ઘીસત હો ઘીસત હો
ઘીસત હો ઘીસત હો
ઘણા વરસો પહેલાની આ વાત છે. એક મોટું ઘટાદાર જંગલ હતું. આ જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતાં. એટલે શિકાર કરવા માટે અનેક રાજાઓ અને રાજકુમારો આવતા હતા. આ જંગલમાંથી એક સુંદર મજાની નદી કલકલ કરતી વહેતી હતી. આ નદીને કિનારે એક ઋષિનો આશ્રમ હતો. ઋષિ રોજ સવારે કિનારે સ્નાનવિધિ કરવા માટે આવતા હતાં.
એક દિવસની વાત છે. એકવાર ઋષિ મહારાજ સવારે વહેલા નદી કિનારે સ્નાન કરવા માટે ગયા હતાં. ત્યારે નદીના પાણીમાં એક બગલો ઉભો હતો. આ બગલો એક મોટા પથ્થર પર પોતાની ચાંચ ઘસી રહ્યો હતો. એટલે તેમાંથી ઘસર ઘસરનો અવાજ આવતો હતો. આજોઈને ઋષિના મનમાં એક કાવ્યપંક્તિ સુઝી તે બોલ્યા,
‘ઘીસત હો ઘીસત હો ઘીસત હો,
ઉપર લગા હો પાની
તુમ કીસ બાત સે ઘીસત હો
સો બાત મેને જાની
ઋષિ જયારે આ પંક્તિ બોલી રહ્યા હતાં તે જ વખત બાજુના નગરના રાજા જંગલમાં શિકાર કરવા માટે આવ્યા હતાં. તે પણ શિકારની શોધમાં નદી કિનારે આવ્યા હતાં. તેમણે ઋષિના મોઢેથી આ પંક્તિ સાંભળી અને પોતે તેનો અર્થ શોધવા લાગ્યા. પણ તેમણે કંઈ અર્થ સમજાયો નહિ. એટલે તે વારંવાર આ પંક્તિ બોલવા લાગ્યા.
‘ઘીસત હો ઘીસત હો ઘીસત હો,
ઉપર લગા હો પાની
તુમ કીસ બાત સે ઘીસત હો
સો બાત મેને જાની
પણ તેમણે અર્થ સમજ્યો નહિ. પણ વારંવાર બોલવાથી આ પંક્તિઓ તેમને મોઢે થઈ ગઈ. તેઓ આજ પંક્તિઓ બોલતા બોલતા નગરમાં રાજમહેલમાં પાછા આવ્યા.
હવે આ રાજના રાજાના ઘણા દુશ્મનો હતો. તેમાંથી એક દુશ્મન સગો નાનો ભાઈ હતો. તેણે રાજા બનવાની ઈચ્છા હતી. એટલે તે પોતાના મોટાભાઈ મારીને પોતે રાજા બનવા માંગતો હતો. પણ રાજાને માંરવા કેવી રીતે આ માટે તે રાત દિવસ કોઈને કોઈ ઉપાય વિચારે જતો હતો. એમ કરતાં તેણે એક દિવસ એક રસ્તો મળી ગયો. તેણે ખબર હતી રાજ્યનો રામુ હજામ રોજ રાજાજીની હજામત કરવા આવતો હતો. તેણે વિચાર્યું કે જો રામુનો સાથ મળે અનમે જો રાજાની દાઢી બનાવતી વખતે તેના અસ્ત્ર વડે રાજાનું ગળું કાપી નાખે તો રાજાને મારી શકાય.
આમ વિચારી રાજાના નાના ભાઈએ રામુ હજામને બોલાવ્યો. ઇનામની લાલચ આપી રાજાની હત્યા કરવા માટે તૈયાર કર્યો. હજામ રામુ પણ ઇનામની રકમ જોઈ લાલચમાં આવી ગયો. અને હત્યા કરવા તૈયાર થયો. બીજા દિવસે તે પોતાનો ધારદાર અસ્ત્રો લઈને રાજા પાસે આવ્યો. તે વરસોનો વિશ્વાસુ હજામ હતો એટલે રાજાને તેની પર કોઈ શંકા નહતી. પણ રાજાનું ગળું કાપીને હત્યા કરવાની હતી. એટલે દાઢી બનાવતી વખતે તે પોતાની અસ્ત્રાની ધાર તેજ બનાવવા માટે અસ્ત્રને વારંવાર ઘસવા લાગ્યો. આ જોઈને રાજાને પેલો ઋષિવાળો શ્લોક યાદ આવ્યો અને તે બોલી પડ્યા...
ઘીસત હો ઘીસત હો ઘીસત હો,
ઉપર લગા હો પાની
તુમ કીસ બાત સે ઘીસત હો
સો બાત મેને જાની
આ સાંભળી હજામ ને એમ થયું કે રાજાજીને બધી ખબર પડી ગઈ છે. હું તેમની હત્યા કરવાનો છું. અને એટલા માટે હું અસ્ત્રો ઘસી રહ્યો છું. આમ વિચારી રામુ હજામ તો ગભરાઈ જ ગયો. અને તે રોતા રોતા રાજાના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. રાજાને તો ખુબ જ નવાઈ લાગી. તેણે હજ્મને આખી હકીકત પૂછી. ડરી ગયેલા હજામે બધી હકીકત રાજાને જણાવી દીધી.
રાજા આખી વાત સમજી ગયા. તેમને તરત જ સિપાહીઓને હુકમ કર્યો. અને પોતાને મારવાની યોજના બનાવનાર નાના ભાઈને જેલમા પુરાવી દીધો. ભેગો આ હજ્મને પણ જેલમા પુરાવી દીધો.
આમ એક ઋષિના શ્લોક માત્રથી રાજાનું જીવન બચી ગયું.