લુંટારો
લુંટારો
સદીઓ પહેલાની આ વાત છે. એક ઘોર જંગલ હતું. એ જંગલમાં એક લુંટારો રહેતો હતો. તેનું નામ વાલીયો લુંટારો હતો. તે સ્વભાવે ખુબ જ લોભી અને ક્રૂર હતો. તે જંગલમાંથી નીકળતા લોકો અને મુસાફરોને રોકતો અને તેમની પાસેથી બધું ધન લુંટી લેતો. જો કોઈ મુસાફર પોતાનું ધન આપવાની ના પાડે તો વાલિયો તેની હત્યા કરી નાખતો. અને બધું ધન લુંટી લેતો.
એકવાર તે વાલિયો જંગલમાં એક ઝાડ પર સંતાઈને બેઠો હતો. તે કોઈ વાટેમાર્ગુ મુસાફરની રાહ જ જોઈ રહ્યો હતો. એટલામાં ત્યાંથી એક સાધુ મહારાજ પસાર થયા. તેમને જોઈને વાલીયો ઝાડ પરથી નીચે ઉતર્યો. તેણે સાધુ મહારાજને રોક્યા. અને કહ્યું, ‘એ સધુડા , લાવ તારી પાસે જે કંઈ ધન કે ચીજ વસ્તુ હોય તે મને આપી દે, નહીતર હું તને જાનથી મારી નાખીશ.’ આ સાંભળી સાધુ મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. અને શાંતિથી બોલ્યા, ‘ભાઈ તું આ બધુ પાપનું કામ શું કામ કરે છે ! તું મહેનત-મજુરી કરીને કેમ નથી જીવતો ?’
આ સાંભળી એ વાલિયો લુંટારો હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘સાધુ મહારાજ આ બધી લુંટફાટ હું મારા એકલા માટે નથી કરતો. આ લુંટફાટથી હુ મારા પરિવારનું ભરણ-પોષણ કરું છું. એટલે મારા પાપના આ કામકાજમાં મારો પરિવાર પણ એટલો જ ભાગીદાર છે.’ આ સાંભળી સાધુ મહારજ ફરીથી હસ્યા અને કહ્યું, ‘ભાઈ તારા આ પાપના કામનું કોઈ ભાગીદાર નથી. તે કરેલા પાપ કર્મનું ફળ તારે એકલા એ જ ભોગવવું પડશે. ઘરે જઈને તારા પરિવારને પૂછી આવ, શું એ લોકો તારા પાપના કામમાં ભાગીદાર છે ?’ આ સાંભળી લુંટારો બોલ્યો, ‘અને હું ઘરે પૂછવા જાઉં એટલે તમે ભાંગી જાઓ તો !’ સાધુ મહારાજે કહ્યું, ‘તું એક કામ કર. તું મને આ ઝાડ સાથે દોરડા વડે બાંધીને જા’
પછી વાલિયો લુંટારો એ સાધુ મહારાજને ઝાડ સાથે બાંધી પોતાના ઘરે ગયો અને પોતાના પરિવારને ભેગો કર્યો. પછી પૂછ્યું, ‘હું તમારા માટે જંગલમાં લુંટફાટ કરું છું, ચોરી કરું છું, હત્યાઓ કરું છું. તો મારા આ બધા પાપના કામમાં તમે ભાગીદાર છો કે નથી ?’ આ સાંભળી પરિવારવાળા એક કહ્યું, ‘અમારું ભરણ-પોષણ કરવું તમારી ફરજ છે. તમે ચાહે લુંટીને લાવો કે મજુરી કરીને લાવો. એ તમારે જોવાનું. એટલે તમે લુંટીને લાવો તો એ પાપ તમને એકલાને જ લાગશે. અમે તેમાં ભાગીદાર નથી. આ સાંભળી વાલિયો હચમચી ગયો. તેણે સાધુની વાત બરાબર સમજાઈ ગઈ. તે રડતી આંખે પાછો દોડતો સાધુ મહારાજ પાસે આવ્યો.
તે સાધુ મહારાજના પગમાં જ પડી ગયો. અને કરગરવા લાગ્યો, ‘સાધુ મહારાજ, મારો પરિવાર મારા આ પાપના કામમાં ભાગીદાર નથી. મે ખુબ જ પાપ કર્યા છે. મારો ઉદ્ધાર કરો.’ આ સાંભળી સાધુ મહારાજે વાલિયા લુંટારાને ઉભો કર્યો અને કહ્યું, ‘જો ભાઈ જાગ્યા ત્યાંથી સવાર. અત્યાર સુધી જ થયું તે થયું. હવે આગળ કોઈ પાપ કર્મ ના કરતો. હું તને રામ નામનો મંત્ર આપું છું. તું અહીં ઝાડ નીચે બેસીને તેનો જાપ કર. એનાથી તારા બધા પાપ ધોવાઈ જશે. વાલિયો તરત જ ત્યાં પાલાઠી વાળીને ઝાડ નીચે રામ નામનો જાપ કરવા બેસી ગયો.
સાધુ મહારાજને એમ થયું કે આ વધારે સમય જંપીને બેસી નહિ શકે. હમણાં બુખ તરસ લાગશે એટલે ઉભો થઈ જશે. એમ વિચારી સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યાં.
આ વાતને વરસો વીતી ગયા. સાધુ મહારાજ ત્યાંથી ગયાને ઘણો સમય થઈ ગયો. એટેલે તેઓ વાલિયા લુંટારાને ભૂલી પણ ગયા. પણ ઘણા વરસો પછી વળી પાછા સાધુ મહારાજ એ જંગલમાંથી પસાર થયા. ત્યારે તેમને રામ...રામ...રામ.... એવો અવાજ આવતો સંભળાયો. તેમણે જોયું તો એ અવાજ એક ઝાડ નીચે આવતો હતો. તેમણે ત્યાં જઈને જોયું તો પેલો વાલિયો લુંટારો હજી ત્યાં બેસી રામ નામનો જાપ કરતો હતો. તેમણે વરસો પહેલાનો વાલીયો યાદ આવી ગયો.
તેમણે વાલીયાને ત્યાંથી ઉઠાડ્યો, અને કહ્યું, ‘ભાઈ વાલીયા ઉઠ. તારી તપસ્યા પૂરી થઈ. તારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા. આજે તું વાલીયો લુંટારો મટીને વાલ્મિકી ઋષિ બની ગયો.
એ પછી એ વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બનેલા ઋષીએ રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી.