STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

ટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તી

ટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તી

3 mins
0


દુનિયા આજે જ્યાં ઊભી છે, ત્યાં વિકાસ અને વિનાશ વચ્ચે એક આછી પાતળી છતાં અદ્રશ્ય લકીર ખડી છે. આ લકીર એટલે કે, "વધતી જતી જનસંખ્યા અને ઘટતી જતી ધરતીની ક્ષમતા." હમણાં 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિન ( વર્લ્ડ પોપ્યુલેશન ડે) ઉજવાયો હતો. આ દિવસની ઊજવણી માત્ર આનંદની નહીં, પરંતુ ચેતવણીની પણ છે. આજે વધતી જતી વસ્તી એ મહાવિકટ પ્રશ્ન છે.


વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હવે ભારત છે. આશરે 140 કરોડથી પણ વધુ લોકો ભારતમાં વસવાટ કરે છે. મોટાભાગની વસ્તી યુવાઓની છે, જો ધારીએ તો યુવાનોની શક્તિ કંઈક અલગ દિશા બનાવી શકે. ઉપરાંત આજે અનેક પરિવારો પરિવારનિયોજન વિશે જ જાણતા નથી. જે લોકો જાણે છે એમને દીકરો ઘરનો કુળદીપક કહેવાય એવું માનીને ઘરમાં દીકરો ના આવે ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ કરતાં રહે છે. કારણ કે આમાં હજુ સ્ત્રીઓની ઈચ્છા ચાલતી જ નથી. સ્ત્રીઓને સંતાન જોઈએ છે કે નહીં, પુત્ર જોઈ કે પુત્રી, કંઈ જ તેનું ચાલતું નથી, કારણ કે ઘરના વડીલો જે વિચારે એ વિચારે બાળકો થતાં હોય છે. 


ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ નહિવત જેવી જ છે. બેરોજગારીને નાથવા સૌ પ્રથમ વસ્તી નિયંત્રણ લાવવી ખૂબ જરૂરી છે. જો સમયસર સરકાર કડક અને ગંભીર પગલાં નહીં લે તો આગામી થોડા વર્ષોમાં આપણા જ સંતાનોના સંતાનો બેરોજગાર હોય શકે. કડક કાયદા અને પૂરતું શિક્ષણ ફરજિયાત કરવું જ પડશે. એક માનવ તરીકે આપણી પણ ફરજ છે કે, "બંધારણનાં દરેક કાયદાને સવિનય માન આપવું." આજે માનવના મગજમાં દરેક કાયદાની સામે છટકબારી પેલા ઘડાય છે. સરકાર પણ નિંદ્રાધીન અવસ્થામાં જ બધું ચૂપચાપ જોઈ લે છે. માણસો આજે એટલે જ કોઈ કાયદાનાં ભંગથી ડરતી નથી. કારણ કે, "કાયદાનાં ભંગ બદલ લૂલો દંડ ફટકારાય છે."


'વર્લ્ડ પોપ્યુલેશન ડે' ઉજવવાથી કોઈ વસ્તી નિયંત્રણ ના થઈ શકે. કારણ કે આજે હજુ અશિક્ષિત તો ઠીક, પરંતુ શિક્ષિત લોકો પણ ઘરમાં દીકરાને જ પ્રાધાન્ય આપે છે. દીકરા વગર વંશવેલો આગળ ના વધે જેવી માનસિકતા હજુ પણ મોટાભાગના કુટુંબોમાં ઘર કરેલી છે. દીકરી હોય કે દીકરો, મા બાપને કોઈ ફર્ક ના પડવો જોઈએ. આજની વાસ્તવિકતા એ છે કે, "દીકરો ઘરડાની લાકડી કહેવાય." આજે આ વાક્યથી વિપરીત પરિસ્થિતિ છે. છતાં મા બાપને દીકરાના મોહ જતા જ નથી. દીકરાના મા બાપ પણ એટલા જ રડે છે, જેટલાં દીકરીના મા બાપને અફસોસ છે કે, " મારે કોઈ દીકરો નથી." 


જો ભવિષ્યની ચિંતા કરવી હોય તો વસ્તી નિયંત્રણ જ જરૂરી છે. દર વર્ષે આ માટે યુ એન દ્વારા અલગ થીમ અપાય છે. આ થીમ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય અને ધ્યાન પણ કેન્દ્રિત થાય એ હેતુ દર વર્ષે થીમ પણ બદલે છે. આ વર્ષની થીમ છે, "ટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તી." વિકાસ માટે સંખ્યા નહીં, પરંતુ ગુણવતા, સંસ્કાર, સુવ્યવસ્થા, સમજદારી પણ એટલી જ મહત્વની છે. ભારતમાં આજે કૂદકેને ભૂસકે વસ્તી વધી રહી છે. 


સરકાર પાસે નીતિ નિયમો તો ઘણાં છે. આરોગ્ય ખાતા પાસે અનેક યોજનાઓ છે. આમ છતાં ભારતમાં પરિવર્તન તો ત્યારે જ આવશે જયારે દરેક નાગરિક પોતાની મૂળભૂત ફરજોને પોતાની સમજે. દરેક પરિવાર દેશને પોતાનો પરિવાર માનીને વિવેકપૂર્વક દરેક કાયદા કે નિર્ણય લેવા માટે પરિવારની પહેલા દેશને આગળ રાખશે. એક સંતાન હોય કે બે, દીકરી હોય કે દીકરો, આ મહત્વનું નથી. જે પણ સંતાન છે એમની ગુણવતા કે સંસ્કાર ના ઘટવા જોઈએ.



   - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational