પ્રપંચ
પ્રપંચ
ઈશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું. પશુ પંખી માનવીને બનાવ્યા. માનવ માટે જીવન જરૂરી વસ્તુનું સર્જન કર્યું. હવા પાણી ખોરાક આપ્યો. અને ઇન્સાનને સર્વ સર્જનોમાં શ્રેષ્ઠ બનાવ્યો. માનવીને બુદ્ધિ આપી, જેથી એના વડે ઈશ્વર સુધી પહોંચી શકે. સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી જે પોતાની મરજી પ્રમાણે કરી શકે. ઇન્સાનને બધા સર્જનોમાં ખલીફ યાને કે રાજા બનાવ્યો છે. અને પશુ પંખી પ્રકૃતિની જતન કરવાની જવાબદારી માનવીને સોંપી છે.
માનવીને તીક્ષ્ણ બુદ્ધિ આપી જેથી બીજાની ભલાઈ કરી શકે, પરંતુ અહીતો ઉલટું થયું, બીજાને પછાડવામાં, બીજાથી આગળ નીકળી જવાની હોડમાં પ્રપંચ કરવા લાગ્યો.
શાયદ ઈશ્વરને પણ પસ્તાવો થતો હશે. જ્યાં જુઓ ત્યાં પ્રપંચ, કુટુંબમાં સંપતિ માટે, દેશમાં ખુરશી માટે ધંધામાં બીજાથી આગળ થઈ જવા માટે પ્રપંચ, ક્યાં નથી પ્રપંચ ! કોનાં પર વિશ્વાસ કરવો અમૃતમાં ભેળવીને જહેર આપે છે માનવી. ભરોસો કોનો કરવો ?
ઈશ્વરના સર્જનમાં માનવી સિવાય કોઈ જગ્યાએ પ્રપંચ નથી. બગીચામાં લીમડા નીચે ઉગેલા ગુલાબે ક્યારેય લીમડાને એમ નથી કહ્યું, તું આઘો ખસ આ સૂર્યપ્રકાશ મારા પર નથી આવતો, ગુલાબના છોડ પર ચમેલી વીંટળાય તો ગુલાબનો છોડ એમ નથી કહેતો કે તું આઘી રહેજે તારા આવવાથી મારો દેખાવ બગડી જશે, હરેક છોડ હરેક વેલને વિંતાળવણમાં મદદરૂપ થાય છે. વૃક્ષ પંખીઓને માળા બનાવવાની કદી નાં નથી પાડતું, બગીચામાં ક્યારેય ફૂલો વચ્ચે માથાકૂટ થાય છે ? આકાશમાં કોઈ સિતરાને લડતા આખડતા જોયા ? દરીયા એ માછલીને કોઈ દી દરિયામાં રહેવાની મનાઈ ફરમાવી ?કેટલાય જીવજંતુ પાણીમાં રહે છે, દરિયો કોઈના પ્રત્યે ભેદભાવ રાખે છે ?આકાશમાં ચાંદ સિતારા સૂરજ વચ્ચે ક્યારેય મગજમારી જોઈ છે ?
બસ ઇન્સાન ઇન્સાન વચ્ચે આવું ચાલ્યા જ કરે. બીજાને પછાડીને ખુશ થાય.
ઇતિહાસ પણ એનો ગવાહ છે, શકુનીનાં પ્રપંચના લીધે પાંડવો હાર્યા એને દુર્યોધનને પાંડવો વિરૂદ્ધ ભડકાવ્યા હતા. અને મહાભારતના યુધ્ધ માટે શકુનિ પણ જવાબદાર હતા. એને સુખી કુટુંબને મહાભારતનું રણક્ષેત્ર બનાવી દીધું હતું. ચોપાટમાં હરાવીને રાજ્ય ઉપરાંત દ્રોપદીને પણ જીતી લીધી, અને આ બધું પાછું મેળવવા પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું.
ઇતિહાસમાં આવા ઘણા બધા બનાવો છે, રાજાઓ પણ બીજાના રાજ્ય પર ચડાઈ કરી અને બીજા રાજાથી ચડિયાતા થવા બધું છિન્ન ભિન્ન કરી નાખે છે. રાજકારણમાં પણ એવું જ છે. હવેતો શિક્ષણ જગતમાં પણ એવું જ છે. કોનો ભરોસો કરવો ? મીઠી જબાનની પાછળ વિષ ભરેલું હૈયું છે.
જોકે પ્રપંચ કરનારને છેવટે એના કર્મની સજા ભોગવવી જ પડે છે. એ આપણે મહાભારતના બનાવોમાં પણ જોઈ શકીએ છીએ. ઈશ્વર બધાના કર્મોના લેખા જોખા કરે છે અને કર્મનું ફળ કે સજા દરેક વ્યક્તિએ ભોગવવી જ પડે છે. પ્રપંચ થી મેળવેલું ટકતું નથી. મહાભારતના યુધ્ધમાં છેવટે પાંડવોનો વિજય થાય છે. સત્યની સાથે હંમેશા ઈશ્વર છે.
એટલે પ્રપંચ ક્યારેય ના કરવો. પ્રપંચ કરવાથી તો તમારું મેળવેલું પણ ચાલ્યું જાય છે કદાચ ધન દૌલત મળી જશે. પણ જીવનમાં જીવવા માટે જરૂરી એવા ચેન સુકુન ગાયબ થઈ જાયછે. રાતોની નીંદ ગાયબ થઈ જાય છે. માનવીનો અંતર આત્મા એને જંપવા દેતો નથી.
આખરે તો પ્રપંચ કરનાર જીતીને પણ હારી જાય છે.