Niranjan Mehta

Inspirational

4.7  

Niranjan Mehta

Inspirational

માતૃત્વની વેદના

માતૃત્વની વેદના

5 mins
330


હૈયાને હળવું કરવું એટલે તેનો અર્થ કે હૈયું ભારે છે. કોઈ મૂંઝવણ સતાવે છે જે આર્થિક, સામાજિક કે કૌટુંબિક હોઈ શકે. આ મૂંઝવણ ન કહેવાય કે ન સહેવાય એવી હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે. આ માટે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેના ખભે માથું ટેકવી આંસુ સારી અવરની વ્યથા કહી હૈયાને હળવું કરી શકાય. આ વ્યક્તિ મિત્ર હોય શકે કે કૌટુંબિક કે જેના પર વિશ્વાસ રાખી વાત કરી શકાય અને મૂંઝવણમાં રાહત મેળવી શકાય.

મારી સહેલી સરિતા પણ આવો જ મૂંઝારો અનુભવી રહી હતી. પણ તે મૂંઝવણ એવી હતી કે ન કહેવાય ન સહેવાય એટલે કોની આગળ દિલ ખોલે તેની તેને સમજ ન હતી અને અંદરને અંદર હિજરાઇ રહી હતી.

મારી સહેલીના લગ્ન ત્રણેક વર્ષ પર અનુજ સાથે થયા હતાં. આમ તો અમે બધા એક જ કોલેજમાં પણ અનુજ સાથે કોઈ નિકટતા નહીં અને અનુજ પણ અભ્યાસમાં મગ્ન. કોઈ છોકરી સાથે તેનું નામ ન લેવાતું એટલે કોઈ સાથે પ્રેમલગ્નનો સવાલ જ ન હતો. પણ નિયતિ ક્યારે શું કરશે તે કોણ જાણે છે? અનુજના કુટુંબની કોઈ વ્યક્તિ સરિતાના પિતાને ઓળખતી હતી અને તેને ખબર હતી કે સરિતા ઉંમરલાયક છે એટલે તેમણે સરિતાના પિતાને અનુજ માટે વાત કરી. બંને બાજુ યોગ્ય ચકાસણી બાદ અને જરૂરી વાતચીત બાદ આ સંબંધ નક્કી થયો અને સમય વીત્યે લગ્ન લેવાઈ ગયા.

સરિતા મને કહે કે લગ્ન પહેલા જ્યારે તેઓ પહેલીવાર મળેલા ત્યારે એક જ કોલેજમાં હોવાની જાણ થઇ હતી. તેણે ત્યારે અનુજને કહ્યું હતું કે જો તે વખતે મિત્રતા થઇ હોત તો અન્ય કોલેજીયનો પ્રેમલગ્ન કરે છે તેમ કરવાની તક મળી હોત જે ગુમાવી. આ ઉપર બંને હસ્યા પણ હતાં.  

લગ્ન બાદ પણ અમે અવારનવાર રૂબરૂ કે ફોન પર મેળાપ કરી લેતા અને ત્યારે તેના લગ્નજીવનની મીઠી મીઠી વાતો તે કરતી. લગ્નના શરૂઆતના દિવસો તો દરેક નવદંપતિ માટે હોય છે તેવા જ રહ્યા. અનુજ એક કંપનીમાં સારા હોદ્દે હતો એટલે ઠીક ઠીક કમાઈ લેતો એટલે સરિતાને કોઈ નોકરી કરવાની જરૂર ન હતી. ગૃહસ્થીની જવાબદારી તે ખુશીથી અને સુપેરે નિભાવતી હતી. ઘરમાં તેના સાસુ સસરા, અનુપમાબેન અને મનોજભાઈ પણ હતાં જેમની જરૂરિયાતોનો તે ખાસ ખ્યાલ રાખતી અને આમ તે તેમને માટે પણ પ્રિય પાત્ર બની ગઈ હતી. આમને આમ બે વર્ષ ક્યા વીતી ગયાતેની ખબર ન રહી પણ હજી સુધી પોતાના કુટુંબને વધારવાનો સમય નથી એમ તેઓ માનતા. અન્યો પણ તે વાત સમજતા. પણ ત્યારબાદ ક્યારેક સરિતા કહેતી કે હવે ધીરે ધીરે અનુપમાબેન તરફથી આ વિષે આડકતરો ઈશારો થાય છે પણ તે તરફ તે વધુ ધ્યાન નથી આપતી.

આમને આમ વધુ છ-સાત મહિના પસાર થઇ ગયા પણ પરિસ્થિતિ જેમની તેમ રહી એટલે અનુપમાબેને એક દિવસ તેને સીધું જ પૂછ્યું કે હવે ક્યારે આ ઘરની વસ્તીમાં વધારો કરવાની છે. સરિતા પાસે કોઈ જવાબ ન હતો એટલે હજી સમય છે કહી વાત તો ટાળી પણ તેને પણ લાગ્યું કે હવે સમય આવી ગયો છે માતૃત્વપદ પ્રાપ્ત કરવાનો. પણ હજી સુધી તેવા કોઈ ચિન્હ જણાય ન હતાં. એક સ્ત્રી એમ જ માને કે તેનામાં કોઈ ખોડ હશે એટલે હજી સુધી માતૃત્વ મેળવવાનું તેના નસીબમાં નથી. સરિતાએ પણ તેમ જ માની વિચાર્યું કે આ વ્યથા કોને કહેવી. દરેક દીકરી આવી વ્યથા એક જ વ્યક્તિને કહી શકે અને તે તેની મા. એટલે એક દિવસ તેણે માને અચકાતા અચકાતા બધી વાત કરી. મા પણ સમજદાર. તેણે સલાહ આપી કે આ મૂંઝવણ કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત જ દૂર કરી શકે એટલે તેમણે એક નજીકના સ્ત્રીરોગ નિષ્ણાતની મુલાકાત લીધી.

બધી જરૂરી તપાસ પછી તેમણે જણાવ્યું કે સરિતા મા બનવા માટે સક્ષમ છે. એનો અર્થ એમ થયો કે જો કોઈ ખામી હોય તો તે કદાચ અનુજમાં હોય પણ કોઈ પણ પુરૂષને તે નપુંસક છે તેમ સીધેસીધું તો ન જ કહેવાય. વળી તે માટે યોગ્ય તપાસની જરૂર રહેવાની અને તે માટે તે પુરૂષને તૈયાર કરવો પડે. પણ આ વાત સામાન્ય રીતે સરળ નથી હોતી. તેની પાસે વાત છેડતાં પહેલાં કેટલો વિચાર કરવો પડે? વળી કોઈ મારફતે તેને વાત કરવી એટલે પુરુષના મગજમાં અવિશ્વાસની લાગણી પેદા થવાની. આ વાત પણ સરિતા સારી રીતે જાણતી હતી.

આટલા સમયના સહવાસ બાદ તે અનુજનાં સ્વભાવને સમજી શકી હતી. અન્ય સમસ્યાઓ માટે તે નિખાલસપણે અનુજને વાત કરી શકતી પણ તે માનતી કે માતૃત્વની વાત કરવી એ એટલું સહેલું નથી અને તેમાં પણ અનુજને ચકાસણી કરાવવાની વાત કરવી તે તો મુશ્કેલ પણ બની શકે. તો હવે કરવું શું? અનુપમાબેનની પણ આમાં મદદ લેવી યોગ્ય ન હતી અને તેની માએ તો કહ્યું કે આ તમારા પતિ-પત્ની વચ્ચેની વાત છે એટલે હું અનુજકુમાર સાથે કોઈ ચર્ચા નહીં કરૂં. ત્યારબાદ તેણે મને પણ વાત કરી ત્યારે મેં પણ લગભગ આવો જ પ્રતિભાવ આપ્યો હતો. આમ બધા તરફથી આવો પ્રતિભાવ મળ્યો એટલે તેની માતૃત્વ માટેની મૂંઝવણ તેના હૃદય પર બોજ બની બેઠી હતી.

આમને આમ થોડા વધુ દિવસ પસાર થઇ ગયા બાદ સરિતાને લાગ્યું કે હવે તે વધુ વખત આ બોજ સહન નહીં કરી શકે. કોઈ પણ હિસાબે અનુજને વાત કરી હૈયાને હળવું કરવું જ રહ્યું અને તે કરીને રહી. તે તેણે કેવી રીતે કર્યું તે તો મને થોડા દિવસ ઉપર મળી ત્યારે જાણ થઇ.

સરિતાએ કહ્યું કે એક રાત્રે જમીપરવારી જ્યારે તે બેડરૂમમાં ગઈ ત્યારે અનુજ હજી જાગતો હતો અને ઓફિસના કોઈ કાગળો વાંચતો હતો. સરિતાએ કહ્યું કે તેને કોઈ વાત કરવી છે જે કેટલાય દિવસથી તેના હૈયાનો બોજ બની ગઈ છે. જો અનુજ કાગળ જોવાનું બાજુ પર રાખે તો તે વાત કરી શકે. અનુજે કાગળિયાં બાજુ પર મુક્યા અને સરિતાને વાત કરવા કહ્યું. સરિતાએ પોતે કરાવેલી તપાસ અને તે મા બની શકે તેમ છતાં હજી સુધી નથી થઇ શકી એટલે ડોકટરના કહેવા મુજબ જો અનુજ તપાસ કરાવે તો ખબર પડે કે તે સક્ષમ છે કે કેમ. જો તે સક્ષમ હોય તો બાળક ન થવાના શું કારણો છે તેની તપાસ કરી યોગ્ય પગલાં પણ લઇ શકાય અને આ સમસ્યાનો હલ મળી જાય.

સરિતાએ કહ્યું કે તેની વાત સાંભળી અનુજ મલકાયો હતો અને કહ્યું કે બસ, આટલી જ વાત છે? અને તું આજસુધી મારી આગળ દિલ ન ખોલી શકી? શું આપણા સંબંધો એવા છે? અરે, મને પહેલાં કહ્યું હોત તો ક્યારનો તપાસ માટે તૈયાર થઇ ગયો હોત. કદાચ તપાસમાં મારામાં કોઈ ખામી જણાઈ હોત તો શું થઇ ગયું? આજનું મેડિકલ વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે તે દૂર કરવા માટે પણ રસ્તા છે. હું તો ત્યાં સુધી કહીશ કે છેલ્લે કોઈ પણ માર્ગ કારગત નહીં નીવડે તો યોગ્ય બાળક દત્તક લેવા પણ તે તૈયાર છે.

સરિતાએ આગળ કહ્યું કે આ સાંભળી તેનું હૈયું કાબુમાં ન રહ્યું અને તે જ વખતે અનુજને વળગીને પોતાના હૈયાને અશ્રુધારા વડે હળવું કર્યું.

આગળ ઉપર તો બધું થાળે પડી ગયું. અનુજમાં જ ખામી હતી તે સમય જતાં દૂર થઇ અને સરિતા યોગ્ય સમયે એક સુંદર પુત્રની મા બની. જો સરિતાએ હિંમત કરી પોતાના હૈયાની વાત અનુજને ન કરી હોત તો? એટલે જ સ્વજન આગળ સંકોચ ન રાખતા હૈયાને હળવું કરશો તો તે તમારા માટે જ હિતાવહ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational