ગરીબનું દેવું માફ
ગરીબનું દેવું માફ
એક વખત તેઓ કલકત્તાની એક શેરીમાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે એક ગરીબ લત્તામાંથી રોવાનો અવાજ આવતાં તેમના પગ તે તરફ વળ્યા. એક નાનકડા ઘરમાં રોવાના અને નિસાસાના અવાજ સાંભળી તેમણે ઘરના દરવાજે ટકોરા માર્યા. રડી-રડીને લાલ થઇ ગયેલી આંખોવાળા એક વૃધ્ધે દરવાજો ખોલ્યો.
'ભાઈ, શું વાત છે ? હું અહીંથી પસાર થતો હતો ત્યારે રોકકળ સાંભળી તમારે ઘેર આવ્યો છું. જો વાંધો ન હોય તો તમારી મુશ્કેલી મને કહો.'
'શું ફાયદો સાહેબ ? બધા મુશ્કેલી જાણવા માગે છે પણ મદદ કોઈ નથી કરતું. પેલા વૃધ્ધે જવાબ વાળ્યો.'
વિદ્યાસાગરના આગ્રહથી પેલા વૃધ્ધની જબાન ખૂલી. થોડાં વર્ષો પહેલાં તેણે પોતાનું ઘર ગીરવે મૂકી એક વ્યક્તિ પાસેથી નાણાં ઉછીનાં લીધા હતા. પછી તો એના ખરાબ દિવસો શરૂ થયા. દેવું ને વ્યાજ કૂદકે ભૂસકે વધી ગયાં. નાણાં ધીરનાર હવે કોર્ટે ચઢ્યો છે. તેના બાપદાદાનું ઘર હવે જપ્તી થઇ જશે તેથી તેનું કુટુંબ બેઘર બની જશે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે બધી જ વાત શાંતિથી સાંભળી. અને દેવાની વિગત, નામો, તારીખો, અને કોર્ટનું નામ લખી લીધું. મારાથી બનતી મદદ તમને કરીશ. કહી તેઓ ચાલી નીકળ્યા. બીજે અઠવાડિયે જ્યારે પેલો વૃધ્ધ કોર્ટમાં ગયો ત્યારે તેના અચંબાનો પાર ન રહ્યો. તેનું દેવું ચૂક્તે થઇ ગયું હતું. અને કેસ ખારીજ (રદ) થઇ ગયો હતો. આ મદદગાર વિદ્યાસાગર પોતે હતા, જે નક્કર દિલાસામાં માનતા હતા.