નીતિ - 2
નીતિ - 2
મૂઆ તેં આ અભાગીની હવા કાઢી નાંખી.
મારી વાતમા શું ? મારૂ નામ ભૂરી, હું જન્મી અને માં મરી ગઈ. અને તેર વરસની થઈ ત્યાં સુધીમાં તો અમારાં ખોરડાં ગીરવા મૂકાઈ ગયાં, ભાઈ મરી ગયો, છ બળદમાંથી એક જ બાકી રહ્યો. અને ‘ બાપ ગયો !’ મામો એના ઘેર લઈ ગયો, અને “મા’મા”, બે “મા”નો પ્યાર આપેલો પણ ... કહેતા ...એણે એક હળવો નિ:શ્વાસ છોડ્યો. ‘દાઝ્યા ઉપર ડામ જેવું – મારા પતિએ મને વગર વાંકે કાઢી મૂકી છે !’
મને આંચકો લાગ્યો હોય એમ ઝૂકીને ભૂરીની આંખોમાં જોયું. એ આંખોમાં કેટલું બધું ઊંડું પેસી ગયેલું અને ઠરીઠામ બેઠેલું દુઃખ ભર્યું હતું તોય એ આ મૂર્ખાથી અનાયસે બોલી જવાયું :
‘હેં! કાઢી મૂકી? પણ છો તો આવી રૂપકડી !’
એને તેની અઠ્યાવીસી ખૂલી મૂકી, તે મોકળું હસી, ‘હા –જાણું છું, ફૂટડી છું, અને તું જાણી લે કે, હું ગમાર નથી .. પણ ચાલાક છું ! આખા મલકના મરદની નજરૂના ભરમાવતા ભેદ જાણું છું . મારી કમનસીબી છે ! હું સ્વભાવે જ હસમુખી રહી, આ તો માણસનું મન છે તો કો’ક દહાડો વધારે ઊભરાઈ જાય, ત્યારે હસું હસુંય થઈ જવાય ! મારે સાસરિયે કમનસીબી અને પિયરિયે ગરીબી છે. હું અભાગી તે પછી, જેમ તેમ મોસાળમાં મોટી થઈ અને મામાએ મને તીજી વારના ફેરા ફરતા ચંદુ સંગ વળાવી, ત્યારે મામૂ કહેતા ભૂરી તું નસીબવાળી કોઈ ચડાવા વગર આવો ખમતીધર .... ,ભૂરી, તારા દુખના દા’ડા પૂરા. બે વાર પરણીને વિધુર થયેલો અનુભવી, એટલે મલક ભરના લાડ લડાવશે ! પણ તકદીર બે ડગલાં આગળ. મારો ભરથાર મારો વેરી બની, ખુદ મારી હાટડી લગાવીને બેસતો. તેનું કહ્યું મા’નું તો લાડ લડાવે, નહીં તો રોજ બેસુમાર લાત.
મને એમ થાય કે મારી જાતને મારે કાબૂમાં રાખી, મારા “મોઢે દોરો દઈ દેવો” જોઈતો હતો, કેમકે ફરિયાદી બનું તો, લોકો મને ખોટી ગણી ગમે તેમ ધારી લેશે. લોકોની “જીભે કંઈ તાળાં દેવાય છે” ખરા ? ‘પણ … પણ....’ કહેતાં ભૂરીની આંખે આંસુ ઊભરાયાં. ‘ હું મારી જાતનીય વેરણ નીવડી. અને સાસરિયું છોડવું પડ્યું ! લોકોએ કંઈની કંઈ વાતો જોડી કાઢી જેની મને બીક હતી ને બન્યું પણ એમ જ ! મારા સ્વભાવે મને દગો દીધો. મારા ધણીનો ભાણો ઘરે આવ્યો, એના સાંતેકડા જેવા બદનને જોઈ હું મનભરી મલકી, સામો એ પણ મન ભરી મલ્ક્યો અને ચંદુડો વ્હેમાયો. મારો ધણી છંછેડાઈ પડ્યો. ત્યારે પણ હું તો હસતીજ રહી ! એણે મને લાત મારીને બહાર કાઢી . હા, હું છું જ અભાગણી !’ આમ રોજ – થોડું થોડું મરવા કરતાં એજ....દિ....એજ..ઘડીએ ફેંસલો કરી, આ ફાની દુનિયા છોડવી, એવું થાની અહી આવેલી, પણ મૂઆ તેં આ અભાગીની હવા કાઢી નાંખી, હું હવે તો ક્યાંયનીય ના રહી, નોંધારી થઈ !
મેં ખીસામાં બચેલા ભાવનગરી ગાંઠિયાનું પડીકું એને ધર્યું, તે પહેલા ખચકાઈ પણ પછી લઈ લીધું, અને ઝપાટે ગાંઠિયા ખાઈ, મારી તરફ આભારની લાગણીએ જોયું. ને મને જોઈતો મોકો મળ્યો ‘જો,’ ભૂરી’, મ્હે તેનો હાથ પકડી કાદવમાંથી તેને બહાર નીકાળી બોલ્યો: “આ દરિયાકિનારે ઠેર ઠેર ઉગેલા ચેરીઆના ઝાડ જુવે છે ? નર્યાં કાદવ પર એ ઊગ્યાં છે. દરિયાનું ખારું પાણી પીને, એ કેમ જીવતા હશે ? ને જીવવા માટે ક્યાંથી ખોરાક મેળવતું હશે એવો વિચાર તને આવે છે ખરો ? ખેડ કે ખાતર વિહોણા, ચીકણી માટીવાળા, કાદવના ઢગલામાં ખારા પાણી વચ્ચે આ છોડ કેમ જીવતા હશે ?”
“ભૂરી આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડાં જાય છે. તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે. પણ ખારા-ઉસ-કાદવમાં કોઈ પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આજુબાજુ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ ઝાપટી જીવે છે, સમજી ?”
‘ શું વાત છે ?, ખાલી હવાથી આ ચેરિયા વકરે છે ? મારી સામે નજર મિલાવી તે બોલી !’
‘હા, હવામાંથી’ કોઈ વાર વંટોળિયાથી આ કાદવના ઢગલા પર ધૂળ પથરાય ત્યારે ચેરીઆનાં મૂળિયાંના કાંટા ધૂળથી દટાઈ જાય છે; અને ચેરીઆનો છોડ સૂકાઈ મરી જાય છે !’ સંસારમાં ‘જીવતા રહેવાનો ભેદ તારે જાણવો હોય, ભૂરી તારે આ ‘ચેરીઆ’નો દાખલો લેવો જોઈએ. “જીવન અમૂલ્ય છે અને જેને જીવવાની તમન્ના છે તે, આ ‘ચેરીઆ’થી શીખ લઈ, કોઈ પણ સંજોગમાં ટટ્ટાર ઊભા રહીને જીવી શકે છે”.