પિતાને પત્ર
પિતાને પત્ર
[ગાંધીજીએ પહેલવહેલા લખેલા પત્રમાંના એકને વિષે આ ઉલ્લેખ છે. મૂળ લખાણ મળી શકે એમ ન હોવાથી તેમની આત્મકથામાંથી તેમનું પોતાનું આપેલું વર્ણન અહીં ઉતારવામાં આવ્યું છે. પંદર વરસની ઉંમરે પોતાના ભાઈએ કરેલું નાનું સરખું કરજ ફેડવાને માટે ભાઈના સોનાના નક્કર કડામાંથી એકાદ તોલાનો સોનાનો કકડો તેમણે કાપી લીધો હતો. પોતાના કામથી તેમને એટલું બધું હીણું લાગ્યું કે પિતાની પાસે વાત કબૂલ કરી દેવાનો તેમણે નિશ્ચય કર્યો. કંઈ પણ કહ્યા વગર પિતાએ મૂંગે મોઢે અાંસુ ઢાળી માફી આપી. આ બનાવની તેમના મન પર કાયમની છાપ રહી ગઈ. ગાંધીજીએ પોતે કહ્યું છે કે 'મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો.']
[૧૮૮૪]
મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુ:ખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.
[મૂળ ગુજરાતી]
આત્મકથા, ૧૯૫૨, પા. ૨૬
