માતૃભાષા છે સંસ્કૃતિનું માધ્યમ
માતૃભાષા છે સંસ્કૃતિનું માધ્યમ
"જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ,
પરંતુ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. "
ઉપરોક્ત પંક્તિ મારી માતૃભાષા માટે ગર્વ લેવા જેવી બાબત છે.
દુનિયાની સૌથી મોટી સંસ્કૃતી આપણી ભૂમિ પર વિકસિત થયેલી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી પથરાયેલી છે. અલગ અલગ બોલી, અલગ પહેરવેશ, અલગ ભાષા, અલગ રીતિ રિવાજ વગેરે આ બધું જ દેશની ઓળખાણ છે. બધાને પોતપોતાની માતૃભૂમિ પર ગર્વ હોય છે. અને ખાસ માતૃભાષા એ તો સંસ્કૃતિનું માધ્યમ છે. ભલે ભાષા અલગ હોય, રિવાજ અલગ હોય પરંતુ બધાના દિલમાં દેશભાવના અને વતન પહેલા જ આવે. ભલે બધા અલગ હોય પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા એક જ થઈ જાય.
મા, માતૃભાષા, અને માતૃભૂમિ આ ત્રણેય મને અત્યંત પ્યારા છે. હું મારી માતૃભાષાને અત્યંત ચાહું છું. કેમ કે મારાં વિચારોને ખુલ્લા મનથી વ્યક્ત કરવા માટે એકપણ ભાષા દિલથી સાથ નથી આપતી. હા, બીજી ઘણી ભાષા આવડે પણ છે. છતાં જ્યાં સુધી ગુજરાતીમાં વાત ના કરી લઈએ ત્યાં સુધી મનને શાંતિ મળતી નથી.
આપણી માતૃભાષા જ આપણી ઓળખાણ છે. આપણી વિચારવાની શક્તિ, આપણા મનના તરંગો, આપણી લાગણીઓ, આપણી કલ્પનાઓ વેગેરે બધું જ ગુજરાતીમાં જ શક્ય છે. કોઈ પણ ભાષામાં વાત કરીએ પરંતુ વિચાર
તો પહેલા માતૃભાષામાં જ આવશે. આપણી માતૃભાષા સાથે ખિલવાડ કરીને બાળકોને અંગ્રેજી માધ્યમમાં તો બેસાડીએ છીએ. આમછતાં પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવું જોઈએ. તો જ બાળકની સર્જનાત્મક શક્તિનો ખરો વિકાસ થાય.
મા સમાન માતૃભાષા તરછોડી પશ્ચિમી ભાષાને પ્રાધાન્ય આપવું ગુજરાતીઓ માટે ખરેખર હાનિકારક પુરવાર થશે. એક જમાનો હતો કે દુનિયાના ખૂણે ખૂણે આપણી સંસ્કૃત ભાષા અને તેના વિચારોને દુનિયા સલામ કરતી. આપણા ઋષિમુનિઓએ ગૌરવગાથા જાળવી રાખી હતી. જ્યારે આપણે બધું જ ભૂલીને આવનારા સમયમાં અંગ્રેજી ભાષાના ગુલામ બની જઈશુ. આજે દેશના ખૂણે ખૂણે ગુજરાતી વસતો થયો છે. પરંતુ ગુજરાતમાં જ ગુજરાતી ભાષાને પ્રભુત્વ નથી મળતું. તો ચાલો આજે સૌ સાથે મળીને આજે એક પ્રતિજ્ઞા લઈએ કે "અમે અમારી માતૃભાષાને વિસરવા નહીં જ દઈએ."