શ્રેષ્ઠતમ શિક્ષક બનવા પ્રયત્નશીલ મારા સારસ્વત મિત્રોને એક પત્ર
શ્રેષ્ઠતમ શિક્ષક બનવા પ્રયત્નશીલ મારા સારસ્વત મિત્રોને એક પત્ર
આત્મીય મિત્રો,
એક પ્રસન્ન શિક્ષક વર્ગને જીવંત બનાવે છે. ભણાવી નાખનારા શિક્ષકો કરતાં વિદ્યાર્થીઓને તો એમને પ્રેમ કરનારા શિક્ષકો વધુ ગમતાં હોય છે. પરસ્પરનો સ્નેહ ગુરુ-શિષ્યના સંબંધનો પાયો છે. સદનસીબે દરેક શાળામાં આવા એકાદ પ્રેમાળ શિક્ષક મળી આવે છે. વિદ્યાર્થીઓમાં આવા પ્રેમાળ શિક્ષકની બોલબાલા હોય છે.આવા શિક્ષક પ્રયોગશીલ હોય છે. તેઓ કોઇની પ્રશંસા કે વખાણના મોહતાજ નથી હોતા ! હંમેશા પ્રસન્નચિત્ત રહેતો શિક્ષક શાળાનું ઘરેણું છે. સમસ્યાઓ બધા ક્ષેત્રે હોવાની જ અને તેના ઉકેલ શીખવનાર શિક્ષક જ શાસ્ત્ર મૂકી શસ્ત્ર ઉપાડવાની વાતો વિચારે ત્યારે સમગ્ર શિક્ષક સમાજની નિષ્ઠા પર પ્રશ્નાર્થ સર્જાય છે કારણકે શિક્ષક થયા એટલે સહનશક્તિ અને સમજશક્તિનો સમન્વય સાધતા શીખવું જ રહ્યું....!
એક એન્જિનિયરની ભૂલને કારણે કોઈ યંત્ર કે પુલ તૂટી જશે તો સમાજ તેને માફ કરી દેશે...કોઈ ડોક્ટરની ભૂલને કારણે દર્દીની હાલત વધુ બગડશે તો પણ સમાજ તેને માફ કરી દેશે..પણ એક શિક્ષક પાસે સમાજ ને ખૂબ જ અપેક્ષાઓ છે આથી તે કોઈ ભૂલ માફ નહીં કરી શકે. આ પડકારજનક ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર જ શિક્ષકમાંથી ગુરૂનું પદ પ્રાપ્ત કરે છે.
ખેર, શિક્ષકદિન ના શુભ અવસરે આપ સર્વેમાં રહેલ આવા શ્રેષ્ઠતમ શિક્ષકત્વને વંદનસહ અભિનંદન....અને જો આવો શ્રેષ્ઠતમ શિક્ષક આપમાં ન મળે તો તેનું પ્રાગટય કરવાની જવાબદારી લો અથવા કાર્યક્ષેત્ર મૂકવાં માટે તૈયાર થાઓ.
શિક્ષક યાચક નહીં વાચક હોવો જોઈએ.
શિક્ષક સમસ્યા નહીં ઉકેલ હોવો જોઈએ.
શિક્ષક ત્રસ્ત નહીં વ્યસ્ત હોવો જોઈએ.
શિક્ષક પથ નહીં પથદર્શક હોવો જોઈએ.
ખેર, શિક્ષક શું હોવો જોઈએ એ આપ સર્વે જાણો જ છો... આજે શિક્ષકની સામે અનેક પડકારો છે.
પ્રશ્નો, સમસ્યા, અવગણના, અપમાન, ટીકા, નિંદા, દોષારોપણ...વગેરે આ યાદી લાંબી થાય...આવું કરનાર લોકોના મૂળમાં પણ આપણાં જ શિક્ષક સમાજે ભૂતકાળમાં આપેલ અધૂરી કેળવણી જ હોય શકે..!!! બાકી આવું થાય કેમ ? ભવિષ્ય આપણા હાથમાં છે..!
આ બધું ભૂલી એક શિક્ષક પોતાના ધર્મને જો ન ભૂલે તો સમાજ તેમને ક્યારેય નહીં ભૂલે..અને અવશ્ય ગૌરવ તથા સન્માન આપશે જ..!
દેવત્વને પોષવાના ઉત્તમ ક્ષેત્રે કાર્યરત તમામ શ્રેષ્ઠતમ શિક્ષકમિત્રો આપ માનવઘડતર દ્વારા રાષ્ટ્રઘડતર કરો તેવી શુભેચ્છાઓ.
જય જગત જય માનવ
ડો અતુલ વ્યાસ તરફથી શિક્ષક દિનની શુભકામના.