કેળવણી : અંતરનું અજવાળું
કેળવણી : અંતરનું અજવાળું
ગામડા ગામમાં થોડા બાળમિત્રો સાથે બાળરમતો રમતા-રમતા મારું ઘડતર થઈ રહ્યું હતું. અંધાપો હવે મારા કોઠે પડી ગયો હતો. શ્રવણ, સ્પર્શ, ગંધ અને સ્વાદ ઇન્દ્રિયના માધ્યમથી મારા જ્ઞાનમાં વૄદ્ધિ થઈ રહી હતી. ૧૯૭૮માં ફંડ રેજિંગ માટે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના બાળકોનો એક કાર્યક્રમ અમારા તરસમિયા ગામમાં યોજાયો હતો. બાળમિત્રો દ્વારા મને તેના સમાચાર જાણવા મળ્યા. હું તે કાર્યક્રમ માણવા પહોંચી ગયો. શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભૂત કાર્યક્રમ રજૂ કર્યો.
રાત્રીના ૯ કલાકે શરુ થયેલો કાર્યક્રમ મારા જીવનનો પ્રકાશ બનીને આવ્યો. બીજા દિવસથી જ હું શાળામાં ભણવા પહોંચી ગયો. પ્રાથમિક શિક્ષણ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પુરુ કર્યું, પણ આગળ ભણવાની સગવડ ન હોવાથી માધ્યમિક શિક્ષણ મેળવવાના હેતુથી ભાવનગરની વિશુધાનંદ વિદ્યા મંદિરમાં દાખલ થયો. ત્યારબાદ બ્રેઇલ પુસ્તકોના અભાવે ધોરણ ૧૦,૧૧ અને ૧૨નો અભ્યાસ પુર્ણ કરવા હું અંધજન મંડળ અમદાવાદ ગયો હતો. મને ત્યાં જીવનલક્ષી શિક્ષણ મેળવવાની સોનેરી તક સાંપડી. કોલેજનું સ્નાતક સુધીનું શિક્ષણ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાપ્ત કર્યું છે.
પ્રજ્ઞાની પાંખે શાળાના વિકાસની નવી દિશાઓ ખોલી આપી છે. આ પાંખ મારું હવાઈ જહાજ બની ગઈ છે. અમારી આખી ટીમ તેમાં બેસી મુસાફરી કરતી રહે છે. તેની ઊર્જા અથવા પેટ્રોલ આપ સૌનો પ્રેમ, લાગણી, સ્નેહ, ઉદારતા, ત્યાગ અને સમર્પણ છે. પ્રજ્ઞાની પાંખ અંતરની આંખનું અજવાળું છે.
