જીવન સંધ્યા
જીવન સંધ્યા
ઢળતા સૂરજ પાસે પણ આપણે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે તે નવી સવાર, નવો દિવસ, નવો વિચાર અને નવી આશા લઈને ઊગશે.
પણ જ્યારે જીવન સંધ્યા થાય ત્યારે આખુય જીવન નીતરતું લાગે છે. જીવનની દરેક ઈચ્છા અપેક્ષાઓ નિઃશબ્દ બનીને રહી જાય છે. અરમાનોના પોટલા ઘરના બેડે ચડી જાય છે, અને અવસ્થા વિવશતામાં પરિણમે છે.
આ અણધારી આવેલી અવસ્થામાં એક જ સાથી રહી જાય છે, "ઉંમરનો અનુભવ". કાયાનો સાથ છૂટતો જતો હોય છે, પણ જર્જરિત થયેલી આંખોમાં હજુયે અનુભવોનો તેજસ્વી પ્રકાશ ચમકતો દેખાય છે. જીવનમાં મેળવ્યા ગુમાવ્યાના હિસાબો હાથોની ઘસાયેલી રેખામાં ઊભરાતા દેખાય છે.
આખીયે જિંદગી આંખો સામેથી પસાર થતી લાગે છે, અને પોતે કોઈ પ્રેક્ષક હોય તેમ નીહાળતા રહેવું પડે છે.