અનાથાશ્રમ
અનાથાશ્રમ
મારાં પિતા થકી મારી માતાનાં ઉદરમાં મારું પ્રસ્થાપિત થવું એ રોમાંચક ઘટનાએ દિવસો જતાં આકાર ધારણ કરવા માંડ્યો. હું મારી માતા થકી મારી માતાનાં ઉદરમાં સુરક્ષિત. માતાનાં શ્વાસે મારું હૃદય ધબકે, મા ને હું ખુશખુશાલ. મારાં હલનચલન થકી મારી મા મીઠાં સ્પંદન અનુભવે. આમ મારી માનાં ઉદરમાં મારી વૃધ્ધિ થતી રહી.
એક દિવસ અચાનક માનું આક્રંદ સંભળાયું. મા ચિત્કાર કરી ઊઠી," ના. . . ના. . . ના. " મને ડર લાગ્યો. ખુશખુશાલ રહેતી મા કેમ આટ આટલું આક્રંદ કરે ? નક્કી ગર્ભ પરીક્ષણ કરી, જો હું દીકરી હોઉં તો મને રહેંસી નાંખવાની વાત કરી હશે ! પછી મને થયું,દાદી અને પિતા બંને જીવહત્યા કરે એવાં નથી. મારી માતા ઉદર પર હાથ ફેરવી મારી સાથે ઘણી વાતો કરતી. એણે જ મને હૈયાધારણ આપેલી," તું અમારું સંતાન છે, સલામત છે. દીકરી હશે તો પણ તારી હત્યા કરી જીવહત્યાનું પાપ ન જ કરે. " એટલે જ આશ્ચર્ય થયું, માનાં ચિત્કારનું !
મા રૂમમાં આવી, સ્વસ્થ થઈ ઉદર પર હાથ ફેરવી મને સાંત્વન આપતાં કહેવા લાગી," તારો જન્મ થાય ત્યાં સુધી તારી અને મારી સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. બાળક તંદુરસ્ત જન્મે તે માટે મારું ખાવા પીવાનું, હરવા-ફરવાનું, દવા, આરામ, મને આનંદમાં રાખવાનું બધું જ થશે.
તારાં દાદીનું મક્કમપણે કહેવું છે કે,સંતાનને જન્મ તો આપવો જ, પરંતુ જો એ દીકરી હોય તો અનાથાશ્રમમાં મૂકી દેવાની, દીકરો જન્મે તો ઘરે લાવવાનો.
હું મા થઈને મારાં સંતાનને મારાથી દૂર કેવી રીતે કરું ! છતાં માબાપે અનાથાશ્રમમાં કેવી રીતે મૂકું !"
મા બોલી રહી હતી, "કોઈપણ સંજોગોમાં,જો દીકરી અવતરે તો હું એને અનાથાશ્રમમાં ન જ મૂકું. " આવો મક્કમ નિર્ધાર કરી મા હળવીફૂલ થઈ અને આનંદથી હાલરડું ગાવા લાગી. મા સાથે હું પણ ખુશ.
અંતે મારો અવતરણ દિન આવી પહોંચ્યો અને મારો જન્મ થયો દીકરી તરીકે.
મારાં માવતર અડગ રહ્યાં અને દાદીને પણ સમજાવ્યાં એટલે મારું અનાથાશ્રમમાં જવાનું માંડવાળ થયું. હું મારી માનાં ખોળામાં ખુશ છું. "