STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

પ્રેમને આમંત્રણ

પ્રેમને આમંત્રણ

3 mins
0

પ્રેમને આમંત્રણ

अथातो भक्तिं व्याख्यास्याम: सा त्वस्मिन परमप्रेमरूपा , अमृतस्वरूपा- નારદ ભક્તિ સૂત્ર

દેવર્ષિ નારદ કહે છે કે સાચી ભક્તિ એટલે પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ – જેમાં કોઈ ઇચ્છા, સ્વાર્થ કે ભય નથી. આ પ્રેમ જ અમૃત છે, કારણ કે તે જીવને સંસારના દુઃખમાંથી મુક્ત કરીને પરમાનંદમાં લીન કરે છે.

એક નાનકડા ગામમાં, જ્યાં વૃક્ષોની છાંયડીમાં જીવન ધીમે ધીમે વહેતું હતું, એક સાદી સ્ત્રી રહેતી હતી. તેનું નામ હતું નીલા. તેના ઘરના આંગણે ત્રણ વૃદ્ધ પુરુષો બેઠા હતા – થાકેલા, પરંતુ આંખોમાં અજીબ તેજ. તેઓ ઘણી વારથી ત્યાં બેઠા હતા, જાણે કોઈ અદૃશ્ય કોઈની રાહ જોઈ રહ્યા હોય.


નીલાએ તેમને જોયા અને હૃદયમાં કરુણા જાગી. તેણે બહાર જઈને આદરથી કહ્યું, “હું તમને નથી ઓળખતી, પણ તમે અહીં ઘણી વારથી બેઠા છો. ભૂખ તો લાગી જ હશે. કૃપા કરીને અંદર આવો, કંઈક ખાઈ લો.”


એક વૃદ્ધે પૂછ્યું, “ઘરનો માલિક ઘરે છે?”


નીલાએ જવાબ આપ્યો, “ના, તેઓ હજુ બહાર છે.”


ત્રણેય વૃદ્ધોએ એક સાથે કહ્યું, “તો અમે અંદર નહીં આવીએ.”


ભલે એમ કહી નીલા અંદર આવી. સાંજે જ્યારે તેના પતિ વીરજી ઘરે પાછા ફર્યા, તેણે આખી વાત કહી. વીરજીએ હસીને કહ્યું, “જા, તેમને કહે કે હું ઘરે આવી ગયો છું. આદરપૂર્વક બોલાવ.”


નીલા બહાર ગઈ અને કહ્યું, “મારા પતિ ઘરે આવી ગયા છે. તેઓ તમને આદર સાથે બોલાવે છે. કૃપા કરીને અંદર આવો અને અમારી સાથે ભોજન લો.”


વૃદ્ધોએ જવાબ આપ્યો, “અમે ત્રણેય ક્યારેય એકસાથે કોઈ ઘરમાં પ્રવેશ નથી કરતા.”


નીલાએ આશ્ચર્યથી પૂછ્યું, “પણ કેમ?”


એક વૃદ્ધે પોતાના એક સાથી તરફ ઇશારો કરીને કહ્યું, “આનું નામ ‘ધન’ છે. જો તે તમારા ઘરમાં પ્રવેશ કરશે તો તમારું ઘર હંમેશાં ધન-ધાન્યથી ભરેલું રહેશે.”


બીજા તરફ ઇશારો કરીને બોલ્યા, “આ ‘સફળતા’ છે. જો તે આવશે તો તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં હંમેશાં સફળતા મળશે.”


પછી પોતાનું પરિચય આપતાં કહ્યું, “અને હું ‘પ્રેમ’ છું. જો હું આવીશ તો તમારા ઘરમાં હંમેશાં પ્રેમની છાંયડી રહેશે, હૃદયોમાં મધુરતા ભરાશે. પરિવાર અભિન્ન રહેશે.”


તેણે આગળ કહ્યું, “જાઓ, તમારા પતિ અને ઘરના અન્ય સભ્યો સાથે ચર્ચા કરો અને નક્કી કરો કે કોને આમંત્રિત કરવા છે.”


નીલા અંદર ગઈ અને બધું કહ્યું. વીરજી આનંદથી ઉછળી પડ્યા અને બોલ્યા, “તો પછી ‘ધન’ ને જ બોલાવીએ! ઘરમાં સમૃદ્ધિ આવશે, કોઈ અભાવ નહીં રહે.”


નીલાએ વિરોધ કર્યો, “ના, ‘સફળતા’ ને બોલાવીએ. સફળતા મળે તો બધું મળી જશે.”


ત્યારે તેમની વહુ, જે બાજુના ઓરડામાંથી સાંભળી રહી હતી, આવી અને નમ્રતાથી બોલી, “મને લાગે છે કે આપણે ‘પ્રેમ’ ને જ બોલાવીએ. પ્રેમ હોય તો ઘરમાં સુખ-શાંતિ રહેશે, અને પ્રેમથી જીવન સાર્થક થઈ જશે. પ્રેમ થી વિશ્વની કોઈ પણ વસ્તુ જીતી સકાય છે.”


વીરજી અને નીલાએ એકબીજાને જોઈને મુસ્કુરાઈ અને કહ્યું, “વહુ બરાબર કહે છે. પ્રેમને જ આમંત્રિત કરીએ.”


નીલા બહાર ગઈ અને બોલી, “જેનું નામ ‘પ્રેમ’ છે, તેઓ કૃપા કરીને અંદર આવો અને અમારા અતિથિ બનો.”


‘પ્રેમ’ ઊભા થયા અને ઘર તરફ આગળ વધ્યા. આશ્ચર્યની વાત એ કે બાકીના બંને વૃદ્ધ પણ તેમની પાછળ-પાછળ ચાલ્યા.


નીલાએ હેરાન થઈને પૂછ્યું, “મેં તો ફક્ત પ્રેમને બોલાવ્યા હતા. તમે બંને કેમ આવો છો?”


એક વૃદ્ધે મધુર હાસ્ય સાથે કહ્યું, “જો તમે ધન કે સફળતાને બોલાવ્યા હોત તો માત્ર તે જ અંદર આવત. પણ તમે પ્રેમને આમંત્રિત કર્યા છે. અને પ્રેમ ક્યારેય એકલો નથી જતો. જ્યાં પ્રેમ જાય છે, ત્યાં ધન અને સફળતા પોતાની મેળે તેની પાછળ આવે છે.”


प्रेमैव परमं सुखम् ।  यत्र प्रेम तत्र सर्वं सिद्धम् ॥

પ્રેમ જ સર્વોચ્ચ સુખ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં બધું સિદ્ધ થઈ જાય છે.

પ્રેમની છાંયડીમાં બેસીને જીવન ગાય, 

ધન આવે ચૂપચાપ, સફળતા થાય સાથ. 

હૃદયના દ્વાર ખોલી દે જો તું પ્રેમના હાથ, 

તો સુખની વર્ષા વરસે, નહીં કોઈ અભાવ.


તે દિવસથી નીલાના ઘરમાં પ્રેમની મધુરતા છવાઈ ગઈ. હાસ્યના ગુંજારવ, એકબીજાની કાળજી, અને અણધાર્યું સુખ – બધું આવી ગયું. ધન અને સફળતા પણ તેમની સાથે જ રહ્યા, પણ તેઓ માત્ર પ્રેમના અનુચર બની ગયા.


પ્રેમને પસંદ કરો, કારણ કે પ્રેમ જીવનનું મૂળ છે. પ્રેમ વિના ધન એકલું રહે છે, સફળતા ખાલી લાગે છે. પ્રેમ હોય તો બધું મળી જાય છે – એ જ સાચું સુખ છે.

यत्र प्रेम तत्र सर्वं सिद्धम् ।

જ્યાં પ્રેમ હોય ત્યાં બધું સિદ્ધ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational