ઈચ્છા
ઈચ્છા
જય ગુજરાત ના એક નાનકડા પણ ખુબજ સુંદર ગામમાં રહેતો હતો. જયના કુટુંબમાં દાદા -દાદી, બા-બાપુજી તથા ભાઈ અને બહેનો હતાં. દાદા પ્રત્યે જય ને ખુબજ લગાવ હતો. દાદાજી, આમતો 70 વર્ષ ના હોવા છતાં પણ એકદમ ફિટ હતા તથા ખૂબ જ સક્રિય રહેતા હતા. ખુબજ વહેલા સવારે ઉઠવાનું અને ગામની નદીમાં નહાવા જવાનું અને ત્યારપછી આખો દિવસ, ઘરની બાજુમાં રહેલ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારીની જેમ સેવા કરવાની જેમકે સંજવારી કાઢવાની, ભગવાનની મૂર્તિનો અભિષેક કરવાનો, તાજા ફૂલની માળા ચડાવવાની, દીવા કરવાના, ત્રણ ટીમે આરતી કરી પ્રસાદી ધરવાની અને દરરોજ રાત્રે કથા -કીર્તન કરવાના. ગામ ના લોકો દાદાજી ને ખુબ જ માન આપે. જય દાદાજી ને કામ માં મદદ કરે. તેને દાદાજીની જીવન શૈલી પસંદ પાડવા લાગી અને ધીરે ધીરે તેને એવું લાગવા મંડ્યું કે મોટો થઈ દાદાજી જેવો બનીશ અને દાદાજી ની જેમ સેવા કરીશ.
જય ની બા પણ ખુબજ મહેનતી. મોટા કુટુંબ હોવાને લીધે વહેલી સવારથી માંડી ને મોડી રાત સુધી, જયારે બધા સુવે ત્યાં સુધી, બધાયની જરૂરિયાતોનું ધ્યાન રાખે. તે સિવાય, ગામની મહિલાઓ પણ નાની મોટી સામાજિક બાબતોમાં સલાહ લેવા જયની બા પાસે આવે. તે બાબત માં બા ની સૂઝબૂઝ પણ સારી અને મહિલાઓની દરેક સમસ્યાનું સમાધાન બા પાસે મળી જાય. તેઓનો બા પર ખુબજ ભરોસો અને બા નો દરેક નિર્ણય કે સલાહ ખુશીથી સ્વીકારી લે. બા ના લાડલા જય ને થતું કે મોટો થઈ બા ની જેમ લોકોની સમસ્યા ઉકેલવામાં મદદ કરીશ.
જય નાં બાપુજી ની ગામ માં એક દુકાન હતી, જે માં એ ટુ ઝેડ સુધીનું બધુજ મળે. કરિયાણું, શાકભાજી, કેરોસીન, પેટ્રોલ કે દવા. વન ઈન ઓલ શોપ. આજના શોપિંગ મોલ નું નાનું સ્વરૂપ. જય ના ગામ અને આસપાસ ના ગામ માટે ની ભરોસા ની દુકાન. તે સિવાય, તેની પાસે ગામ માં ખેતી લાયક ઉપજાઉ જમીન પણ ખરી. આ બધું જ કામ, કર્મચારીઓ ના ભરોસા પર ચાલે. જયના બાપુજી નું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેના ગામ માં તેમજ આસપાસ ના ગામ માં ખુબજ માન. તેથી, લોકો નો ઘસારો પણ ખુબજ. કોઈ ને સમસ્યા માંટે સલાહ જોતી હોઈ, તો કોઈ ને નાણાકીય મદદ. રાજકારણી નેતા ઓ ને બાપુજી ની મદદ થી મત ની જરૂર હોઈ, તો કોઈ ને બાપુજી ને તેના કાર્યક્રમ માં મુખ્ય મહેમાન બનાવવા માટે આવ્યા હોઈ. દુકાન, ખેતી તથા સામાજિક જવાબદારી નો વ્યવહાર ખુબજ મોટો હોવાથી બાપુજી ખુબજ વ્યસ્ત રહેતાં હતા. છતાં પણ દરેક નું કાર્ય હસીખુશી થી કરે. ઘર પર આવેલ કોઈ વ્યક્તિ, ચા પાણી વગર કે નિરાશ થઈને પાછો ન જાય તેવો તેઓનો અભિગમ. જય ને બાપુજી નું આવો વટ પડે તેવું જીવન ગમ્યું. તેને આ બધું જોઈને અચરજ થતું. એક વાર જયે પૂછી પણ લીધું કે બાપુજી તમને કંટાળો નથી આવતો ? તો બાપુજી એ બતાવ્યું કે લોકો ની સેવા કરવાથી એને ખુબજ આનંદ મળે છે અને લાગેલ થાક પણ ઉતારી જાય છે. લોકોને મદદ કરવાની સારા માણસોની ફરજ છે.
જય પોતાના ભાઈ બહેનો ને પણ જોતો હતો. તેઓ પણ હંમેશા, બીજા લોકો ને મદદ કરતા રહેતા. સાથે ભણતા સહપાઠી ને અભ્યાસ માં મદદ હોઈ કે અભ્યાસની સામાગ્રીની મદદ માટેની. તેઓ હંમેશા તત્પર રહેતા.
જય ની ઉપર ઘરના સભ્યો ના સકારાત્મક વ્યવહાર ની ખુબ જ સારી અસર પડી હતી. તેને, આધુનિક બાળકની જેમ પૈસા ભેગા કરવાની જગ્યાએ, લોકો ની મદદ કરવામાં વધારે આનંદ મહેસૂસ થતો હતો. જય ના મગજ માં એક ઈચ્છા ઘુસી ગઈ હતી કે લોકોની મદદ કરવી તે સારી વસ્તુ છે અને તે મોટો થઈ ને લોકો ને મદદ કરશે. પણ, તે ને સમજ માં નોતું આવતું કે સૌથી સારી અને મોટી મદદ કઈ ? કોઈ કહેતું કે મોટો દાક્તર બની મફત માં લોકો ની સારવાર કરવી મોટું પુણ્યનું કામ છે. તો કોઈ વધારે પૈસા કમાઈ ને દરીબ ને દાન કરવું તે સારું કામ છે તેવું સમજાવતા. આગળ જતા પૂરતા માર્ગ દર્શન ના અભાવ માં, જય દાક્તર તો ન બની શક્યો, પણ એન્જીનીયર બની ગયો. જય પર હજી પણ લોકો ને મદદરૂપ થવાનું ભૂત સવાર હતું. શહેરમાં કોલેજકાળ દરમિયાન સમજ માં આવ્યું કે કલેક્ટર બની જઈયે તો લોકો તથા દેશ માટે ઘણું યોગદાન કરી શકાશે. તેથી આઈ.એ.એસ. ની તૈયારી શરુ કરી. તેમાં તેણે શરૂયાત ની પરીક્ષ્યાઓ માં સફળતા મળી પણ ખરી, પણ આઈ.એ.એસ ન બની શક્યો. ત્યાં સુધી માં જય માં પરિપક્વતા આવી હતી અને તેટલું તો સમજાય ગયું હતું કે જે રીતે દાદા દાદી, બા,બાપુજી અને ભાઈ બહેનો ને લોકોની મદદ કરવામાં કોઈ પોસ્ટ, ડિસિપ્લિન ની જરૂર નહોતી પડતી, તેમ સેવા કરવી જ હોઈ તો, કોઈ જ પ્રકાર નું બંધન કે સીમા ન રોકી શકે. અત્યારે સેવાની જરૂરીયાત, માત્ર માણસો ને જ નહિ, પર્યાવરણ, નદી-સરોવર, ઝાડ, પશુ-પક્ષી જેવી સંસાર ની દરેક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ને પણ છે.
આપણા ધર્મ માં પણ સેવા ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. ભારત તથા વિશ્વનાં ઘણા દેશ ના લોકો પણ सेवा परमो धर्मः સેવા પરમો ધર્મની વિચારધારા પર ચાલે છે. ઘણા બધા લોકો નો અનુભવ છે કે જે નિઃસ્વાર્થ ભાવથી સર્વ પ્રત્યે સેવાભાવ કે સહાનુભૂતિ રાખે છે, તે હંમેશા જીવન માં ખુશીનો અનુભવ કરે છે.
જય ની જેમ, જે બાળક ને નાનપણથી જ કે જયારે તેના જીવન માં સંસ્કારોનું સિંચન થતું હોય, ત્યારે જો પોતાના પરિવાર કે સમાજ દ્વારા સેવા ભાવનું મહત્વ સમજાય જાય, તે બાળક સમાજ માટે આદર્શ બની શકે. તેમાં દેશ, સમાજ, બાળક અને તેના પરિવાર નું હિત છે.
જય આજે, સલામતી અધિકારી ના રૂપે, તેની નાનપણથી લોકો ની સેવા કરવા ની દઢ્ઢ થયેલ ઈચ્છાને આનંદથી નિભાવે છે. તે અકસ્માત રોકવામાં યોગદાન આપી જાનમાલ ની હાનિ અટકાવે છે. વૃક્ષારોપણ ને પ્રોત્સાહન આપી ને પર્યાવરણ તથા પૃથ્વી માતા નું ઋણ ચૂકવે છે. લોકોમાં સારા સ્વાસ્થ્ય માટે ના જન- જાગરણ કાર્યક્રમો માં સક્રિય ભાગ લઈ સમાજ ને રોગ મુક્ત / નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. સમાજ માં પશુ પક્ષી પ્રત્યે પ્રેમ વધે તેવું કાર્ય કરે છે.
તમને નથી લાગતું કે જય ને જે રીતે નાનપણ થીજ લોકો ની સેવા કે મદદ કરવાની 'ઈચ્છા' રૂપી પ્રેરણા મળી, તેવા સંસ્કાર દરેક બાળક ને મળે તો કેવું સારું ?