*: અનોખી ભેટ :*
*: અનોખી ભેટ :*
ધન્યવાદ એ અજાણ્યા દાનવીરનો!
મને તા. ૦૯/૦૯/૨૪ (ગઈ કાલ) નાગપુર મહારાષ્ટ્ર ખાતે, ચાર પુસ્તકનો ભંડાર, ભારતીય ટપાલ ખાતા દ્વારા પ્રાપ્ત થયો.
મેં હજી ખોલ્યો નથી! કારણ કે જ્યારે ટપાલિકા (હા, તેઓ સ્ત્રી હતાં) સુપ્રદ કરવા આવ્યાં ત્યારે મારા બે પૌત્રો હાજર હતા. મોટા પૌત્રને એમ કે રમવા માટેની બંદૂક આવી છે તો એણે તરત ખોલવાની શરૂઆત કરી. મારે તે સંગ્રહની તસવીર લેવી હતી. મેં આવેલ સંગ્રહ પાડોશીને ત્યાં મૂકવા આપ્યો કે જેથી એના ઉપરનું લખાણવાળું આવરણ ભેદાઈ ના જાય!સમય લઈ કોણે મોકલ્યો છે તેની જાણકારી મેળવી એમનો આભાર માનવાનો હેતુ હતો.
આજે તે સંગ્રહ લઈને બેઠો છું તો વિચાર આવ્યો કે: ના, ના! મારે આવરણ ખોલવું નથી. પૌત્રો દ્વારા ખોલાવું જેથી એમની જિજ્ઞાસા સંતોષાય અને એમના હર્ષમાં હું ભાગીદાર થાઉં. પૌત્રો બંને બાલમંદિર ગયા છે. આવશે ત્યારે એમના હાથે "ઉદઘાટન"!
પુસ્તકો મોકલનાર જાણીતું પ્રકાશન ગૃહ "ગુર્જર સાહિત્ય ભવન - રતનપોળના નાકે, ગાંધી રોડ, અમદાવાદ" છે. અહીંથી મેં ઘણાં પુસ્તકો ખરીદેલ છે. આવરણ ખોલ્યા પછી જાણ થશે કે એમાં કયાં પુસ્તકો છે? ત્યાં સુધી આપ પણ ભેદ ખુલવાની રાહ જોશો...
-રસિક પરમાર (૧૦/૦૯/૨૪)
