વેદનાનો ઈલાજ
વેદનાનો ઈલાજ
સુનિલ... ઓ સુનિલ...
આ વેદના મારાથી સહન નથી થતી, સુનિલ. જરા ડોક્ટર ને ફોન કરી તેડાવને... રમણકાકા ઘરમાં એકલાં બેઠાં બેઠાં બૂમ પડતાં હતાં. કોઈ તો કરો આનો ઈલાજ. મારું તો કોઈ સાંભળતું જ નથી આ ઘરમાં. લતા તો કોણ જાણે ક્યાં રોકાય ગઈ હજુ માર્કેટથી આવી જ નથી. રમણકાકા બોલતા હતા અને એમના સામેના મકાનમાં રહેતો ચિરાગ આ દૃશ્ય જોઈ જીવ બળતો હતો. રમણ કાકાની દશા પર એને ખૂબ દયા આવતી. લતા એટલે રમણલાલના પત્ની જેમનું ૬ મહિના પૂર્વે અવસાન થયું અને દીકરો સુનિલ તો અમેરિકા ગયા બાદ દેખાયો જ નહીં. એકલાં જીવન જીવવાની કોશિશોમાં જ રમણ કાકા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા. એમને ઘણી વાર છાતીમાં દુખાવો થતો અને રમણ કાકા આમ જ સુનિલને બોલાવતા.
હવે આ અવાજ રોજની આદત બની ગઈ હતી. એટલે પાડોશી ક્યારેક સમય મળ્યે એમની પાસે બેસી આવતાં. પાછું એમ કશું નહીં, તમે મળો તો જાણે એમને કશું થયું જ નથી. પરંતુ હજુ લતાકાકી અને સુનિલને એ ઘરમાં જ જોતાં.
એક દિવસ રોજની જેમ પાછાં રમણ કાકા બૂમો પાડતા હતા અને એમની ડેલી ખોલી કોઈ અંદર ગયું અને રમણ કાકા અને આવનાર વ્યક્તિના ધૃષ્કાનો અવાજ ચોખ્ખો બધાને સંભળાતો હતો તેથી કુતૂહલ વશ બધા પાડોશી રમણ કાકાના ઘરે પહોંચ્યાને જોયું તો કોઈ વ્યક્તિ રમણ કાકાને ભેટીને રડતો હતો અને રમણ કાકા પણ ચોધાર આંસુડે રડતાં હતાં.
જ્યારે બન્નેને થોડી શાંત્વના મળી ચિરાગ પાણીનો ગ્લાસ લઈ રમણ કાકા તરફ આગળ વધ્યો અને જોયું તો આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં સુનિલ હતો. સુનિલ આજે ૭ વર્ષ પછી પોતાના ઘરે પાછો ફર્યો હતો. એણે પોતાની આપવીતી સંભળાવતાં જણાવ્યું કે તેને દગાબાજીના જુઠ્ઠાં આરોપમાં ૨ વર્ષ પૂર્વે પાંચ વર્ષની જેલની સજા થઈ હતી પરંતુ ત્યાંના પોતાના એક વકીલ મિત્રના સહારે એ કેસની ફરી તૈકિકાત કરતાં બે દિવસ પહેલાં એ નિર્દોષ સાબિત થયો અને એને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો કે તરત જ એણે વતન પરત ફરવાનો નિર્ણય કર્યો. ફોન પર પોતાના માતા પિતાના ખબર અંતર પૂછતા લતા કાકીના અવસાન અને રમણ કાકાના હાલ સાંભળી સુનિલ તો ભાંગી જ પડ્યો.
આમ રમણ કાકાની વેદનાનો ઈલાજ થઈ ગયો. સુનિલ અને રમણ કાકા ફરીથી ખુશીથી જીવવા લાગ્યા અને ચિરાગને પણ હૈયે ટાઢક થઈ.