Vijay Shah

Inspirational Classics

4  

Vijay Shah

Inspirational Classics

મારી શકુનું શું થશે?

મારી શકુનું શું થશે?

5 mins
13.9K


મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો. બાથરુમમાં ફ્રેશ થવા ગયો. અને, તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી. મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં. ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું. સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે. મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું - નકુળ. અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર. પણ, એ એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો. આ પત્ર લખીને સસ્પેંસ ઊભું કરવાની શી જરુર હતી? એને થોડો ગભરાટ થયો. થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં, પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ. આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી. એકબીજાને ગાળો દઇ અને પછી શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી. આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા. અને પત્ર આગળ વંચાયો.

”एक दिन मीट जायेगा…”ની કડીઓ પુરી થઇ.” મુરખ ! એવા તો શું કામ કર્યા છે કે દુનિયા તને યાદ રાખે. હા…હા…હા…આ વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું. હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઊભો છે.

"પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને ?"

"કદાચ,મારી પાસે તારાં જેટલી હિંમત હોત !"

"ચાલ બસ હવે દિલીપકુમારની ઓલાદ, ડાયલોગ બંધ કર, કામની વાત કર."

"ફરીથી બોલ તો."

"હા, આ પત્ર તું વાંચતો હોઇશ ત્યારે, કદાચ હું ઑપરેશન ટેબલ પર મૃત્યુ સાથે ઝઝૂમતો હઇશ."

એ વાત જરુર મેં મારાં મિત્રો અને સ્નેહીજનોથી છુપાવી છે કે મને કેંસર છે. મરવાનું નક્કી છે. ઑપરેશન મૃત્યુને પાછળ ઠેલી શકે એમ છે. પરંતુ, એ ચાંસ ફીફટી ફીફટી છે. પહેલાં ફીફટી ફક્ત મૃત્યુ પાસે છે. અને, બાકીના ફીફટીમાં મારાં સત્કર્મો જે નહીંવત છે, મારાં કુટુંબી અને શકુની ભક્તિ, વડીલોના આશીર્વાદ, મિત્રોની દુઆ અને ડૉકટરની કુશળતા. તો જાહેર છે ને મૃત્યુ પાસે જીતવાના ચાંસ વધી જાય છે. અને...”

"ચાલ હવે, બહુ થયું. સાચી વાત બોલ."

"મને ખબર હતી. મારું કોઇ સાચું માનશે જ નહી.હકીકતની જિંદગીમાં પણ નાટકો જ કર્યા છે ને…!”

“ના,હું તારો વિશ્વાસ કરું છું.પણ,આ બધું અચાનક કેવી રીતે ? આઇમીન કે ક્યારેય તને કે મને તારા વહેવારમાં કે રોજિંદા જીવનમાં… તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું."

"મને થોડી શંકા તો ગયેલી. એટલે, ડૉક્ટર પાસે ગયેલો પણ ડૉકટરે ચેતવણી આપેલી પણ ખરી… તને ખબર છે ને અહીંના દવાના ખર્ચા.એટલે…"

"પણ ગાંડા,મને તો કહેવું હતું."

"મને જાણ હતી એટલે જ મેં તને જણાવ્યું ન હતું. જો તું તો મિત્રોમાં ચંદન છે. ચંદનનો પૂજામાં ઉપયોગ થાય. ચિતામાં નહીં ભલે ને પછી એ ચિતા નકુળની હોય… મને અત્યારે મારી ચિંતા નથી. મને ફક્ત એક જ વાત કોરી ખાય છે કે મારા પછી મારી શકુનું શું થશે ?”

હરેશ એક મિનીટ માટે બત્રીસ વરસ પહેલાના મુંબઇના તખ્તા પર પહોંચી ગયો. જ્યાં નકુળ ક.મા.મુંશીના માલવપતિ મુંજને જીવતો કરી દેખાડી રહ્યો હતો. "બેડીઓથી જકડાયેલો નકુળ પોતાના પહાડી અવાજથી" તૈલપ, પૃથ્વીવલ્લ્ભ બોલેલું ફરે તો પૃથ્વી રસાતળ જાય. આ તો જરા વિચાર આવી ગયો કે લક્ષ્મી રાજાઓને ત્યાં જશે. કીર્તિ વીરોને જશે. પણ મારાં પછી બિચારી સરસ્વતીનું શું થશે ?"

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો, “મારી શકુનું શું થશે?”

ફરી એકવાર યુનિર્વસિટીની સામાજિક નાટક હરિફાઇમાં ટી.બી.ના રોગના દર્દીની ભૂમિકામાં, એ તખ્તા પર દેખાયો. કુટુંબ માટે પોતાના રોગની પરવા કર્યા વગર બે-ત્રણ પાળીમાં કામ કરી જાત ઘસી નાખતો. નકુળે આધૂનિક શ્રવણના પાત્રને જીવંત કરી દીધેલું.

જર્જરિત અવાજમાં સરકારી દવાખાનાના ખાટલા પર પડીને, "મને મોતની ચિંતા નથી.પણ, મારા ગયા પછી, મારા ઘરડાં માબાપનું શું ?"                                           

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો, “મારી શકુનું શું થશે?”

હરેશે પત્ર આગળ વાંચવો શરુ કર્યો.

શરુઆતના પત્રમાં નકુળની હિંમત વરતાતી હતી. અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો આ માણસ આખીય જિંદગી સામાન્ય અને સાધારણ બનીને રહી ગયો તેનું દુ:ખ અને બળાપો ચોખ્ખો વરતાતો હતો. તે પોતાની જાતને હિંમત આપતો હતો. સઘન કોશિશો પછી પણ એને શબ્દોએ સાથ આપ્યો નથી એ હરેશને સાફ દેખાયું. મૃત્યુ કરતાં મૃત્યુનો ડર આટલો ભયાનક હશે તે તેને સમજાતું હતું. હરેશ નકુળને હિંમત આપવાના શબ્દો ખોળવા, ગોઠવવા માંડ્યો. અને, અચાનક, રાજ્ય નાટ્ય મહોત્સવના તખ્તા પર પોતે જિંદગીના કુરુક્ષેત્રમાં યુધ્ધથી પહેલાં હારી ગયેલાં. મનથી તુટી ગયેલાં માનવીની ભૂમિકા કરતો. અને, કૃષ્ણની જેમ હિંમત આપતો નકુળ. હરેશને ધ્યાનમાં આવ્યો. જિંદગીની ફિલોસોફી સમજાવતો. હરેશને હસવું આવી ગયું. કુદરત ખરેખર ફાંટાબાજ છે. ગઇકાલનો તખ્તો પાત્ર ફેરબદલી સાથે હકીકતમાં હરેશની સામે મૂછમાં હસી રહી હતી.

પત્ર આગળ વંચાયો.

હકીકતની જિંદગીમાં હું શકુને મન, વચન કે કર્મથી ક્યારેય પણ વફાદાર રહ્યો નથી. અને, હું વફાદાર શા માટે રહું ? કુદરતે વફાદારી તો ઘોડા અને કૂતરાને ઠાંસી ઠાંસીને ભરી આપી છે. અને, હું તો માણસ છું. તો, વફાદારીથી મને શું લાગેવળગે ? અરે મને શું, આખી માણસજાતને અરે ! આપણે ઘૉડા કે કૂતરા થોડા છીએ. શ્રીહરી શ્રી હરી. હું હંમેશા શકુની અંદર, તને ખબર નથી પણ, પેલી રંડીના નખરાંઓ શોધતો. ભોજનેષુ માતા… શયનેષુ રંભા માતા અને ભગિની સુધી તો વાંધો આવ્યો નહી. પરંતુ, શ્લોકની પુર્ણતા શયનેષુમાં હંમેશા હું અધૂરો રહ્યો. કદાચ અમારા નિ:સંતાન હોવાનું આ પણ કારણ હોઇ શકે. હવે, અત્યારે મને વફાદારીનો અર્થ સમજાય છે એટલે જ.

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો, "મારી શકુનું શું થશે ?"

જિંદગીને જેમ જવું હતું તેમ જવા દીધી, જે કરવું હતું તે કરવા દીધું. તો પણ, આજે બેવફાઇ કે દગો… ક્યારેક પણ શા માટે ? નો પશ્ન તો મેં એને કર્યો નથી. એણે મને જેમ ફેરવ્યો તેમ હું ફર્યો. કરવું હતું શું, બનવું હતું શું અને, બનાવી દીધો શું. હંમેશા હનુમાન બનાવવાની કોશિશ કરી અને, એણે બનાવી દીધો વાંદરો.

હા..હા..હા..હવે ફરિયાદ કોને અને શા માટે કરવી. અરે ! સાંભળનાર તો કોઇ હોવો જોઇએ.

વિચારેલું કે કલમમાં તાકાત છે અને માંહ્યલામાં કલાકાર છે તો, તખ્તાઓ ગજવીશું. સો-સો પેઢી યાદ રાખે તેવું ઉત્તમ સાહિત્ય - નરસિંહ મહેતાને મીરાંબાઇ જેવું, સર્જન કરીશું.અને સંતાડીને વેચવું પડે અને તેવી જ રીતે વાંચવું પડે તેવું માતૃભાષાનું અપમાન થાય તેવું-ગંદુ લખાણ લખવું પડ્યું. પેટ, સમાજ, કુટુંબ પણ આનો જ એક ભાગ ગણાવો જોઇએ. ભલે, એ પાપમાં ભાગીદાર ન થતાં વાલિયો વાલ્મિકી થઇ જાય. પણ, હકીકત તો વાલ્મિકી જ વાલિયા થતાં હોય છે. ઉત્તમ પ્રણય કથાઓ લખી, વાંચકનું દિલ રડી ઉઠતું. પણ ના, એવું નહીં લખવાનું. અશ્લીલતાની જો કોઇ મર્યાદા હોય તો તેને પેલે પારનો સ્ત્રી-પુરુષનો નાગોનાચ જ લખવાનો અને લખવો પડ્યો. જવાબદારીઓ હતી. સાલું… પગમાં સાંકળ નાખી કહે કે દોડ…

આ બધામાં શકું મારી સાથે રહી એ આજે મને ખબર પડે છે. હવે મને થાય છે કે મારા ગયા બાદ મારી શકુનું શું થશે?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational