લઘુકથા- ઑપરેશન
લઘુકથા- ઑપરેશન
ડૉ.પાંડીયન પોતાની હોસ્પિટલના ઑપરેશન થિયેટરમાં વિચારમગ્ન હતા. કોઈ દિવસ નહીં ને આજે તેના હાથ ધ્રૂજતાં હતાં. એનું કારણ દર્દી એના પિતા હતા. લોહીનો સંબંધ માણસને ઢીલો પાડી દે છે તે આજે અનુભવ્યું. તેણે હથિયાર હેઠાં મૂકી દીધા.
કંપાઉન્ડર આવ્યો એટલે તેમણે કહ્યું, ‘જા અને ડૉ. શિખંડીને બોલાવી લાવ, મારાથી આ ઑપરેશન નહીં થઈ શકે! મારા પિતાજીનું શરીર મારાથી નહીં ચીરી શકાય.’
‘પણ સાહેબ, તમારે ક્યાં મારી નાંખવા છે? જીવાડવા માટે તો શસ્ત્ર ઉપાડવાનું છે. મારવાના હતા તોય ધર્મ માટે કૃષ્ણની વાત માની અર્જુને શસ્ત્ર ઉપાડ્યાં હતાં.’ કંપાઉન્ડરે સલાહ આપતાં કહ્યું.
ડૉ. પાંડીયને ટેબલ પર હાથ પછાડી કહ્યું, ‘અરે એજ વાંધો છે! બચાવવાના છે તેથી જ હાથ કાંપે છે. સમજ્યો?’
કંપાઉન્ડર બધું સમજી ગયો અને ડૉ. શિખંડીને તેડવા જતો રહ્યો.