જીવન સાધના
જીવન સાધના
તારા જ છે તમામ, ન ફૂલોના પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવી તું !
જીગર, મિકેનિકલ એન્જિનિયર થયો હતો. ખૂબ સારા પગારની નોકરી મળી ગઈ હતી. અને ટૂંક સમયમાં એના લગ્ન શાલિની સાથે થઈ ગયા. લગ્નના થોડા સમય પછી શાલિની એ માતૃત્વ ધારણ કર્યું. તેમની ખુશીનો પાર નહતો. રોજ આવનાર બાળકના મીઠા સપના જોતા. ક્યારેક એ માટે મીઠો ઝગડો પણ થાતો. કિસ્મતને એમની ખુશી મંજૂર ના થઈ. એક અકસ્માતમાં શાલિની અને બાળકનું મૃત્યુ થઇ ગયું. જીગર આ બેવડો આઘાત સહન ના કરી શકયો. તે પથ્થરની મૂરત સમાન બની ગયો. બધા સાથે ના સંબંધોથી અલિપ્ત થઈ ગયો.
તેની આ દશાથી બધા અસહાય હતા.
અચાનક એક દિવસ તેમના ઘરે વસંતપુરાથી દેવેન્દ્રભાઇની મિત્ર, વડોદરા કામ માટે આવ્યા હતા. તેમને મળવા આવ્યા. જીગરની સ્થિતિ વિષે જાણ્યું. આ માટે દેવેન્દ્રભાઇ ને કહયું, 'દોસ્ત, તારો પુત્ર એ મારા પુત્ર સમાન છે ! જો તું રજા આપે તો, હું એને મારા ગામ લઇ જવા માંગુ છું !' મિત્ર ની વાત સાંભળી તેમની આંખો છલકાઇ આવી.
તે ખુદ તેમની ગાડીમાં કરશનભાઇ અને જીગરને વસંતપુરા મૂકવા આવ્યા. પાછા ફરતી વખતે નિ:સહાય આંખે જીગરને જોઈ રહ્યા. મા-પત્ની વગરના દીકરાની હાલત પર તે દ્વવી ઉઠયા. ત્યારે કરશનભાઇ એ મૂક સાંત્વના આપી. મનમાં એક આશા સાથે ત્યાથી રવાના થયા.
વસંતપુરા ગામ આમ તો ખૂબ નાનું. પણ, કુદરતી સૌંદર્ય ચારે બાજુ વેરાયેલુ. એમાં પણ નદી કિનારે આવેલું શિવજી મંદિર, તેની બાજુમાં આવેલી 'જીવન સાધના' બાળકો માટેનો આશ્રમ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં અનાથ બાળકોની સાર સંભાળ, તેમને પ્રાથમિક શિક્ષણ અપાય છે. સમાજમાં રહેવાને કાબિલ બનાવાય છે. આજુબાજુના ગામના બાળકો પણ, શિક્ષણ માટે અહીં જ આવે છે. આ આશ્રમનો વહીવટ કરશનભાઇ સંભાળે છે. ઉપરાંત થોડી જડીબુટ્ટીઓનું જ્ઞાન હોવાથી આ દવાથી લોકોના રોગો પણ મટાડે છે. આ સેવાયજ્ઞમાં તેમની પુત્રી, સારિકા મદદ કરે છે. સારિકા ખુદ બી.એ. ગ્રેજ્યુએટ થયેલી યુવતી છે. પપ્પાના સેવાકાયૅ ને પોતાના જીવનનું ધ્યેય માની લીધું છે.
આવા સેવાભાવી પિતા-પુત્રીને ત્યાં જીગર મહેમાન બની આવ્યો. જીગર સાથે થયેલ ઘટનાની વાત સાંભળી, તે પણ દ્વવી ઉઠી. પપ્પાના મિત્રના પુત્રની તે ખૂબ કાળજી રાખવા લાગી.
ગામનું કુદરતી વાતાવરણ, દેશી ઔષધિઓ, પવિત્ર વાતાવરણ આ બધાની અસર જીગરના સ્વાસ્થ્ય પર થવા લાગી. જીગર ધીરેધીરે સારો થવા લાગ્યો. સારિકાની હૂંફ અને સુશ્રુષાથી તેનું દદૅ ભૂલવા લાગ્યો.
સારિકા સાંજે મંદિર સુધી ચાલવા લઇ જવા લાગી. તે સંપૂર્ણપણે સારો થઈ જતાં આ શુભ સમાચાર તેમના મિત્રને ફોનથી જણાવ્યા. આ સમાચારથી દેવેન્દ્રભાઇ ઝુમી ઉઠયા. ગાડી લઇને વડોદરાથી વસંતપુરા આવવા નીકળ્યા.
મિત્રના ઘરે આવ્યા પછી પોતાના પુત્રને એકદમ સ્વસ્થ થયેલો જોઇ તે મિત્રને ભેટીને રડી પડયા, આભાર માનતા બોલ્યા,"દોસ્ત તે મારા ઘડપણના હાથ ને સજીવન કર્યો છે ! તારો ઉપકાર માની તને અપમાનિત નહી કરું ! હા, હું તારો જન્મજનમનો ઋણી બની ગયો છું !
ના જાણે કયારે આ ઋણ ઉતારી શકીશ.' એમ બોલતા એ ગદ્દગદિત થઈ ઉઠયા.
થોડા દિવસ ત્યાં રોકાયા પછી, જીગરને લઈ વડોદરા જવાની વાત કરી. આ સાંભળીને સારિકા-જીગર થોડા અસ્વસ્થ થયા. આ બંન્ને મિત્રોથી અજાણ્યું ના રહયું. બંન્ને વડીલો સમજી ગયા. જીગરે ચૂપકી તોડતા પોતાનો નિર્ણય તેના પપ્પાને જણાવતા કહ્યું, તે અહીં જ રહીને 'જીવન-સાધના 'આશ્રમ માટે સેવાયજ્ઞ કરવા માંગે છે, અને તે બોલતાં અટકી ગયો ! સારિકા અપલક નજરે તેની સામે જોઈ રહી. સારિકાની આંખોમાં એ પ્રશ્રનાથૅ વાંચીને હિંમત કરી બોલ્યો. 'કાકા, હું અને સારિકા એક થવા માંગીએ છીએ. આપ બંને વડીલોને વાંધો ના હોય તો ?'
તેનો સવાલ સાંભળી બંન્ને વડીલો હસી પડ્યા અને ખુશી ખુશી તેમના 'બંધન' ને સંમતિ આપી દીધી. ત્યારે દૂર રેડિયા પર વાગતું ગીત
'તુમ બેસહારા હો તો કિસી કા સહારા બનો, તુમકો અપને આપ હી સહારા મીલ જાયેગ !
જીગર ને તેના જીવનમાં યથૉથ થતું લાગ્યું.' આંખમાં અમી તેને દુનિયા ગમી' આ કહેવત યથાર્થ કરી બતાવી આ યુવાન યુગલે !
જીગર-સારિકા એ આખું જીવન એ નાના પુષ્પોને સમૅપિત કર્યું. જેના કોઇ નામ નહતા. એ કુદરતના ખીલેલા અણમોલ પુષ્પો છે ! 'જીવનસાધના' તેમના જીવનમાં એક સૌરભ બની ને મહેકતી રહી !