નીતિ - ૪
નીતિ - ૪
આ પરનાર સાપનો ભારો કહેવાય.
મને રોજ કરતાં મોડો અને ભૂરી સાથે આવેલો જોઈ, આંગણામાં પોપટના પીંજરા પાસે બેઠેલી મારી માએ અજાણી રૂપકડી નારને બોલાવી, અને ભૂરીનું નામ ઠેકાણું પૂછ્યું ત્યારે તે મૂંગી હતી, મેં તેને કહ્યું કે, માં કોઈ દુખીયારી છે, ઇનું નામ ભૂરી છે, દરિયે ઘડો બાંધી ડૂબવા આવી’તી, તો, મેં તેને પાછી વાળી, ને અહી આપણે ત્યાં લાવ્યો છું, આપણે તેને, તેના ઘેર હેમખેમ પહોચડવાની છે.
મારી માએ, ભૂરીને બાજુના ઝૂંપડાંમાં બેસાડી. રોટલો અને છાશ ખવડાવ્યાં; અને ‘તું તારે નિરાંતે બેસજે ’ કહેતી ધરપત આપી મારી પાસે પાછી ફરી. અને ભૂરીને લાંબા સમય પછી પેટ પૂરતું ખાવાનું મળતાં તેના થાકથી શિથિલ થયેલા ગાત્રોમાં સુસ્તી ભરાઈ અને તે ઊંઘી ગઈ. મોડી બપોરના હું અને માં ચા પીતા બેઠા ત્યારે માં એ કહ્યું, “ઝૂમા, આ ભૂરી પરનાર કહેવાય, ‘ઇ સાપનો ભારો’, ‘આપણે ક્યાં વેંઢારવો’, ‘આપણે ત્યાં ઇ જાજુ રહે તે સારું નૈ’, તું એને રવાના કર”. મેં માંને કહ્યું “માં દુખીયારી છે મલકમાં નોધારી છે, આપઘાત કરવા આવેલી હતી, ઇનો ઉદ્વેગ થમવા દે,” થોડો ટેમ થાય એટલે કઈ રસ્તો કાઢીશું, “તું પૂછ તો ખરી આખરે તે ક્યાંની છે ?”.
સાંજે વાળું પતાવી માંએ વાતનો દોર હાથમાં લીધો, અને ભૂરીને કહ્યું : આ ધરતી પર જીવતા રહેવા માટે દરેક જીવને લડવું પડે છે. જે કોઈ લડે છે, ત્યારે તેના દુખડા હંમેશા હારે છે, ઇ વાતું ચોપાનીયાની, પણ મર્દ વગરની જવાનને એકલા પંડ જીવી આયખુ ગાળવું, એ હિમાલો ગાળવા જેવી નર્ક સમાન જિંદગી રહેતી હોય છે, સમજી ? માટે હિંમત રાખી જીવ.