જાત્શત્રુ
જાત્શત્રુ
૩
સવારથી સાંજ સુધીમાં જ્યારે જયારે હું ઘરમાં આવું ત્યારે બાળકોને સ્વચ્છ અને સભ્ય રહેવાનો શું મારે બોધ કર્યે જ જવાનો ? કંઈ મળવા આવે ત્યારે દોડાદોડ અને હસાહસ ન કરવાની શું મારે નિત્ય શિખામણ આપવી ? છાનામાના સિનેમા જોઈ ભ્રષ્ટ ચારિત્ર્યવાળાં બાળકો ન બને એને માટે શું મારે તેમની ચોવીસે કલાક ચોકી કરવાની? કહ્યા વગર રમવા ચાલ્યાં જાય અને દીવા થતાં સુધી ઘરમાં ન આવે એવાં બાળકોને શું હું ધમકાવી પણ ન શકું? કે ધોલ પણ ન મારી શકું ? બાળકોનું સતત ઉપરાણું લેતી બાળકોની માતા પ્રત્યે હવે તો હું નજર નાખતાં પણ ઊકળી ઊઠતો !
હું જોઈ શક્યો કે ધીમે ધીમે બાળકો મારાથી સંતાતાં ફરતાં હતાં. હું બોધવચન કહું ત્યારે તેઓ ઊંઘરેટાં દેખાતાં હતાં, અને હું ઠપકો આપું ત્યારે હું જાણે તેમનો દુશ્મન હોઉં એવી લુખાશ હું તેમની આંખમાં નિહાળતો હતો. એક ચારિત્ર્યવાન, ફરજની ભાવનાથી પ્રેરિત વત્સલ પિતાને બાળકનું આ વલણ કેટલું દુ:ખભર્યું થઈ
[ ૧૨૨ ]
પડતું હશે તે મારા સરખો પિતા જ જાણી શકે ! ઘરમાં બાળકોને તો એમ જ લાગતું કે પિતા નહિ પણ એક રાક્ષસ છું, તેમનો પોષણહાર નહિ પણ તેમનો દુશ્મન છું. હું ઘણી વખત બૂમ મારતો કે બાળકો મારી સાથે ચા કેમ પીતા નથી, મારી સાથે જમતાં કેમ નથી, મારી સાથે વાતો કેમ કરતાં નથી, મારી પાસે આવી બેસતા કેમ નથી. સતત મારી સામે આવ્યા કરતી મારી પત્ની જવાબમાં એટલું જ કહેતી :
'હશે ! બાળકો છે. તેમનું મન હોય તે ભલે કરવા દો.'
'પણ તું જાણે છે, એથી એ બાળકોને કેટલો ગેરલાભ થાય છે તે ? સુરેન્દ્ર અરધો કલાક મારી પાસે બેસતો હોત તે જરૂર ફર્ટ કલાસમાં પાસ થાત, અને વીણા ગમે તેવી ચોપડીઓ વાંચી કવિતા લખતી થઈ ગઈ છે, તે સારી જગાએ પરણી જાત !' ગુસ્સે થઈ દલીલ કરતો.
પત્ની પહેલાં તો આવી દલીલના જવાબ આપતી; પણ છેલ્લે છેલ્લે એણે પણ જાણે મારી સાથે અબોલા લીધા હોય એમ એ અત્યંત થોડું જ બોલતી અને મારા ઘણાખરા પ્રશ્નોના જવાબ વાળતી જ નહિ. હું સહજ કહેવા જાઉં એટલે તે તરત રડતી અને નાસતાં-ફરતાં બાળકો મને જોતાં ત્યારે એક રોગ તરફ જોતાં હોય એમ ઘૃણા તેમની આંખમાં મને દેખાતી. હું આપધાત ન કરું તો બીજું શું કરું ? અગાશીમાંથી નીચે પડવું સહેલ હતું.
પરંતુ મારી પત્ની અત્યારે મને સુખ મેળવતાં રોકતી હતી. એક વખત મોતી સરખાં લાગતાં તેનાં આંસુ અંગારારૂપી બની ગયાં હતાં. મેં કહ્યું :
'તમને સ્ત્રીઓને ઠીક રડી રડીને દબડાવવાની કળા આવડી ગઈ છે ! શા માટે મારી પાછળ તું અગાશીમાં આવી ?'
'હું તો તમે જ્યાં જશો ત્યાં આવવા માટે સર્જાયલી છું.' રડતી પત્નીએ જવાબ આપ્યો.
[ ૧૨૩ ]
'દોઝખમાં પણ આવીશ?'
'હા ! પણ તમારે દોઝખને યાદ કરવું શા માટે પડે ? તમને ઊંઘ આવતી નથી એ જાણી હું તમારે માટે કોકોનો પ્યાલો કરી લાવી છું. ચાલો અંદર અને પી લો.'
આ દુશ્મન પત્ની મને કોકો પાયા વગર મરવા દેવાની નથી, એવી ખાતરી થતાં અગાશીમાંથી હું અંદર મારા સૂવાના ખંડમાં આવ્યો. ખંડ બહુ સુંદર રીતે શણગારાયેલો હતો એવું મારું વર્ષો પહેલાનું માનવું હતું. ઓરડો એનો એ જ હતો; એમાં એનો એ જ શૃંગાર હતો; એની એ જ પત્ની એમાં હતી. છતાં એ શયનગૃહ મને અકારું થઈ પડ્યું હતું. હું અત્યંત ચારિત્ર્યનિષ્ઠ હોવાથી, નીતિનો પરમ નમૂનો બનવા મંથન કરતો હોવાથી, હું અન્ય રૂપવંતી સ્ત્રીઓ તરફ નજર પણ નાખતો નહિ. સૌંદર્યસંપન્ન અન્ય જોડકાંને હસતાં રમતાં જોઈ હું દાઝી ઊઠતો. આમ ઉપરથી કોઈને લાગે નહિ, કઈ માને નહિ, છતાં હું બાળકોથી, પત્નીથી, જગતથી, અને મારી જાતથી પણ કંટાળી ગયો હતો. કમનસીબે કોઈક દર્દ અગર રોગ આવીને પણ મારા જીવનમાં ભાત પાડતાં નહિ ! શરીરની તંદુરસ્તી મને માંદગીનો શોખ પણ ભોગવવા દેતી નહિ.
શયનખંડમાં આવી એક ખુરશી ઉપર બેસી પત્નીએ આપેલ કોકોનો પ્યાલો મેં ધીમે ધીમે પીવા માંડ્યો અને મારી નજર સામે એક અત્યંત બદસૂરત, વિકરાળ ભૂત આવીને ઊભું રહ્યું હોય એમ મને લાગ્યું ! એની આંખ બિહામણી હતી; એના મુખની રેષાઓમાંથી કટુતાના ફુવારા ઊડતા મને દેખાયા; એના કપાળની કરચલી જાણે શોકને આમંત્રણ આપતાં તોરણ હોય એવી મને દેખાઈ. હું ચમક્યો. મને સહજ બીક લાગી એમ કહું તો ચાલી શકે. આવા ભયંકર દેખાવની છબી શા માટે મારી પત્નીએ મારા જ શયનખંડમાં લાવીને મૂકી હશે ? કોકોનો પ્યાલો મેં ટિપાઈ ઉપર મૂકી દીધો, અને અત્યંત ગુસ્સે થઈ મેં પત્નીને પૂછ્યું :
[ ૧૨૪ ]
'આ કોની છબી લાવીને મૂકી છે? કોને બિવડાવવા ?'
સહજ હસી મારી પત્નીએ કહ્યું :
‘એ તો આયનો છે ! એમાં કોઈની યે છબી નથી. જે સામું જુએ તે દેખાય.'
એક વીજળીનો ધક્કો મારા મગજને વાગ્યો. હું શું આવો ભયંકર દેખાઉં છું? મારું મુખ આવું વિકૃત બની ગયું છે? બાળકો અને કિશોર સંતાનો મારાથી ભાગે એમાં નવાઈ ન કહેવાય – જો મારું મુખ આયનામાં દેખાય છે એવું સૌને દેખાતું હોય તો ! મારા ઉપરી અને મારા હાથ નીચેનાં માણસો પણ મારા મુખ સામે કેમ જોતા નથી અને મારો કંઠ સાંભળવા કેમ તૈયાર નથી એનું પણ રહસ્ય મને સમજાયું. મારું જ મુખ ભયંકર બની ગયું છે ! મને જ એની બીક લાગી. એ કેમ આવું કુરૂપ બન્યું હશે ?'
'ભદ્રા ! મારું મુખ શું આવું ભયંકર છે?'
મારી પત્ની એકાએક મારી સામે જોઈ રહી. ફરી તેની આંખમાંથી આંસુ ખરેખર સરી પડ્યાં, અને તેણે કહ્યું :
'કેટલે વર્ષે તમે મને મારું નામ દઈને બોલાવી ! મુખ તો એવું રૂપાળું હતું ! પણ કોણ જાણે કેવો સ્વભાવ કરી નાખ્યો છે કે સ્વભાવ જ મોં ઉપર આવીને બેસી ગયો !'
આટલું કહી તે મારી પાસે આવી ઊભી રહી. મારે ખભે તેણે હાથ મૂક્યો, ટિપાઈ ઉપર પડેલો પ્યાલો તેણે હાથમાં લઈ મારા મુખ સામે ધર્યો, અને આંસુભરી આંખે હસીને મને કહ્યું :
'આજ તો હું જ મારે હાથે તમને કોકો પાઈશ.
એક ઘૂંટડો ભરી હું સહજ હસ્યો, અને એકાએક મારી પત્નીએ કહ્યું :
'જુઓ, જુઓ ! કેવું રૂપાળું મોં હવે લાગે છે? ” અને મેં આયનામાં જોયું. હું બહુ વર્ષે હસ્યો, નહિ ? મુખ ઉપરની મને બિવરાવતી કેટકેટલી ભયંકરતા ઓછા હાસ્યથી દૂર થઈ ગઈ? હું
[ ૧૨૫ ]
હસી શકતો ન હતો. મને, મારા ગૃહને, મારી દુનિયાને, અને મારી ફરજને અતિ ગંભીરતાપૂર્વક, બ્રહ્માંડના ભાર તરીકે ઊંચકીને હું ફરતો હતો, જેમાંથી મેં હાસ્યને, હળવાશને ટાળી કાઢ્યાં હતાં. શું હુ જ મારો દુશ્મન હતો ?
એ રાત્રે એક પણ કટુ શબ્દ મેં મારી પત્નીને કહ્યો નહિ. તેની એક પણ ફરજ મેં તેને સમજાવી નહિ. અને ખરેખર મને બહુ સુખમય નિંદ્રા આવી, જે મને વર્ષોથી આવતી ન હતી.
પ્રભાતમાં ઊઠી મેં મારી પત્નીને આજ્ઞા કરી કે સહુ એ મારી સાથે બેસીને તે દિવસથી ચા પીવાની છે. જે ઢબે મારાં જ સંતાનો મારી આજ્ઞા માનીને બીતાં બીતાં મારી પાસે આવીને ચા પીવા લાગ્યાં તે ઢબ જોઈ મને હસવું આવ્યું, અને મને હસતો જોઈ બાળકોને પણ નવાઈ લાગી. મેં પણ હસતાં હસતાં બાળકોને કહ્યું:
'હવે તમારો દુશ્મન મારામાંથી અલોપ થયો છે, અને ધીરે ધીરે તમે મારામાં એક પિતાને જોશો. પણ જ્યારે જ્યારે તમને એમ લાગે કે હું તમારો દુશ્મન છું ત્યારે ત્યારે તમારે એક આયનો મારી સામે ધરી દેવો.'
આટલું કહી હું હસ્યો. બાળકોને પણ મારી સૂચના હસવા જેવી લાગી. મારી પત્ની સિવાય આ રહસ્યનો સ્ફોટ મેં કોઈની આગળ કર્યો નથી; પરંતુ તે દિવસ પછી હું, મારાં ચારે સંતાનો અને મારી પત્ની અત્યંત કિલ્લોલથી દિવસ અને રાત ગુજારીએ છીએ. અને મારા ઉપરીઓ મારી સલાહ લે છે તથા મારા હાથ નીચેનાં માણસો તેમની મુશ્કેલીઓનો ઉકેલ મારી પાસે માગે છે. આપઘાત કરવાની ઘેલછા સ્વપ્ને પણ મને હવે આવતી નથી. કારણ, આયનાએ સ્પષ્ટ કરેલો મારો દુશ્મન તે દિવસથી અલોપ થઈ ગયો છે.
એ મારો દુશ્મન તે હું પોતે જ ! મારો અકારો, કડવો, અનિષ્ટ સ્વભાવ ! મારી નીતિઘેલછા અને જવાબદારીની અતિ ગંભીરતા ! એટલે મેં આવા સ્વશત્રુ માટે જાતશત્રુ નામ શોધી કાઢ્યું છે.
[ ૧૨૬ ]
જેમને જેમને એમ લાગે કે તેમની પત્ની, તેમનાં સંતાન, તેમના મિત્રો, તેમના સંબંધીઓ, તેમનાથી નાસતાં ફરે છે, તેમણે ચોક્કસ માની લેવું કે તેમને જાતશત્રુએ જ ઘેર્યા છે.
અને જાતશત્રુનો વિનાશ કરવાનું સાધન એક જ :
આયનામાં સ્વમુખ નિહાળવું !
અરે, આયનામાં ન જોવું હોય તો વગરકારણે પણ સ્મિત કરવું – બાળકથી માંડી વૃદ્ધની સાથે ! અને તમારી પત્ની સાથે તો ખાસ !
સ્મિતરહિત ક્ષણ જતાં જાતશત્રુ તમને જીતી લેશે.
પરંતુ મારી ખાતરી છે સ્મિતભર્યું મુખ રાખવાની ટેવ પડશે તો તમે તમારા મુખને આયનામાં જરૂર નિહાળશો.