મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ
ચૈત્રસુદ નોમને રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. દશરથ રાજા સહીત આખી અયોધ્યા નગરીમાં રામ જન્મની ખુશીના વધામણાં એકબીજાને આપી રહ્યા હતા. તેથી જ શ્રીરામના જન્મદિવસને બધા રામનવમી તરીકે ધામધુમથી ઉજવે છે.
શ્રીરામ એ એક એવા આદર્શ પુરુષ છે. જેના દ્વારા લોકોને જીવનમાં ઘણું શીખવ્યું. શ્રીરામ એક દીકરા તરીકે, એક પતિ તરીકે અને એક ભાઈ તરીકે ખુબ જ કર્તવ્યનિષ્ઠ કાર્યો બજાવ્યા છે. પોતાના ભક્તો પ્રત્યે પણ ખુબ સહાનુભૂતિ દાખવતા. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી તો શ્રીરામની દિવસ રાત પૂજા કરતા. જો હનુમાનજીના જીવનમાંથી શ્રીરામને કાઢી નાખીએ તો હનુમાનજીનું જીવન તો શૂન્યમનસ્ક જ થઈ જાય. શ્રીરામ આપણને જીવન કેમ જીવવું એ શીખવે છે. એટલે જ કહેવાય છે કે, "શ્રી રામ કરે તેમ કરવું અને શ્રી ક્રિષ્ના કહે તેમ કરવું."
આટલુ માણસોને આવડી જાય એટલે જીવનની નૈયા ડોલ્યા વગર જ પાર થઈ જાય.
આપણે શ્રીરામના પગલે ચાલીએ તો જીવનમાં ક્યારેય દુઃખી જ ના થઈએ. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખાય છે. શ્રીરામ શબ્દમાં જ એવી તાકાત છે કે એક વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની ગયો, જયારે રામના નામનો પથ્થર પણ તારી જાય છે. સૌથી ટૂંકું અને સહેલું નામ રામનું છે. રામનામ કોઈ પ્રેમથી જપે તો સંસારના સઘળા પાપો પણ નાશ પામે એટલી તાકાત છે આ રામ નામમાં. શ્રીરામનુ સાદગીભર્યું જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રાજાના દીકરાં હોવા છતાં આમ માણસની જેમ વન વન ભટક્યા. અને માતા કૈકયીના કહેવાથી પીતા દશરથના વચન ખાતર 14 વર્ષનો વનવાસ પણ પ્રેમથી ગુજારે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ સંદેશો આપી જાય છે.
વર્ષોથી આપણી રામજન્મભૂમિ વિવાદમાં સપડાયેલી હોવાથી રામમંદિરનું નામનીશાન પણ જોવા મળતું નહોતું. તે અયોધ્યામાં આજે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. મોટાભાગનું કામ પૂર્ણ થવાના આરે છે. નજીવા વર્ષોમાં જ આ રામમંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.