લઘુકથા- પ્રસાદ
લઘુકથા- પ્રસાદ
સવારમાં બાપુજીની પૂજા પૂરો કલાક ચાલતી. નિવૃત્તિ પછી ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપતા. આ સંસ્કાર-મૂડી વારસામાં આપવા માટે તેઓનું મન લલચાતું. એટલે જ તેમણે સહકુટુંબ જાત્રાએ જવાનું આયોજન કરેલું હતું.
બીજા દિવસે જાત્રામાં એક પ્રાચીન મંદિર પાસે દીકરા ઉમેશની મોટર ઊભી રહી. અહીં જાત્રાળુંઓની ભીડ રહેતી. આજે પણ દર્શનનો વારો આવે એમ લાગતું ન હતું. ખૂબ લાંબી લાઈનમાં ઊભા રહી ઉમેશ થાક્યો, તેણે વહેલા દર્શન કરી શકાય તે માટે ઉપાય વિચાર્યો અને લાઈનમાંથી ખસી ગયો.
થોડી વાર પછી બાપુજી અને બધાને ઉમેશ પાછળના દરવાજેથી દર્શન કરવા લઈ ગયો. બહાર નીકળતી વખતે પણ ઉમેશને બીજા કરતા પ્રસાદનું મોટું પેકેટ આપવામાં આવ્યું. બાપુજીને એમ હતું કે મંદિરના કામ-કાજ ને કારણે ઉમેશને મંદિરમાં સૌ ઓળખતા હશે. આજુબાજુના સ્થળો જોયા પછી રાત અહીં જ રોકાવાનું હતું.
રાત્રે પણ જમવા-રહેવાની સ્પેશિયલ વ્યવસ્થા થઈ. બાપુજીએ દીકરાને પાસે બોલાવી પ્રસાદ આપતા કહ્યું, ‘બેટા, શ્રધ્ધા હોય તો બધું જ ગોઠવાઈ જાય છે. મને નારાયણ પર પૂરી શ્રધ્ધા છે. ’
ઉમેશે વળતો જવાબ આપ્યો, ‘મને લક્ષ્મીજી પર.'