rekha shukla

Inspirational

3  

rekha shukla

Inspirational

અધિકાર

અધિકાર

6 mins
215


પ્રજાસત્તાક દિવસ: એક સામાન્ય નાગરિક તરીકે તમારી પાસે કેવા-કેવા અધિકાર છે ?

વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર દ્વારા અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, તે સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બની ગયો હતો.

જોકે તેના પાયા તો 26 નવેમ્બર 1949ના દિવસે નંખાયા હતાં. તેથી 26 નવેમ્બરને પણ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર સ્વીકૃત કર્યું હતું. જેને આધીન રહીને સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે. આ સાથે જ દરેક વ્યક્તિને પોતાનો મૌલિક અધિકાર પણ મળે. એક સામાન્ય નાગરિક તરીકે તમને ખબર છે કે તમારી પાસે કેવા-કેવા અધિકાર છે ?

1. ધાર્મિક સ્વતંત્રતા

ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે કોઈ પણ ધર્મને માની શકે છે. દેશ કે રાજ્યમાં કોઈ પણ એક ધર્મને પ્રધાનતા ન આપી શકાય. પ્રત્યેક વ્યક્તિ પોતાની આવક, નૈતિકતા અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડ્યા વગર ગમે તે ધર્મનું પાલન કરી શકે છે.”

જોકે આજ-કાલ વર્તમાન સરકાર તેમજ કેટલાક રાજ્યની સરકારો માત્ર એક ધર્મને પ્રમોટ કરી રહી છે. આ રીતે તેઓ સીધી કે પરોક્ષ રીતે બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

2. કાયદા હેઠળ સમાનતા

કાયદા હેઠળ સમાનતા, ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મ સ્થળના આધારે ભેદભાવ કરી શકાતો નથી અને રોજગારના સંબંધમાં દરેકને સમાન અવસર મળવા અનિવાર્ય છે.

3. શોષણ વિરુદ્ધ અધિકાર

બંધારણ અનુસાર કોઈ પ્રકારની બળજબરીપૂર્વક કરાવવામાં આવેલો શ્રમ અપરાધ છે. બંધારણમાં આર્ટિકલ 24માં એવું જણાવવામાં આવ્યું છે કે 14 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળકોને કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી નોકરીમાં રાખી શકાતા નથી. જોકે, આજે આપણે ઘણા ઢાબા, કારખાના, નાની-મોટી હૉટેલ્સમાં જોઈએ છીએ કે ત્યાં નાના નાના બાળકો કામ કરતા હોય છે.

4. અસ્પૃશ્યતાનો અંત

ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત લાવી દેવામાં આવ્યો હતો. અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવું એ બંધારણ પ્રમાણે પ્રતિબંધિત છે. બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત લાવી દેવાની વાત હોવા છતાં આજે દેશના ગામડાંમાં અસ્પૃશ્યતાનું ચલણ જોવા મળે છે.

વર્તમાન સમયમાં પણ અનેક ગામડાંઓમાં લોકોની જાતિને જોઈને તેમના સાથે સંબંધ જોડવામાં આવે છે. અસ્પૃશ્યતાને સમર્થન આપવું તે કાયદા વિરુદ્ધ છે અને તેની સામે કેસ દાખલ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે તેની જાતિના કારણે ભેદભાવ કરવો એક ગુનો છે.

5. વ્યક્તિગત સ્વતંત્રતા

સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા પર મોટો નિર્ણય આપ્યો છે. બંધારણના આર્ટિકલ 21 અંતર્ગત એક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો પૂર્ણ હક મળેલો છે. કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણે ગમે તે વ્યક્તિ સાથે રહી શકે છે. લગ્ન કરી શકે છે અને જો આમ કરવાથી તેમને કોઈ ધમકી આપે કે ડરાવે તો તે વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરી શકે છે.

6. સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર

બંધારણ દ્વારા ભારતીય જનતાની સંસ્કૃતિને બચાવવા પણ કોશિશ કરવામાં આવી છે. અલ્પસંખ્યકોનું શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત હિતોની રક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકોના કોઈ પણ સમૂહને, જે ભારત કે તેના કોઈ પણ ખૂણામાં રહેતું હોય, તેને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર છે.

ભારતના બંધારણ અનુસાર, ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવતા રોકી શકાતી નથી.

7. બંધારણીય ઉપચારોનો અધિકાર

ભારતીય બંધારણમાં મૌલિક અધિકારોને અતિક્રમણથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટને મૌલિક અધિકારોના સંરક્ષક તરીકે માનવામાં આવી છે. દરેક નાગરિકને મૌલિક અધિકારોની રક્ષા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરવાનો અધિકાર છે.

8. સ્વતંત્રતાનો અધિકાર

પ્રજાતંત્રમાં સ્વતંત્રતાને જ જીવન કહેવામાં આવ્યું છે. નાગરિકોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે એ જરુરી છે કે તેમને લેખન, ભાષણ તેમજ તેમનો ભાવ વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે. તેમને સરકાર દ્વારા એ બાબતનું આશ્વાસન આપવામાં આવેલું છે કે તેમની દૈનિક સ્વતંત્રતાનું હનન કરવામાં આવશે નહીં.

ભારતીય બંધારણમાં મહિલાઓને પણ અનેક અધિકાર મળ્યા છે, જોકે જેના વિશે પૂરતી જાગૃતિનો અભાવ છે.

દેશમાં અનેક મહિલાઓને બંધારણમાં તેમને કેટલા હક મળેલા છે તે અંગે ખબર જ નથી. તો કેટલાક કેસોમાં તો મહિલાઓને પોતાનાં હક અંગે જાણકારી હોય છે તો પણ તેઓ હક માટે લડવા હિંમત કરીને આગળ આવતી નથી.

બંધારણે મહિલા અને પુરુષ બંનેને એકસમાન અધિકાર આપ્યા છે. જોકે, સમાજમાં મહિલાને એકસમાન અધિકાર આપવામાં આવતા નથી. બંધારણે મહિલાને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, પરંતુ તે સ્વતંત્રતા માટે મહિલાઓ આજે પણ રાહ જોઈ રહી છે. ભારતનો ઈતિહાસ તપાસીએ તો સ્ત્રીને હંમેશાં સંકુચિત રીતે જ રાખવામાં આવી છે.

સ્ત્રીઓને હંમેશાં ઘરના કામ માટે જ જોવામાં આવે છે. જો એક મહિલા બહાર નોકરી કરતી હોય, તો પણ ઘરનું કામ તેને કરવાનું રહે જ છે. તે ક્યારેય પુરુષની જવાબદારીમાં આવતું નથી. બંધારણે મહિલાઓને એવા ઘણા હક આપ્યા છે, જેની જાણ હોવા છતાં તેનું અમલીકરણ થતું નથી.

1. સમાનતાનો અધિકાર

વેતન કે મજૂરીને લઈને લિંગના આધારે કોઈ સાથે ભેદભાવ કરી શકાતો નથી. કોઈ કંપની પુરુષ કે મહિલા જોઈને પગાર/વેતન નક્કી કરી શકતી નથી. તે છતાં પણ આપણા સમાજમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને દરેક ક્ષેત્રે મહિલાને પુરુષ જેટલું વેતન આપવામાં આવતું નથી.

2. કલમ 354

જ્યારે મહિલાઓ સાથે છેડતી કે શોષણ બાબતે કાયદાકીય કેસ નોંધાય છે, તો પોલીસ આ મામલાઓમાં આરોપી વિરુદ્ધ ધારા 354 અંતર્ગત કેસ દાખલ કરે છે. જો કોઈ વ્યક્તિ મહિલાને ખરાબ નજરે જુએ છે, અથવા તો સોશિયલ મીડિયા પર ખોટી રીતે હેરાન કરે છે, તેમનો પીછો કરે છે તો તેવી વ્યક્તિ વિરુદ્ધ મહિલા 354 હેઠળ કેસ દાખલ કરી શકે છે. જોકે, મહિલાઓ ધારા 354 અંગે એટલું જાણતી હોતી નથી.

કેટલાક કેસોમાં આ કલમ વિશે મહિલાઓને જાણકારી હોવા છતાં તેઓ તેનો ઉપયોગ કરતી નથી. સમાજમાં ઈજ્જત જવાનો ડર અને સમાજ શું કહેશેનો વિચાર તેમને ડરાવી દે છે. માતા-પિતાની ઈજ્જતનું શું થશે તેવું વિચારીને મહિલા પોલીસ સ્ટેશન જવાનું અને પોતાને મળેલા હકનો ઉપયોગ કરવાનું ટાળે છે. મહિલા પાસે એવો અધિકાર પણ છે કે જો કોઈ તેમની સંમતિ વગર તસવીર ક્યાંક પોસ્ટ કરી દે અથવા તો તેનો દુરુપયોગ કરે તો તેના વિરુદ્ધ કેસ કરી શકે છે.

3. પૈતૃક સંપતિ પર હક

મહિલાને પૈતૃક સંપત્તિમાં પૂરો અધિકાર મળેલો છે. પિતાના મૃત્યુ બાદ તેમની દીકરીને પણ સંપત્તિમાં એટલો ભાગ મળે છે, જેટલો દીકરાને મળે છે. આ અધિકાર લગ્ન બાદ પણ મહિલા પાસે રહે છે. મહિલાઓને એમ પણ કહી દેવામાં આવે છે કે તેમનાં લગ્ન કરાવી દેવામાં આવ્યા અને મામેરું આપ્યું, પરંતુ તે બધી વસ્તુમાં મહિલાને સંપત્તિનો સમાન અધિકાર મળી જાય છે એવું હોતું નથી.

4. તલાક બાદ પત્નીને વળતર

જો કોઈ મહિલા તેના પતિ પાસેથી તલાક લે છે, તો પતિએ તેને ભરણપોષણ આપવું પડે છે. જો મહિલાને પતિ તરફથી ભરણપોષણ મળતું નથી તો તે કેસ કરી શકે છે. આ કેસમાં મહિલાના પતિની સંપત્તિ જપ્ત થઈ શકે છે. પતિની માલિકીની વસ્તુઓને સીલ કરી તેમાંથી ભરણપોષણ આપી શકાય છે. જોકે, આ અંગે પણ મહિલાઓ કેસ કરવાનું ટાળતી હોય છે.

5. લિવ-ઇન રિલેશનશિપમાં પ્રૉટેક્શન લૉ

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને ઘરેલું હિંસા કાયદા અંતર્ગત પ્રૉટેક્શનનો હક આપવામાં આવ્યો છે. લિવ-ઇન રિલેશનશીપમાં એક મહિલા અને પુરુષના લગ્ન જેવા સંબંધ હોય છે. મહિલા અને પુરુષ બંને એક ઘરમાં સાથે રહેતા હોય અને જો પુરુષ મહિલાનું શારીરિક કે માનસિક રીતે શોષણ કરે છે તો તેમના વિરુદ્ધ મહિલાને ફરિયાદ નોંધાવવાની બંધારણે જોગવાઇ કરી આપી છે. લિવ ઇનમાં રહેતા ‘રાઇટ-ટુ-શેલ્ટર’ પણ મળે છે. એટલે કે જ્યાં સુધી લિવ-ઇન રિલેશનશિપમાં મહિલા છે, તેમને કોઈ ઘરમાંથી બહાર કાઢી શકતું નથી.

6. કામના સ્થળે શોષણ

કામના સ્થળે પણ મહિલાઓને બંધારણે અનેક પ્રકારના અધિકાર આપ્યા છે. શારીરિક શોષણથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન્સ પણ નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ સરકારી તેમજ પ્રાઇવેટ ઑફિસમાં પણ લાગુ પડે છે. જ્યાં બે કરતાં વધારે મહિલા કામ કરતી હોય ત્યાં દરેક કંપનીએ ઇન્ટરનલ કમ્પલેઇન્ટ કૉમ્યુનિટી બનાવવી ફરજિયાત છે.

જ્યાં મહિલા જો પોતાની સાથે શારીરિક શોષણ થયું હોય તો ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય મહિલા પોલીસની મદદ પણ લઈ શકે છે. શારીરિક શોષણની વ્યાખ્યામાં છેડતી, ખરાબ નિયત સાથે અડકવું, મહિલા સહકર્મી સાથે આપત્તિજનક વ્યવ્હાર કરવો જેવી વર્તણૂકનો સમાવેશ થાય છે.

7. મૅટરનિટી લીવ

નાની મોટી દરેક સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી મહિલાને મૅટરનિટી લીવ મેળવવાનો હક બંધારણે આપ્યો છે. તે છતાં આજે પણ ઘણી મહિલાઓ એવી છે કે જેઓ પોતાના હકથી અજાણ છે અથવા તો મહિલાને આ હક મળતો નથી. કોઈ કંપની મહિલાઓને આ હક આપવામાં આનાકાની કરે છે તે કંપની પર મહિલા કેસ કરી શકે છે.

8. પોલીસ કસ્ટડીમાં મહિલા પાસે ખાસ અધિકાર

ફોજદારી કાર્યરીતિ 1973 સૅક્શન 51 પ્રમાણે જો મહિલા પોલીસ ફરજ પર હોય તો જ મહિલાઓની તપાસ કે પૂછપરછ કરી શકાય છે. કોઈ મહિલાની સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ધરપકડ ન કરી શકાય. સિવાય કે મહિલા પોલીસ સ્થળ પર હાજર હોય અને તેમની પાસે લેખિત મંજૂરી હોય.

આ સિવાય મહિલાને કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે તો ક્રિમિનલ પ્રોસિજર કોડની સૅક્શન 160 અંતર્ગત તેઓ ઇન્કાર કરી શકે છે અને ઇચ્છે તો પોતાના ઘરે મહિલા પોલીસની તેમજ પરિવારની હાજરીમાં વાતચીત કરવા બોલાવી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational