Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

વરાળની દુનિયા 3

વરાળની દુનિયા 3

9 mins
7.5K


હું ફકીર ભણી ગયો. ફકીર પણ મારી સામે જ આવતો લાગ્યો અને લગભગ મારા ખાટલા પાસે અમે બંને ભેગા થઈ ગયા.

'આદાબ અર્ઝ, સાહેબ ! વહેલા ઊઠવાની આપને ટેવ લાગે છે.' ફકીરે વાત શરૂ કરી.

‘એવી ટેવ તો નથી, પણ આજ વહેલા ઊઠી જવાયું.' મેં જવાબ આપ્યો.

'ઊંઘ સારી આવે તો વહેલાં ઊઠી પણ જવાય.'

'ઊંઘ સારી આવી એ સાચું... પણ...કાંઈ સ્વપ્ન આવ્યું કે અજબ દ્રશ્ય જોયું તેથી હું જાગી ગયો.'

‘એમ ? ખૂદા ખેર કરે...'

‘અરે, જાગી ગયો એટલું જ નહિ, ઊંઘમાં જ ચાલતો ચાલતો અહીં સુધી આવી લાગ્યો ! જરા આગળ વધ્યો હોત તો ભેખડ નીચે હું ગબડી પડ્યો હોત !' મેં મારી પરિસ્થિતિ વર્ણવી.

'એવું હજી કોઈને બન્યું નથી, સાહેબ ! એક સંત પુરુષની સવારી કદી કદી નીકળે છે. પણ બસ ! બીજું કાંઈ નહિ. ઈજા જરા ય થાય નહિ. સહેજ ઝબકારો થાય અને સવારી ગુમ.' ફકીરે કહ્યું.

'શાની સવારી ? કોની સવારી ?' ફકીરની ભાષા મને સમજાઈ નહિ એટલે મેં પૂછ્યું. ભૂતપ્રેત અને માનવસૃષ્ટિથી ન પકડાતાં રાત્રિદ્રશ્યોને મુસલમાનો 'સવારી' ના માનવંત નામે ઓળખતા હતા, એમ મેં પહેલી જ વાર જાણ્યું.

‘માટે જ હું આપને અહીં ખુલ્લામાં સૂવાની ના પાડતો હતો.' ફકીરે કહ્યું.

'ખેર ! હું માનતો ન હતો... હજી પણ માનતો નથી... છતાં આ સવારી અજબ તો ખરી, સાંઈ ! એ બુઢ્ઢો કોણ? ઊજળી કોણ? આવું કાંઈ બન્યું છે ખરું?' મેં પૂછ્યું.

'જી, હા ! આપ માનો, ન માનો, જુદી વાત છે, પરંતુ એ આખી સવારી પાછળ લયલા-મજનૂનો કિસ્સો છે... કોઈ કોઈ ટુકડા દેખાઈ જાય કદી કદી !'

'લયલા-મજનૂનો કિસ્સો ? આ તો વૃદ્ધ પુરુષ હતો !' મેં નવાઈ પામી પૂછ્યું.

'સાહેબ ! જુવાન લયલાને અનેક મજનુઓ મળે; જુવાન મજનુને અનેક લયલાઓ મળી જાય, પરંતુ આ બુઝર્ગ લયલા-મજનુને મેં જોયા ત્યારથી મને લાગ્યું કે એ જૂની ઈશ્કકહાણી સાચી જ હતી.'

અને નમાજ પઢી ફકીરે થોડી વાર પછી મને એક વૃદ્ધ પ્રેમી યુગલની વાત કહી સંભળાવી. મેં જેનું પ્રેત જોયું એ વૃદ્ધનું નામ પંચમગીર. દશનામી સાધુઓમાં ગીર-ગીરીના અત્યાંક્ષરે ઓળખાતો એ એક સાધુઓનો વર્ગ. એ સાધુઓએ લગ્ન સ્વીકારીને પણ પોતાની સાધુ છાપ ચાલુ રાખી હતી. ઊજળી એ તેની પત્ની. એમના યૌવનની વાત તે સહુના યૌવનની માફક રસભરી હોય જ; પરંતુ એમાં વિશેષપણું કાંઈ ન કહેવાય. માબાપની મરજી વિરુદ્ધનાં લગ્ન હોય, કોઈ છોકરીને ઉઠાવી જઈ લગ્ન કર્યા હોય, છૂટાછેડા સુધી ધસી જઈ પાછી મિલાવટ કરી દીધી હોય તો પ્રેમની કથા રોમાંચક બની શકે. એવું કાંઈ પંચમગીરે કર્યું ન હતું. શિવાલયમાં રહી બંને સાધુ-સાધ્વી શિવપૂજન કરતાં, પાસેની થોડી જમીનમાં ખેતી કરતાં ગામમાંથી ખૂટે તે માગી લાવતાં, ભજનકીર્તનમાં સમય ગાળતાં અને ગામને પગે લાગવાનું એક સાધન બની રહેતાં.

તેમને બે પુત્ર પણ થયા; પરંતુ તેઓ મોટા થયા અને સાધુ બની ચાલી નીકળ્યા. એક પુત્રનો પત્તો જ ન લાગ્યો; બીજો પુત્ર દૂરદૂરના કોઈ મઠમાં રહેતો, અને બેચાર વર્ષે આવી માતાપિતાની ખબર લઈ જતો. સમય જતાં વર્ષનો ગાળો વધવા લાગ્યો, અને પંચમગીર તથા ઊજળી બન્ને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યાં. પુત્રને મહાદેવની પૂજા સંભાળી લેવા અને પાસે આવી રહેવા માતા

પિતાએ કહી જોયું; પરંતુ પુત્રને દૂર જ રહેવું યોગ્ય લાગ્યું. પુત્રે માતાપિતાને એક વાર એવી પણ સૂચના કરી કે તેઓ તેના મઠમાં આવીને રહે; પરંતુ નદીનો કિનારો અને મહાદેવનું સ્થાન તેમના જીવન સાથે જડાઈ ચૂક્યાં હતાં; તે મૂકીને એ વૃદ્ધ બનતાં નરનારી ત્યાંથી ખસી શક્યાં નહિ.

વૃદ્ધ પંચમગીરથી બહુ હરીફરી શકાતુ નહિ એટલે ઊજળીને જ દેવસેવા, ખેતી અને ભિક્ષાનું કાર્ય કરવું પડતું. વગરબોલ્યે એ વૃધ્ધા પોતાનું અને પોતાના પતિનું ગુજરાન કર્યે જતી હતી. પરંતુ એ વૃદ્ધાવસ્થામાં જ પંચમગીર અને ઊજળી એકબીજાની સાચી નિકટતા સેવતાં બની ગયાં. પંચમને એક ઘડી પણ ઊજળી વગર ચાલતું નહિ. ગામમાં પંચભાગ ઉઘરાવવા ઊજળી ગઈ હોય એટલે ધર્મશાળાને દરવાજે પંચમ આંટા ખાતો જ હોય અને ઊજળી થાકીપાકીને આવે એટલે પંચમનો પ્રશ્ન તેને સાંભળવાનો જ હોય:

'કેમ આટલી બધી વાર થઈ ?'

'તે આ ઉંમરે હવે મને કોઈ ઊંચકી જવાનું તો નથી ને ? ચાર ઘેર ખબર પણ પૂછવી પડે ને ?' હવે ઊજળી આવો જવાબ આપતી અને પંચમ હસીને તે સાંભળી પણ લેતો.

કદી પંખી ટોવા તે ખેતરે જતી ત્યારે પણ પંચમનો એને એ જ પ્રશ્ન :

'આટલી વારે આવી ?'

‘અહીં તમારી સામે બેસી રહું અને અનાજ ચકલાં ખાઈ જાય ત્યારે ?'

કોઈવાર પંચમને એમ જ લાગતું કે શિવમંદિરમાં ઊજળી બહુ લાંબી આરતી કરે છે.

'આટલી બધી વાર સુધી આરતી હોય?' પંચમ પૂછતો.

'ભગવાનની પૂજામાં જે વખત ગયો તે ખરો. તમારે કાંઈ કામ હતું ?' ઊજળી જવાબ આપતી.

'કામ કશું નહિ.'

‘ત્યારે આમ વલોપાત કેમ કરો છો ?'

'સાચી વાત કહું, ઊજળી? તારા વગર ઘડી મને ફાવતું નથી.'

'નાનપણમાં કહેવું હતું ને આમ ! અત્યારે કોઈ સાંભળે તો લાજી મરીએ.'

'હું ખરું કહું છું ઊજળી ! કોણ જાણે કેમ, પણ તું આંખ સામે ન હોય ત્યારે...'

'બસ થયું હવે ! નાખો ઊજળીને નદીમાં એટલે પાર આવે !' પંચમની બહુ નજીક આવી, તેના જટાગૂંથ્યા વાળ ઉપર હાથ ફેરવી ઊજળી બોલતી. નદીમાં ઊજળીને નાખવાની વાત આવતી તે સાથે પંચમના હૃદયમાં ધડકાર વધી જતો અને પંચમના નિર્બળ બનતા જતા હસ્ત ઊજળીના હાથને પકડી લેતા.

ધડકાર વધે કે ન વધે; વર્ષો વીત્યાં અને ઊજળીને નદીએ લઈ જઈ બાળવાનો પ્રસંગ આવ્યો. પંચમ એક દિવસ ગુસ્સે થયો. હમણાંનો એ ઘણી વખત ગુસ્સે થતો, કારણ વગર. બૂમ પાડતાં બરોબર ઊજળી આવી નહિ અને આવી ત્યારે લથડિયું ખાઈ જમીન ઉપર પડી તે ઊઠી જ નહિ. ઊજળી મૃત્યુ પામી અને તેના દેહના અંત્યેષ્ટિસંસ્કાર પણ થઈ ગયા. લોકોને પંચમની બહુ દયા આવી. જિંદગીભર ભેગું રહેલું જોડું તૂટી ગયું ! પંચમની આંખમાં આંસુ ન હતાં ! જાણે એ પ્રસંગ બન્યો જ ન હોય એમ તે શૂન્યતાપૂર્વક આખી ક્રિયા કરી ગયો અને પોતાને મંદિરે જઈ તે સૂઈ ગયો. રાતમાં કોણ જાણે શું થયું. સૂઈને ઊઠ્યો એટલે તેણે બૂમ પાડી :

'ઊજળી !'

'ઊજળી તો નથી... પણ લ્યો , આ દૂધભાત હું લાવી છું... જમી લો !' ગામની કોઈ સ્ત્રી પંચમની દયા ખાઈ તેને માટે ખોરાક

[ ૮૭ ]

લઈ આવી હતી.

'તે ઉજળી કેમ ન આવી ?... કેટલી વાર ?' પંચમે કંટાળો દર્શાવી કહ્યું.

'આવશે હવે ! જમી લો તમે !' કહી એ સ્ત્રીએ પંચમ પાસે ભોજન મૂક્યું. પંચમે તે જમવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેના હાથ અને મુખમાં જરા ય વેગ ન હતો. તેની આંખ બારણાં સામે જ જડાઈ ગઈ હતી - જાણે ઊજળી વગર તે બિડાતી ન હોય ! સ્ત્રીની આંખમાં આંસુ આવ્યાં.

સંધ્યાકાળે ફકીરને તકિયે પંચમે આવી ધીમે રહીને પૂછ્યું :

'ઊજળી અહીં તો નથી આવી ?'

'ઊજળી?' મૃત ઊજળી, ગતદેહા ઊજળી, કોઈ પણ સ્થળે ક્યાંથી આવી શકે? ફકીરે પંચમની આંખમાં ઘેલછા નિહાળી અને તેને પાસે બેસાડી દેહની નશ્વરતા વિશે થોડી ગઝલો સંભળાવી; પરંતુ પંચમની શ્રવણેંદ્રિય બોધ સાંભળવા તૈયાર હતી જ નહિ. વૃદ્ધ ઊઠ્યો.

'ક્યાં ચાલ્યા ?' ફકીરે પૂછ્યું.

'શોધી લાવું... જરા ઝઘડો થઈ ગયો...મારાથી.'

'કોને શોધી લાવો છો ?'

'ઊજળીને સ્તો.'

'બાવાજી ! જરા બેસો. આજ શું જમ્યા ?' ફકીરે પૂછ્યું.

'શું જમ્યો ?..હા, હા, ! ઊજળીએ કોઈ સાથે દૂધભાત મોકલ્યા હતા... એ ગામમાંથી આવતાં જરા વાર કરે ખરી; પણ મને ભૂખ્યો કદી ન રાખે...સંધ્યાકાળ થાય છે તો ય આજ તો બહારની બહાર...'

'આટલાં ફળ ખાતા જાઓ બાવાજી !' ફકીરે કહ્યું.

'એકલો નહિ ખાઉં. ઘેર મોકલી દો ! હું ઊજળીને મનાવી લાવું.' વૃદ્ધે ગામ તરફ પગલાં માંડ્યાં.

ફકીરની પણ આંખમાં અશ્રુ ઊભરાયાં. પંચમગીરના હૃદયે


ઊજળીના મૃત્યુનું સત્ય હજી સ્વીકાર્યું ન હતું. એ સત્ય માટે સાધુનાં હૃદયકપાટ બંધ થઈ ગયાં હતાં. જે ઘેર ઊજળી ઘણું ખરું બેસતી એ ઘરનાં માણસો રાત્રે જમવાની તૈયારી કરતાં હતાં અને પંચમગીરે બારણું ઠોક્યું. બારણું ઊઘડ્યું અને અંદરથી કોઈએ કહ્યું :

'આવો આવો, બાવાજી ! અત્યારે ક્યાંથી ? ચાલો, અમારી સાથે જમી લો.'

'ઊજળી અહીં જ આવી છે, નહિ? સમજાવીને એને મારી સાથે મોકલો ને? બહુ વાર કરી એણે !'

'ઊજળી ? પંચમગીર ! હવે ઊજળી ક્યાંથી આવે ?'

'લ્યો ! જરાક જેટલા ઝઘડામાં, આટલી બધી રીસ હોય !...ઘરડે ઘડપણ...! જરા કહો ને કે મને મુખ બતાવી જાય?' પંચમે કહ્યું.

વૃદ્ધ પંચમની આ સ્થિતિ નિહાળી સાંભળનારનાં હૃદય ચિરાઈ ગયાં. મહામુશ્કેલીમાં તેમણે પંચમને ઘરબારણેથી વિદાય કર્યો.

ઘરનો ખૂણેખૂણો બતાવી પંચમગીરને તેમણે ખાતરી કરી આપી કે એ ઘરમાં તો ઊજળી હતી જ નહિ.

'ત્યારે એ જાય ક્યાં?... કેટલી વાર ? શોધ્યા વગર સૂવાનો નથી. આખી જિંદગીભર ગુસ્સે ન થઈ, અને આજ આટલો બધો મમત ?...રાત્રે ક્યાં જવાની છે?' કહી પંચમે પોતાની ધર્મશાળાનો માર્ગ લીધો. પહોંચતાં પહોંચતાં તેણે ભ્રમણામાં ત્રણ-ચાર વાર ઊજળીને બૂમ પાડી, જેનો પડઘો નદીના બંને કિનારાએ ઝીલ્યો !

ફકીરે સામે આવી પંચમને ફળ ખવડાવ્યાં. ખાવામાં તેનું ચિત્ત જ ન હતું. પચાસ-પંચાવન વર્ષથી તેને સતત સાથ આપી રહેલી તેની પત્ની વગર ભોજનમાં તેને સ્વાદ આવતો ન હતો. ભોજનમાં તો સ્વાદ ન આવે; પરંતુ જીવનમાંથી યે તેનો સ્વાદ ઓસરી ગયો હતો. ઊજળીને જોવી હતી, એને મળવું હતું, એની પડખે બેસવું હતું. એટલું જ પંચમને માટે જીવનકાર્ય બાકી રહ્યું હતું.


ધર્મશાળા હિંદુઓની હોવા છતાં ફકીર પંચમને સુવાડી પાસે જ સૂતો. હિંદુભાવભર્યા ભજનો મુસલમાનો આજ પણ ગાય છે. ત્યારે હિંદુ-મુસ્લિમ પ્રજાના ધર્મભેદ આજના રાજદ્વારી ભેદ સરખા વિષમય ન હતા, ફકીરે થોડાં ગીત પણ ગાયાં, ભજનો પણ ગાયાં, વાતો કરી અને અંતે તેને લાગ્યું કે પંચમ જંપી ગયો છે એટલે ફકીર પણ તેની પાસે જ સુઈ ગયો. ફકીરની આંખ મળી ગઈ.

પરંતુ ચોથે પહોરે રાત્રે લગભગ નમાજ પઢવાને સમયે ફકીર એક બાંગ સાંભળી જાગી ગયો. એ બાંગ ઊજળીના નામની હતી અને તે બહારની વૃક્ષઘટામાંથી આવતી હતી. ફકીરે જોયું કે પંચમ પાસે સૂતેલો ન હતો. એકદમ તે બહાર નીકળ્યો, અને નદી તરફ દોડતા પંચમને એણે પકડ્યો. પંચમના વૃદ્ધ દેહમાં અપૂર્વ બળ આવ્યું.

ફકીરનો હાથ છોડાવી પંચમે પૂછ્યું :

'ઊછળી ક્યાં ગઈ ?'

'બાવાજી ! એ તો ભેખડ નીચે !' ફકીર જવાબ આપ્યો.

ઊજળી નદી અને ઊજળી સ્ત્રી બન્નેને માટે એ સત્ય કથન હતું. !

'મારી ઊજળીની હું વાત કરું છું...આ રહી... પેલી જાય ..ડાબી પાછળ... જુઓ, એની જ આંખો તગતગ થાય છે.' અમળાઈ જતા પગને ન ગણકારી અશક્ત દેહને અજબ વેગ આપી વૃદ્ધ ડાળી ભણી દોડ્યો.

'અરે, એ તો તારા તગતગે છે...' ફકીરે પાછળ દોટી કહ્યું.

'પેલું મુખ દેખાય..ઊજળીનું...'

'એ તો ચંદ્ર છે...'

'એ જ ઊજળી ! એનાં ઊડતાં વસ્ત્ર હું નહિ તો બીજું કોણ ઓળખે?' કહી વૃદ્ધ આગળ ધસ્યો. ફકીરને પણ એક ક્ષણ માટે ભ્રમ થયો કે ઊજળીનો દેહ ત્યાં આકાર ધારણ કરી રહ્યો છે. ઊજળીને બૂમ પાડી પંચમે બાથ ભીડી. પંચમે જાણ્યું કે ઊજળી તેને મળી. એના આત્માએ પરમ આનંદ અનુભવ્યો; પરંતુ ફકીરે

[ ૯૦ ]

પાછળ દોડી જોયું તો પંચમે એક વૃક્ષડાળીને બાથમાં લીધી હતી ! ક્ષણ...બે ક્ષણ...પાંચ ક્ષણમાં તો ડાળીએ બીડેલા પંચમના હાથ છૂટી ગયા અને શબ બની નીચે ઢળી પડ્યો !

માત્ર તેના મુખ ઉપર ઉજળી મળવાનો મહા આનંદ હતો !

ફકીરે પોતાની વાત કહી. પંચમના મૃત્યુની વિગત તો બરાબર મેં જોઈ એ જ હતી. શું પંચમગીરેનું ભૂત મેં જોયું ? હું વિચાર કરી રહ્યો. ફકીરે મને પૂછ્યું :

'સાહેબ ! આપે પણ આવું જ કાંઈ ઝાંઝવું જોયું, ખરું ?'

'સાચી વાત, સાંઈ ! એ જ સવારી ને ?' મેં પૂછ્યું.

'જી ! જુવાન ઈશ્કીઓ તો જોયા છે..પોણોસો–એંશી વર્ષના બુઢાપામાં આ પ્રેમ ? અજીબ ખ્યાલ..પણ એ બિચારાં કોઈને હેરાન કરતાં નથી. એકાદ રમત રમી અલોપ થઈ જાય છે.'

'તમારે અને એ સાધુને બનતું ખરું ?'

'શી વાત કરો છો, સાહેબ? એ તો મારા પિતા સરખા હતા. મંદિર સામે તકિયો ઊભો કરવાનો હુકમ પણ એમનો...તે સમયે આ મુસ્લિમ લીગનું ઝેર હિંદમાં ન હતું.

વિચારમાં ઊંડા ઊતરી જવાય એવી ઘટના બની ગઈ હતી. ફકીરે પંચમ તથા ઊજળીને લયલામજનૂની કક્ષામાં મૂક્યાં એમ જરા'ય ભૂલ ન હતી. એ વૃદ્ધ પ્રેમીઓને કલ્પનામાં ઊભાં કર્યા. યૌવનમાં પ્રેમની આગ એ બન્નેમાં કેટલી સળગી ચૂકી હશે?

એકાએક વિચાર આવતાં મેં ફકીરને પૂછ્યું :

'પણ સાંઈ ! આ સવારી હવે આમની આમ ચાલ્યા જ કરશે શું?'

'નહિ સાહેબ ! આ વાતને પચીસ વર્ષ વીતી ગયાં. હું જુવાન હતો તે હવે બુઢ્ઢો થઈ બેઠો છું. લોકો કહે છે કે આ વર્ષે ઊજળીનું

પાણી ઊંચે ચઢી આ ડાળને ભીંજવશે એટલે સવારી અદ્રશ્ય !'

'કેમ એમ ?'

'સાચું ખોટું અલ્લા જાણે... પણ લોકકથન છે કે...' ફકીરને મારી આંખમાં અશ્રદ્ધા દેખાઈ એટલે તે અટક્યો. મેં તેને પૂરી હકીક્ત કહેવા આગ્રહ કર્યો ત્યારે તેણે લોકોક્તિ કહી સંભળાવી કે પંચમગીર ઊજળી નદીને કિનારે ફેંકાયેલું એક અનાથ બાળક હતો. ઊજળી નદીએ મનુષ્યદેહ ધારણ કરી એ અનાથ બાળકને દીર્ઘજીવી બનાવ્યો. ડાળને અડકી ઊજળી એને હવે પચીસ વર્ષે મુક્તિ આપવાની છે.

* * *

એ જ સ્થળે બીજે વર્ષે મેં મારા તંબૂ તાણ્યા અને બહાર ખાટલામાં જ હું સૂઈ રહ્યો. મેં ફરી એ દ્રશ્ય જોયું જ નહિ. ફકીરે કહ્યું કે ઊજળીનાં પાણી ડાળને નવડાવી ઓસરી ગયા ત્યારથી કશો ચમત્કાર દેખાતો નથી.

વૃદ્ધાવસ્થા સુધી વિકસતો પ્રેમ અને જાગૃત સૃષ્ટિને છંછેડતી કોઈ અગમ્ય સૃષ્ટિ એ બેના વિચાર મને આવ્યા કરે છે. પ્રયોગ કરી હવે સાબિતી અપાય એવી આ વાત રહી નથી. હું પણ શાસ્ત્રીય રીતે આ આખા પ્રસંગને સમજી–સમજાવી શકતો નથી. છતાં આટલી નોંધ તો મારે રાખવી જ રહી ! ભવિષ્ય એને ઉકેલે તો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational