ઈશ્વર પર આસ્થા
ઈશ્વર પર આસ્થા
નિધિ અને નેન્સા બંને બહેનો. નિધિ મોટી હતી જ્યારે નેન્સા નાનકડી. મમ્મી પપ્પા અને બંને બહેનોનો હર્યોભર્યો નાનકડો પરિવાર ખૂબ ખુશ હતો. સૌને ઈશ્વર પર ખૂબ જ આસ્થા. સવારે ઘરના તમામ સભ્યો સ્નાન અને પુજાપાઠ કરીને પછી જ અન્ય કામ પર લાગે.
"હું તો આરતી તારી ગાઉં ઓ મોહન મુરલીધર"
સવારે આરતી અને પુજાપાઠ પછી નિધિના મમ્મી નેહલબેન કહે," આપણે કેટલા સમયથી બહાર નથી ગયા ચાલોને આજે માતાજીના દર્શન કરી આવીએ. સાંજ પડે પાછા આવી જઈશું. નિધિ અને નેન્સા દિવસમાં તો રમ્યા કરશે." બધાએ આ વાતમાં હા ની મંજુરી આપી.
નેહલબેન અને કરશનભાઈ બસમાં જવા નીકળ્યા. મુખમાં સતત રામનું સ્મરણ. પણ કોને ખબર હતી કે વિધાતાને કંઈક અલગ જ મંજુર હતું. રસ્તામાં જ બસનો અકસ્માત થયો ને બંનેનું પ્રાણપંખેરું ઉડી ગયું. અહીં નેન્સા અને નિધિ મા-બાપ વિહોણા થઈ ગયા. પરંતુ નાનપણથી જ નિધિ અને નેન્સાના માનસ પર ઈશ્વરની ભરપૂર આસ્થા. જેણે જ્ન્મ આપ્યો છે એ જ કંઈક માર્ગ પણ બતાવશે. બંનેના મુખ પર દુઃખ હતું પરંતુ નિરાશાના ભાવ ન હતા.
ત્યાં જ બંનેના મામા મામી આવ્યા. કે જેઓ વર્ષોથી સંતાનની રાહમાં હતા. તેમના ઘેર પારણિયુ જ બંધાયું ન હતું. આજે નેન્સા અને નિધિના રુપમાં તેમને સંતાન મળી ગયા. નિધિ અને નેન્સાને મામા મામીના રુપે માતા પિતાનો પ્રેમ.
"હોય જો દિલમાં આસ્થા, મળે ઈશ્વરની તરફથી રાસ્તાં"