Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

પૂજારિણી

પૂજારિણી

4 mins
402


અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે “હે દેવ ! શ્રી - ચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.”

“એ કણી લઈને જગતમાં શાં શાં ધતીંગ ફેલાવવા માગો છો, ભૂપતિ ?” બુદ્ધે હસીને પૂછ્યું.

“એક જ ધતીંગ, પ્રભુ ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.”

રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તુપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તુપ ઉપર બારીક નકસી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઊઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજ સાંજ પડે ત્યારે મહારાજની મહારાણી અને રાજ - બાળાઓ સ્નાન કરે, શુધ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલેાની માળા રાત્રિભર મહેકી રહે અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોડ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

વર્ષો વીત્યાં, બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવીને પિતાનો ધર્મ ઊખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે “ખબરદાર ! પૂજાનાં ત્રણ જ પાત્રો છે : વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.”

નગરીનાં નરનારીએ કમ્પી ઊઠ્યાં. બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો, યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉ ખાઉ કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી; ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી. એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજઆજ્ઞા નથી જાણી ?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તુપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી, હાથમાં ઉપાડી, પૂજનારીઓની સાથે જતી, જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી, કાંઈ આવડે તો નહિ, પણ આંખો મીંચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બડબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીછાની હસ્યા કરતી.

રાજઆજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી, બોલી કે “બા, પૂજાનો સમય થયો.”

મહારાણીનું શરીર થરથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં: 'નાદાન ! નથી જાણતી? સ્તુપ ઉપર ધૂપદીપ કરનારાને કાં તો શૂળી મળશે, કાં તે કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !'

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં, હાથ હલી જવાથી એને સેંથો વાંકોચૂકો થઈ ગયો.

શ્રીમતી કહેઃ “રાણીજી, પૂજાનો સમય થયો.”

રાણી બોલ્યાં : “સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી ચાલી જા આંહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે, મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.”

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુક્લા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાચવામાં મગ્ન હતાં. 

ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જુએ, ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !

“કુંવરી બા ! ચાલો પૂજા કરવા.”

“જા એકલી તું મરવા !”

*

નગરને બારણે બારણે શ્રીમતી રખડી, એણે પોકાર કર્યો કે “હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવે ? રાજાજીની શું આટલી બધી બીક ? પ્રાણ શું આટલા બધા વહાલા ?"

કોઈએ બારણાં બીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊભું ઊભું જાણે કોઈ કહેતું હતું, “સમય જાય છે, પુત્રી શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.” શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠયું. એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદના અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે 'કચેરી બરખાસ !'

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની? કે કેાઈ ભૂતપ્રેત? 

ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચેાપાસ કોઈક દીપમાલા પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તુપ પાસે જઈને જુવે છે તો એક સ્ત્રી સ્તુપની સામે ઘૂંટણ પર બેઠી છે, એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરૂણી ?

નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું. સવાલ કર્યો કે 'મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?'

“હું શ્રીમતી : બુદ્ધ ભગવાનની દાસી.”

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તુપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રિએ, રાજબાગના એ ખૂણાની અંદર, એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.


Rate this content
Log in

Similar gujarati story from Classics