વારસો
વારસો
ધનાઢ્ય કુટુંબ.. ખૂબ જ મહેનત કરીને આગળ આવેલા એક બિઝનેસમેન. અને એ મહેનતનું ફળ સંતાનોને એ રીતે મળ્યું કે જન્મ થયો ત્યારથી તે શ્રીમંત પરિવારમાં જન્મેલા ગણાયા. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. કોઈ પણ વાતે બાળકોને ઓછું ન આવવા દીધું. આગળ અભ્યાસ માટે પરદેશ પણ મોકલ્યા કે લક્ષ્મીજી અને સરસ્વતીજી બંનેનો ઘરમાં વાસ રહે.
બંગલામાં પાછળ નોકરો માટે બનાવેલા એક રૂમ રસોડાના મકાનમાં રહેતા નોકર કુટુંબનો દીકરો પણ શેઠના એક દીકરા જેટલો જ હતો. બંને દીકરા પરદેશ ચાલ્યા ગયા ત્યારે તે ગરીબ છોકરો આગળ અભ્યાસ ન કરી શકે તેમ હોઈ ડ્રાઇવર તરીકે લાગ્યો. પાછળની સીટ પર બેઠેલા શેઠની ફોન પર થતી વાતચીત અને આગળના મિરરમાં તેમના દેખાતા પ્રતિબિંબમાં તેમના હાવભાવ તે બધાનો તે પુરાવો હતો. તેને ક્યારેક લાગતું કે શેઠ પોતાના પુત્રોને જરૂર કરતાં વધારે સગવડો આપે છે જેનાથી ક્યારેક નુકશાન થઈ શકે.
અભ્યાસના વર્ષો પછી પાછા આવેલા પુત્રો એ વ્યવસાય સંભાળી લીધો. અને ધીમે ધીમે તેમાં એવો પગપેસારો કર્યો કે બધું જાણે પોતાના હસ્તક લઈ લીધું. પિતાની કોઇપણ વાત તેઓ "હવે આવો ટ્રેન્ડ નથી. અમે પરદેશ ભણીને આવ્યા છીએ." તેમ કહી તેઓ ઉડાવી દેતા. પિતાના આંધળા પ્રેમે દીકરાઓ બહુ જ હોશિયાર છે તેમ સમજી બધું જ તેમના નામે લખી દીધો. " વારસામાં" બધી સંપત્તિ લખી દીધી.
ધીમે ધીમે પુત્રોને તેમની સ્વતંત્રતામાં અને ઘરમાં માતા-પિતા ખૂંચવા લાગ્યા. અને એમને બહાર કાઢી દીધા. ત્યારે નોકરના પુત્રએ તેમને રસ્તામાંથી પોતાના ઘરે આશરો આપ્યો અને કહ્યું, "આ ઘર તમારું જ છે, તમારું જ આપેલું છે. તમે મારા પિતાની જેમ જ આ ઘરમાં મને દીકરો ગણી રહી શકો છો." ત્યારે તે મોટા બિઝનેસમેનને એમ થયું કે સંપત્તિના બદલે મારા નોકરે તેના સંતાનોને સંસ્કારનો જે વારસો આપ્યો તે શ્રેષ્ઠ છે. થોડા દિવસો પહેલા હું મને ખૂબ જ પૈસાદાર ગણતો હતો પણ આ ગરીબ મારા કરતા ઘણો અમીર છે.