તો પછી તે કોણ હતું
તો પછી તે કોણ હતું
ગીતામાસીને આજે થોડું ઠીક નહોતું લાગી રહ્યું, શરદી અને માથું ભારે લાગતું હતું. દીકરાએ ડોક્ટર પાસે જવાનું કહ્યું પણ કોરોનાકાળમાં ડોક્ટર પાસે જવું એતો બહુ તકલીફવાળું લાગતું.
ગીતામાસીને કંઈ ખાસ એવી તકલીફ નહોતી એટલે તેમને કોઈ ચિંતા નહોતી. ડોક્ટરે તો પહેલા તેમનો કોરોના ટેસ્ટ કર્યો. શરદી હતી એટલે સ્વાભાવિક કોરાના પોઝિટિવ આવ્યો અને તેમને એડમિટ કરવાનું કહ્યું.
કોરોના વોર્ડમાં ગીતામાસીને એડમિટ કર્યા. આજુબાજુ બધા બેડમાં કોરોનાવાળા જ દર્દીઓ હતાં. ફેમિલીવાળા કોઈ તેમને મળી શકે નહીં, માત્ર ફોન પર અને વિડિઓકોલ પર વાત થતી. તેમાં ગીતામાસીનો ફોન ખરાબ થઈ ગયો અને તેમની સાથે ફેમિલીને વાત કે મળવાની કોઈ પરવાનગી નહોતી મળતી.
એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો ગીતામાસીના પૂરા પરિવાર ઉપર જાણે કે દુઃખ તૂટી પડ્યું. ગીતામાસી આ દુનિયામાં નથી એ સાંભળતા જ ઘરના બધા અંદરથી ભાંગી ગયા.
ઘરના લોકો વગર તેમનો અંતિમ સંસ્કાર થઈ ગયો, દીકરો કે ઘરના કોઈ તેમનું મોં પણ ન જોઈ શક્યાં.
2 દિવસ પછી ફરી ગીતામાસીના દીકરાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો વાત કરતાં કરતાં એટલું જ બોલ્યો, "ના હોય..! તો પછી તે કોણ હતું ?"