ખુશાલ ભવનની રુદન રાત
ખુશાલ ભવનની રુદન રાત
ગુલાબનગરમાં શિયાળાની અંધારી નીરવ રાતમાં શ્વાન રડતું' તું અને અચાનક એક ફોનની રીંગ વાગી અને એ ફોન આકાંક્ષા એ ઉપાડ્યો, હા... હું આકાંક્ષા... હા હું જ અનંતની પત્ની... ના... એવું ન હોય, સાહેબે કંઈ સમાચાર આપી વાત પૂરી કરી. અને આકાંક્ષા ત્યાંજ બેસુધ બનીને ઢળી પડી, ખુશાલદાસ ને વનીતાબેન આકુવ્યાકુળ થઈ ઉઠ્યાને સંદીપ સાહેબને પાછો ફોન કર્યો, પણ સાહેબે ફોન ન રિસીવ કર્યો. અને થોડીવારમાં પાંચ વર્ષનો કૃણાલ એની માતાને બેસૂધ ભાળી રુદન કરવાં લાગ્યો.
અને વનિતા દાદી કૃણાલને ખોળામાં બેસાડી શાંત કરતાં' તા, અને ખુશાલદાસ એ ડો. દીપકને ફોન કરીને તત્કાલ બોલાવ્યાં, એટલાંમાં કોઈએ ડેલી ખખડાવીને ખુશાલદાસ એ ડેલી ખોલીને સામે અનંતના બોસ સંદીપભાઈ હતા, સજળ આંખે કંઇક બોલવાનો પ્રયાસ કરતાં' તા. પણ જાણે અવાજ જ નો'તો નીકળતો.
ને ખુશાલદાસ પ્રશ્નાર્થ ભાવ લઇ મુખ પર સંદીપ સામે જોઈ રહ્યાં. એટલી ક્ષણોમાં એમ્બ્યુલન્સ આવી ઉભી રહી. અને એમ્બ્યુલન્સના અધિકારી અનંતના શબને ઘરમાં લઇ જવાની તૈયારી કરવા લાગ્યાં. ને એટલાંમાં દીપક સાહેબ પહોંચ્યાં અને તે ઘરમાં પ્રવેશી પહેલા આકાંક્ષાની નાળ તપાસી અને ડો. દીપકને જાણે સાપ સૂંઘી ગયો અને એમને ખુશાલદાસને સાઇડ માં બોલાવી ધીમા અવાજે આકાંક્ષાએ પ્રાણ છોડ્યા વિશે જણાવ્યું. એક સાથે બાજુ બાજુમાં પતિ પત્નીના શબને જમીન પર સુવડાવ્યા અને ખુશાલદાસ હૃદયના ભાગ પર હાથ દબાવી ખુરશીમાં બેસી ગયા અને વનિતા સામે જોઈ રહ્યાં, સજળ નેત્રે વનિતા એ હિંમત એકઠી કરી સૌ સ્નેહી પાડોશીને માઠા સમાચાર આપ્યાં.
થોડી વારમાં સૌ સગા સ્નેહી ખુશાલ ભવન પહોંચ્યાં અને ખુશાલદાસ અને વનિતા પોતાના એકનાએક દીકરા અને એ પાંચ વર્ષના કૃણાલની માતા અને પોતાની પુત્રવધૂના નિધનનું દુઃખ વ્યક્ત કરવા લાગ્યાં.
સૌ સ્નેહી અને પાડોશી સાથે ખુશાલદાસ આકાંક્ષા અને અનંતના મૃત દેહના અગ્નિસંસ્કાર માટે સ્મશાન લઇ ગયાં. અને કૃણાલના ખુશાલ ભવિષ્યને ખુશાલદાસ એ ભારી મનથી અગ્નિને દેહથી સ્પર્શ કરાવ્યો.
એ નિર્બળ પિતાની વ્યથા એમના પાડોશી મંગલકાકા એ ધીમા અવાજે વાચા આપી અને કહ્યું "ઈશ્વર કેવો નિર્દય છે નઈ ? એટલે એમની બાજુમાં ઉભેલા કપિલએ એમની વાતમાં હા ભણી. અને મંગળકાકા બોલ્યા
'બેચારો ખુશાલ હવે આ એંશી વર્ષની ઉંમરમાં કૃણાલને કેમ સાચવશે ? ડોશી વનિતા ને પણ પેરાલિસિસનો હુમલો એક વાર આવી ગયો છે. એટલે હવે એનાથી પણ કંઇ કામ નથી થતું. વળી આકાંક્ષાના પરિવારમાં પણ કોઈ નથી એના લગ્નના થોડા સમયમાંજ એની માતા સુમિત્રા એ દુનિયાથી આંખો વીંચી લીધી' તી. અને નાનપણમાં જ બેચારીના પિતાનું નિધન થઈ ગયું' તું. ખુશાલે દત્તક લીધેલ અનંતે હજુ સંસારના પગથિયે પગ દિધો જ તો ને સંસારથી અનંતને આકાંક્ષા એ આંખો ઢાળી લીધી.'
ખુશાલ ને વનિતા હવે કેટલો વખત ? બેચારા કૃણાલનું શું ? એ વાતો વચ્ચે આકાંક્ષા ને અનંતના પાર્થિવ દેહના અવશેષોને નાની માટલીમાં મૂકતા ખુશાલદાસ ડુસકા ભરી ભરી રડવા લાગ્યાં. અને ત્યાં ઘરે કૃણાલ એના માતા પિતા વિશે દાદીને સજળ નેત્રે પૂછતો' તો અને દાદી વનિતા ભારી અવાજે આંખોના અશ્રુ સંતાડી કૃણાલને આભના ચમકતાં તારલાં દેખાડી સમજાવા લાગ્યાં કે 'તારા મમ્મી- પપ્પા તારા માટે એ ચમકતો સિતારો લેવાં ગ્યા છે. હમણાં આવી જશે' હો કહેતાં જ વનિતા ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યા.'