સંજના - એક અદ્ભુત નારી
સંજના - એક અદ્ભુત નારી
સંજના નો જન્મ રાજસ્થાન એક નાનકડા ગામમાં થયો હતો. હજી તે માત્ર સાત વર્ષની હતી ત્યાંજ તેનાં માથા પરથી પિતાજીની છત્ર છાયા હટી ગઈ. ઘરમાં પાંચ વર્ષ ની ઉંમર ની નાની બેન તથા ત્રણ વર્ષ ની ઉંમર નો નાનો ભાઈ હતો. મા કોઈ નોકરી કરતી નહોતી. તેથી પિતાજીના અવસાને, તેઓની જિંદગીમાં એકદમ ખુબજ મોટી સમસ્યા ઊભી કરી દીધી હતી. થોડી જમીન હતી, તેમાંથી થતી આવક અને સરકારની યોજના હેઠળ મળતી સહાય પર જીવન આધારિત બની ગયું. એક માત્ર આશાનું કિરણ હતી મા ની હિંમત અને ક્યારેય હાર ન માનવાનો તેનો સ્વભાવ. તેથી, મા એ બાળકો નાં અભ્યાસ પર અસર પડવા ન દીધી. સંજના સૌથી મોટી દીકરી હોવાના નાતે અને વળી લાગણીશીલ સ્વભાવની હોવાથી ખૂબ જ જવાબદારી લેવા લાગી હતી. તે નાની ઉંમર થી જ જાણે મોટી થઈ ગઈ હોય તેમ ઘરની દરેક જવાબદારીઓમાં મા ને સાથ આપવા લાગી હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં પણ, દસ ધોરણ પછી પી.ટી.સી. પાસ કરી ને શિક્ષક ની નોકરી માં જોડાઈ ગઈ, જેથી તેની આવક સહારો બને અને મા પરથી થોડો ભાર ઓછોથાય. તેમજ નાના બેન– ભાઈ નાં અભ્યાસમાં કોઈ કચાશ ન રહે. આમજ ઘરની જવાબદારી નિભાવતા, લગ્ન માટેની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી. સુશીલ, સંસ્કારી અને હોશિયાર ઉપરાંત નોકરી પણ કરતી હોવાથી, ઘણા બધા માંગા પણ આવતા હતાં. છતાં પણ તેં ઘરની જવાબદારી ને ધ્યાનમાં રાખીને ને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતી નહોતી. જ્યારે નાના ભાઈ બહેન નું ભણતર પૂરું થયું અને તેઓનું નોકરીનું ઠેકાણું પડ્યું, ત્યારે તે બધીરીતે યોગ્ય એટલે કે સુંદર, સુશીલ અને હોશિયાર હોવા છતાં, ઉંમર ને લીધે તેને યોગ્ય મુરતિયો મળવામાં થોડી મુશ્કેલી પડી. છેલ્લે, તેને ખુબજ સારો વર અને ઘર મળ્યું. પતિ ડોકટર હતો અને પોતાના પરિવારથી દૂર બીજા શહેરમાં તેની નોકરી હતી. તે ડિવોર્સી હતો, પણ સંજના એ સ્વીકારીને જ લગ્ન કર્યા હતાં.
સંજના ની નોકરી પોતાના ગામની શાળામાં હતી. હજી, નોકરી છોડાય તેમ ન હતી કારણ કે તેણે થતું કે હજી મા ને મદદની જરૂર છે. મા ના ઘણા આગ્રહ છતાં પણ તેણે નોકરી ન છોડવાનું નક્કી કર્યું. આને લીધે, તેને પતિ સાથે રહેવા માટે પતિના શહેર અને નોકરી કરવા માટે પોતાના ગામ વચ્ચે મુસાફરી વધી ગઈ. દરેક શનિવાર ની રાત્રે કે બે- ત્રણ રજા નો મેળ કરીને પતિ પાસે દોડી જતી હતી. હવે તેણે પતિનું ઘર અને નોકરી બંને સંભાળવાના હતાં. તે એકબીજાથી ખુબ દૂર હતાં, તેથી સંજના બંને જવાબદારી ને નિભાવવા માંટે ખુબજ પરિશ્રમ કરતી હતી. એક તરફ પતિ હજી પહેલી પત્ની એ આપેલ માનસીક,શારીરિક અને આર્થિક આઘાતમાંથી બહાર નહોતો આવ્યો, તેમાય સંજના ના થોડા સમયના સંગાથમાં તે તેના પ્યારમાં રસબોળ થઈ ગયો હતો. તેનાં માટે સંજના થોડા દિવસ વગર પણ રહેવાનું ખુબજ મુશ્કેલ હતું. સંજના પણ મજબૂર હતી. તે પણ પતિ થી દૂર રહેવા ઈચ્છતી ન હતી, પણ કરે શું ? સરકારી નોકરી હોવા છતાં કેટલાં દિવસ રજા લઈ શકાય ?
ત્યાં નવી પરિસ્થિતિ ઊભી થઈ. સંજના ને માલુમ પડયું કે તે મા બનવાની છે. તેથી, હવે આટલી લાંબી મુસાફરી પણ કરવી શક્ય નહોતી. સંજના એ પતિનાં શહેરમાં ટ્રાન્સફર માટે અરજી પણ આપેલી હતી. તેમાં પણ કશું નીવડો આવતો નહોતો. તેથી, ન છૂટકે તેને પતિ થી દૂર, મા પાસે રહેવું પડયું. સમય જતાં પુત્ર નો જન્મ થયો. એકાદ વર્ષ પછી પાછું, પતિ અને નોકરી વચ્ચે ની દોડધામ ચાલું થઈ. હવે નાના બાળકને ને પણ સંભાળવાનું હતું. તેની આ સંઘર્ષભરી જિંદગી એકાદ વર્ષ આગળ ચાલતી હતી. ત્યાં, તે ફરીવાર પ્રેગ્નન્ટ થઈ. એક પછી એક સુવાવડ અને બાળકની જવાબદારી અને સતત મુસાફરીની અસર તેના શરીર પર પણ દેખાતી હતી. બીજા સંતાન રૂપે, સુંદર પુત્રી એ જન્મ લીધો. પછી, થોડાજ સમય માં જાણે લાગતું હતું કે પુત્રી સારું ભાગ્ય લઈને આવી હશે કે પછી ભગવાન ને તેની હવે વધારે પરિક્ષા લેવાનું યોગ્ય લાગ્યું નહી હોય, તેની ટ્રાન્સફર માટે ની અરજી મંજૂર થઈ ગઈ અને તેને પતિ સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
અત્યારે વીસેક વર્ષ પછી, તેના સંઘર્ષ, સમર્પણ, સુજ-બુજ, સમજદારી, આવડત કે નસીબ, જે નામ આપીએ તે, આજે પોતે સ્નાતક થઈ ગઈ છે. સ્કૂલમાં માં હેડ માસ્તર છે. તેની સ્કૂલ અંતરિયાળ વિસ્તાર માં આવેલી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ગરીબ આદિવાસી પરિવાર માંથી છે. તેણે સખત મહેનત કરીને સ્કૂલ નું પરિણામ સુધાર્યું છે. સંજના ને અને તેની શાળા ને શિક્ષણ વિભાગ તરફથી દર વર્ષે આદર્શ શિક્ષક તથા આદર્શ સ્કૂલ નું બહુમાન મળે છે. તેનો મોટો પુત્ર એન્જીન્યરીંગ માં માસ્ટર સુઘી અભ્યાસ પૂરો કરીને આઇ એ એસ ની પરિક્ષાની તૈયારી કરે છે, જ્યારે નાની દીકરી એ સાયન્સ માં સ્નાતક થઈ ને અમેરિકા માં માસ્ટર કોર્સ માં એડમિશન લીધું છે.. તેનો પતિદેવ કે પતિ પરમેશ્વર કે જે મારો ખાસ મિત્ર પણ છે, તે સંજય પણ, સંજના જીવન સંગીની રૂપે મળી, તે માટે પોતાને ખુશનસીબ માને છે. તે પણ, પોતાના વિભાગમાં ઉચ્ચ સ્થાન પર નોકરી કરે છે. આખું પરીવાર ખુશખુશાલ છે.
મિત્રો, આ પોતાના લોકો ના વિકાસ માટેની સંઘર્ષ ની કહાની માત્ર સંજના પુરતી મર્યાદિત નથી, પણ દરેક ઘરમાં અસંખ્ય સંજના, ખુશી, હર્ષા, નયના, રેખા તથા દરેક નારીની છે, જે નાનપણ થી જ સંઘર્ષ કરે છે, શરૂયાત માં પોતાના ઘર માટે, પછી સાસરિયા માટે અને પછી બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય, સુખ-ચેન માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. તે પોતાની ખુશી, જરૂરિયાતો કે સુખ ની ચિંતા કરતી નથી. નારી માત્ર પોતાનું કુટુંબ જ નહિ, જે પણ તેને પોતાના લાગે, તે સૌને સ્વીકારી લે છે. જેમ કે પોતાની શાળા, પોતાના પાડોશી, પોતાનો સમાજ, પોતાનો ધરમ, પોતાની કંપની અને પોતાનો દેશ વગેરે. તેથી જ કહેવાય છે નારી તું નારાયણી. મોટાભાગની નારી નો આ અમૂલ્ય ફાળો (કોન્ટીબ્યુશન) લગભગ નજર અંદાજ થઈ જાય છે. તેથી જ ભારત સરકાર દ્વારા દર વર્ષે ૮ માર્ચ ના રોજ આંતરરાષ્ટીય મહિલા દિવસે માનનીય રાષ્ટ્રપતિ દ્વારા દેશ ની નારી શક્તિ ને સન્માનિત કરવામાં આવે છે.
તો, મિત્રો, ચાલો આપણે પણ, જ્યાં પણ તક મળે ત્યાં, નારી ને સન્માન આપીએ, તેને પ્રોત્સાહિત કરીએ, તેની સાથે કોઈ ભેદભાવ ન કરીએ, તેના વિકાસ માં મદદરૂપ થઈએ. તેના આત્મસ્વમાન નું રક્ષણ કરીએ. એવું વાતાવરણ બનાવીએ કે તે સુરક્ષિત મહેસૂસ કરે. તે માટે, શરૂઆત આપણા ઘર થી કરીએ. ત્યાર પછી સમાજ, અડોશપડોશ, નોકરીના સ્થળે, સોશ્યલ મીડિયા પર, કોલ સેન્ટર, પબ્લિક ટ્રાન્સપોર્ટ માં અને દરેક અન્ય જગ્યા એ જ્યાં નારીની ઉપસ્થિતિ હોય. ત્યારેજ આપણે નારી શક્તિ ના ઋણમુક્ત થઈશું.