પરિસ્થિતિને પારખે તે પંડિત
પરિસ્થિતિને પારખે તે પંડિત
તેઓ વડાપ્રધાન તો ન બન્યા, પણ નાયબ વડાપ્રધાન બનીને કામ તો વડાપ્રધાનથી પણ વિશેષ કરી લેતા.
તેઓ પરિસ્થિતિને બરાબર જાણી લેતા હતા. ભારતને આઝાદી મળી ત્યારે કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ગયો. તેઓને ડર હતો કે યુનોમાં આ પ્રશ્નને યોગ્ય ન્યાય નહિ મળે. બન્યું પણ એવું જ. છતાં તેમની સમય-સૂચકતાને લીધે ભારત હસ્તકનું કાશ્મીર જતું બચી ગયું !
તેઓ કોઈ વ્યક્તિને કામ સોંપવું હોય તો તેને પૂરી જાણી લીધા પછી કામ સોંપતા અને પછી તો તેમના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકી શકતા. માણસને ઓળખવાની તેમનામાં અદ્ભુત શક્તિ હતી. તેઓ જાણે હીરાપારખું હતા. તેમણે જે વ્યક્તિઓને પોતાની મદદમાં લીધેલ, તેમાંથી તેની પસંદગીમાં કયાંય થાપ નહોતી ખાધેલ. જાણે કુંભાર પાસે જઈને ઘડો ટકોરા મારીને લીધો હોય, તેમ અહીં પણ તેઓની પસંદગી ટકારોબંધ માણસો જ હતા.
દેશ આઝાદ થયો. દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કરવાનું હતું. આ કામ પોતે સંભાળ્યું હતું. એટલે કામ કરવા માટેનો હવાલો તેઓએ વી. પી. મેનનને સોંપ્યો અને મેનને આ કામ બરાબર પાર પાડયું. (એટલે તેઓને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે. પરંતુ બિસ્માર્કને જર્મનીનાં ૩૬ કે ૪૦ રજવાડાં એક કરતા વર્ષો લાગ્યાં હતાં. જ્યારે આ માણસે તો ભારતનાં પ૬ર રજવાડાં ખૂબ ટૂંકા ગાળામાં એક કરી દીધાં હતાં. તો તેઓની સરખામણી બિસ્માર્ક સાથે નહિ, પરંતુ બિસ્માર્કની સરખામણી તેઓ સાથે થવી જોઈએ.)
તેમણે દરેક વખતે પરિસ્થિતિ મુજબ પગલાં લીધાં. દિલ્હીનાં હુલ્લડોમાં પણ તેઓએ તાત્કાલિક નિર્ણયો લઈને કાબૂમાં લીધેલ. ઈંદોરના મહારાજાના જૂઠાણાને મોઢામોઢ સંભળાવતા પણ તેઓ ખચકાયા નહોતા અને હૈદરાબાદ તથા જૂનાગઢના પ્રશ્નોનો હલ કરવા લશ્કરી તાકાતનો ઉપયોગ કરતા પણ તેઓ અચકાયા નહોતા. જ્યાં જેવી પરિસ્થિતિ, ત્યાં તેવો નિર્ણય. આવી રીતે કરવાથી સફળ પણ થયા.
તેમનામાં એ નિષ્ઠા હતી કે જેને કામ સોંપ્યું હોય તેના પ્રત્યેક કાર્યને અનુમોદન આપતા અને બિરદાવતા. કાર્ય નિષ્ફળ ગયું હોય અને અપયશ મળે તો પોતે સ્વીકારી લેતા અને સફળતાનો યશ મળે, તો તે યશ ગાંધીજી, પોતાના સાથીદારો અને તેમના હાથ નીચે કામ કરનારને આપતા. આવું આત્મત્યાગનું ઉત્તમ ઉદાહરણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર હતા, છતાં સરદારીનો દાવો કયારેય કર્યો નહોતો.
આજે તો નાનકડો હોદ્દો મળ્યો હોય અને નાનકડું કામ કર્યું હોય, તો પણ પોતાનાં ગીત ગવડાવે. પાંચ રૂપિયાની બોલપેનનું દાન આપવામાં પાંચસો રૂપિયાના ફોટા પડાવે. આવું ન કરે અને નિષ્ઠાથી કામ કરે તો દેશ સિરમોર બને.