જિંદગી
જિંદગી
ઓ જિંદગી !
તું ભગવાને મને આપેલી એક એવી ભેટ છે જે મારાથી થાય એટલી સારી રીતે પસાર કરી રહ્યો છું. જિંદગીને કેવી રીતે જીવવી એ વિશે દુનિયાભરના લેખકો- ચિંતકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેમ જેમ એના વિશે નવો અનુભવ થતો જાય એમ નવા લેખકો પણ એના વિશે લખતા રહે છે. 'આનંદ' ફિલ્મનો સંવાદ 'જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં' કે પછી 'તમે કેટલું જીવો છો એ નહીં પણ કેવું જીવો છો એ મહત્વનું છે' જેવા સુવિચારો તો પ્રેરણા આપતા જ રહે છે.
હું તો તારા વિશે કહીશ કે જિંદગીને આપણે બોજ નહીં ભેટ સમજીને જીવીશું તો હળવીફૂલ લાગવાની જ છે. મને એ અનુભવે સમજાયું છે. મારા એક સંબંધી બીમાર હતા એ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી હું એમની ખબર જોવા ગયો. એમણે મને કહ્યું કે એમ માનું છું કે હું અત્યારે જીવતો નથી, મૃત્યુ પામેલો છું. આ મારી નવી જિંદગી છે. એનું કારણ આપતા તેમણે કહ્યું કે મને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને બચાવી લીધો. તેમણે મને કહ્યું કે આટલા મોટા હુમલા પછી તમે જીવી ગયા એ ચમત્કારથી કમ નથી. તે ઘડીથી મેં નક્કી કરી લીધું કે હવે પછીની જિંદગી મારા માટે બોનસ કહેવાય. જેની આશા જ ન હોય અને આપણે એ મેળવીએ તો એનો સદુપયોગ કરવાનો હોય. હું સંપૂર્ણ સ્વસ્થ થયા પછી આ વધારાની જિંદગીનો ઉપયોગ બીજાની સેવા માટે કરવાનો છું.
મારા એ સંબંધીએ એમની જિંદગી લંબાઈ ગઈ તેથી મોજમજામાં જીવવાને બદલે પરમાર્થ કરવાનો નિર્ણય કર્યો એ મને પ્રેરણા આપી ગયો છે. મેં પણ નક્કી કર્યું છે કે હું મારા માટે જ નહીં બીજા માટે પણ જીવીશ. ક્યાંય પણ કોઈને મદદરૂપ બની શકું એમ હોય ત્યાં ઘસાઈશ. મારા દાદાએ મને શ્રેષ્ઠ જીવન જીવવાનો એક સંતનો સૂચવેલો મંત્ર આપેલો એ યાદ આવી ગયો. તેમણે મને સમજાવેલું કે તું નોકરી કે ધંધો જે કરે તે પણ ફક્ત પૈસા કમાવાની પાછળ ભાગદોડ કરતો નહીં. જો આપણે જીવનનું સાચું રહસ્ય ના સમજીએ અને એને શ્રેષ્ઠ રીતે ના જીવીએ તો એનો અર્થ જ નથી. જો આપણા જીવનમાં ભરપૂર આનંદ ના હોય તો એ નકામું બની જાય છે. જીવનમાં ખુશી જ ખુશી હોવી જોઈએ. પણ જો આપણી અંદર દરેક ક્ષણે બાળકો જેવી જિજ્ઞાસા અને સંતો જેવો આનંદ-બોધ હશે તો એ શક્ય બનશે. સાચી જિંદગી જીવવાની રીત એ છે કે એ પૂર્ણ થયા પછી યાદ રહે. કેટલાક લોકો એવા સુંદર કામો કરી જાય છે કે એમની જિંદગી સાર્થક થાય છે. ઓ જિંદગી! મારો તને વાયદો છે કે હું તારી એકપણ ક્ષણને ખોટી વેડફી નાખીશ નહીં.
તારો આભારી