હાથીનો શણગાર
હાથીનો શણગાર
દેશ જે દિવસે આઝાદ થયો ત્યારે રજવાડાઓનાં આઝાદ ભારતમાં વિલીનીકરણનાં દસ્તાવેજમાં પહેલી સહી ભાવનગરનાં મહારાજ સાહેબે કરી. ગાંધીજી પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયેલા. ૧૮૦૦ પાદર (ગામ) આપનારા સૌથી પહેલા મહારાજા એ ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.
ભાવનગર મહારાજે વલ્લભભાઈ પટેલને પૂછ્યું, "વલ્લભભાઈ મને પાંચ મિનીટનો સમય આપશો ?"
વલ્લભભાઈ એ મહારાજ સાહેબને કહ્યું કે, "પાંચ મિનીટ નહીં બાપુ, તમે કહો એટલો સમય આપું."
ભાવનગર મહારાજે વલ્લભભાઈ ને વાત કરી કે, "આ રાજ તો મારા બાપનું છે, મારું છે. સહી કરું એટલી વાર છે, આઝાદ ભારતમાં ભળી જશે. પણ મહારાણીનો જે કરિયાવર આવ્યો છે, એનો હું માલિક નથી. મારે મહારાણીને પૂછાવવું છે કે એ સંપત્તિનું શું કરવું ?"
એક માણસ મહારાણીને પૂછવા ગયો.
માણસે મહારાણી સાહેબને કહ્યું કે, "મહારાજ સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, રજવાડાં ખતમ થશે, દેશ આઝાદ થશે, પણ તમારા દાયજાનું શું કરવું ?"
ત્યારે ગોહિલવાડની આ રાણીએ જવાબ આપ્યો કે, "મહારાજ ને કહી દો કે, આખો હાથી જતો હોય ત્યારે એનો શણગાર ઉતારવાનો ના હોય. હાથી શણગાર સમેત આપો, તો જ સારો લાગે."
દેશ આઝાદ થઈ ગયા પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસનું ગવર્નર પદ શોભાવ્યું, અને એ પણ ૧ રૂપિયાનાં માનદ વેતનની શરતે."
બોધ : ઘણી વખત વિચાર આવે છે કે, કેવા લોકો પાસેથી આપણે સત્તા, સંપતિ છોડાવી, અને કેવા લોકોનાં હાથમાં સોપી દીધી !