અધિક માસ
અધિક માસ
'મમ્મી... આ અધિક માસ એટલે શું ?' (અંગેૃજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકે કરેલા સવાલનો જવાબ આપવા મમ્મીને પણ સમય લેવો પડ્યો).
'અધિક એટલે extra...વધારાનું... Just like Incentive..!'
'એટલે દર વર્ષે પપ્પા ને મળે છે તે ?'
હા બેટા... (આપેલો ટાર્ગેટ પુરો કરે તો જ) (અહીં જીવનમાં મળેલા કાર્યો એટલે કે મળેલી ભુમિકાને પ્રેમ પુર્ણ પુરી કર્યા બાદ કર્મોનો ટાર્ગેટ પુરો કર્યા પછી જ ઈશ્ર્વર રૂપી ઇન્સેન્ટિવની લાયકાત મળે છે)
ઓહ...!
'તો અમને તો ગુજરાતીમાં 12 મહિના સુધી જ ભણાવયુ છે... આ અધિક માસ....?'
આ માત્ર એક બાળકના મનમાં ઉત્પન્ન થતો સવાલ નથી. અનેક બાળકોના મનમાં થતા પ્રશ્ન મા સંતાયેલુ કુતૂહલ પણ હોઈ શકે છે.
તર્ક સાથે સંકળાયેલા આ સવાલ કે મહિના તો બાર જ હોય તો વળી આ ક્યાથી આવ્યો...? એ સાહજિક છે. સવાલ શંકા શીલ હોય, સવાલ કુતૂહલથી પ્રેરીત હોય કે સવાલ ગમે તેની સાથે સંકળાયેલો હોય. સવાલો ભલે અનેક હોય પણ જવાબ એક જ છે.
ભગવાન પણ જાણતા હશે કે આ માણસ નામના પ્રાણીને બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ એ મારા પર જ કરશે અને કદાચ એટલે જ બાર મહિનામાં કરેલા કર્મોને પખાળવા માટે આવા અધિક માસનું સર્જન કર્યું હશે. અસ્વચ્છ કર્મનું વિસર્જન કરીને સ્વચ્છ કર્મ તરફ આગળ વધવા માટે આ ઉત્તમ મહિનાનો મહિમા અપરંપાર છે.
અધિક માસ ને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આની સાથે જોડાયેલી ધર્મકથા થી સૌ પરિચિત છીએ એટલે એના પરથી એ પણ સમજાય છે કે જે ના પાડો તે પહેલાં કરનાર મનુષ્યની માનસિકતા નજરે ચડે છે.
અધિક માસમા સાંસારિક કાર્યો એટલે કે ધરનું વાસ્તુ, ઓફિસ ખરીદવી, લગ્ન કરવા, ગાડી લેવી કે પછી વિવાહ કરવા આ તમામ કાર્યો કરવા નિષેધ મનાય છે કારણમાં રસ નથી પણ અત્યાર સુધી લીધેલી આધ્યાત્મિક સમજ પ્રમાણે કદાચ એવું પણ હોઈ શકે કે આ મહિનામાં કરેલી ભાવ સભર ભક્તિ બાર મહિનામાં કરવા પડતા સાંસારીક કર્યોમાં ચોક્કસ બળ પૂરું પાડે છે અને ભીતરથી કરેલી ભક્તિની શક્તિ ઊપયોગી સાબિત થાય છે.
અધિક શબ્દ જ પ્રિય હોય છે. બાળપણથી જ હજી વધારે આપોની ભાવ યાત્રાનો અંત જ નથી હોતો. પણ બાળકના ધડતરમાં અધિકના અસંતોષનો અધિકાર વર્ચસ્વ ધરાવે તે પહેલાં જ વ્હાલ, મમતા, દયા, પ્રેમ, વાત્સલ્ય અને કરૂણામાં વધારો કરે એવા ધાર્મિક સંસ્કારો વાવતો મહિનો એટલે અધિક માસ.
એક કહેવત પણ છે "દુકાળમાં અધિક માસ". મને આ કહેવત મા પણ હકારાત્મક વલણ સ્પષ્ટ પણે દેખાય છે કે ભગવાન દુકાળ જેવા કપરા દિવસોમાં પણ એક આખો મહિનો વધારાનો આપે છે એટલે પેટ પુજામાં માનનારને માટે આ નકારાત્મક લાગે પણ ભક્તિ પુજા અર્ચના કરવા યોગ્યતા લાગી હોય તો જ દુકાળમાં અધિક મળે.