તે.
લગભગ વીસેક વર્ષ પહેલાં,
હું લગભગ ચાલીસેક વર્ષનો હતો ત્યારે બેટા ત્યાં એક ઉજ્જડ જગ્યા હતી પછી એક બહું મોટા બિલ્ડરે ત્યાં મોટી એક પ્રાઈવેટ છોકરીઓની હોસ્ટેલ બનાવવા માટે વિચાર્યું....આમ પણ આણંદ અને વિદ્યાનગરમા ઢગલો કોલેજ અને સ્કુલો હોવાથી હોસ્ટેલ ગમે તેટલી હોય ખાલી ન રહે
અને એમ પણ એ સમયમાં છોકરીઓ માટે હોસ્ટેલો થોડી ઓછી હતી....બસ પછી તો બિલ્ડરે ફટાફટ કામ શરુ કરાવીને દોઢેક વર્ષમા તો નવુ વર્ષ શરુ થવાનુ હોય એ સમયે જૂન જુલાઈમા હોસ્ટેલ શરૂ કરી દીધી.....
એ સમયે હોસ્ટેલ ની ફીસ કદાચ બાકીની હોસ્ટેલોની સરખામણી એ થોડી વધારે હતી છતાં તેમાં અધતન સગવડ સુવિધાઓ અને આકર્ષક હોવાથી ફટાફટ તેમાં એડમિશન થવા લાગ્યા.....ત્રણ માળની એ હોસ્ટેલ જોતજોતામાં કોલેજની છોકરીઓથી ભરાઈ ગઈ.
બસ પછી તો વર્ષો વીતતા ગયા. જુના જાય ને નવી છોકરીઓ આવે. વિધાનગરની એ પહેલાં નંબરની કોલેજ કહેવાવા લાગી..... !!....અને બેટા હું હોસ્ટેલ શરૂ થયાના પહેલાં જ વર્ષથી ઘરથી નજીક હોવાથી એ હોસ્ટેલમાં વોચમેન તરીકે નોકરી કરવા લાગ્યો હતો. અમે બે જણા હતા એટલે પંદર દિવસની દિવસ અને રાતની બે શિફ્ટ વારાફરતી કરતાં.
પણ એક વર્ષ એવું આવ્યું કે કોઈને કલ્પના નહોતી કે આવુ પણ થશે ?
રૂહી : શું થયું હતું એવું દાદાજી?
દાદાજી : એક છોકરીની હત્યા કે આત્મહત્યા.
આવું કેમ કહ્યું દાદાજી એ ? એ કોણ હશે ? શું થયું હશે એના સાથે ? રૂહીને તેનો જવાબ મળી જશે એટલી આસાનીથી ? શું દાદાજી ને બધી જ હકીકત ખબર હશે ?
ક્રમશઃ