ગામફોઇ
ગામફોઇ
૫૫ વર્ષની કૃષ્ણવદનભાઈની પત્ની સુભદ્રાએ આપઘાત કર્યો.. કશુંક પી લીધું હતું અને બે છોકરા મા વિનાના થઈ ગયા. બે વહુઓ સાસુ વિનાની અને ત્રણ પૌત્રો અને એક પૌત્રી દાદીમા વિનાના થઈ ગયાં. પોલીસને પત્રમાં પુષ્પમ અને હોસ્પીટલના ખર્ચાને અંતે કૃષ્ણવદનના બેંક ખાતામાં ૩ લાખ ઘટી ગયા પણ જેલ અને વકીલોની તકલીફ જતી રહી.
નીતાને કૃષ્ણવદન ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો તેથી તે બેસણામાં ના ગઈ. મનોમન સુભદ્રાના અત્માને વૈકુંઠધામ આપો પ્રભુની પ્રાર્થના કરી અને સુભદ્રાની જીવન કથા મમળાવવા બેઠી. સુભદ્રા છેલ્લા દિવસોમાં બહુ ઉદાસ રહેતી. વરંવાર કહેતી, ‘મારે તો મરી જવું છે.’ નીતા તેની હતાશાને બે ત્રણ વાતો કરી હળવા કરવા મથતી. પણ સુભદ્રા તો હતી ત્યાં અને ત્યાં… તે દિવસે તે બોલી પણ ખરી, ‘હું મરી જઉં તો હું તો છુટું અને તેમને બીજીને લાવવાનો રસ્તો મળેને?’
નીતા બોલી પણ ખરી, ‘સુભદ્રા બેન એવું ના વિચારો ૫૮ વર્ષે કંઈ તેમને બીજી કોઈ ના મળે.’
કૃષ્ણવદનભાઈએ તેરમું પત્યું અને કોર્ટમાં લગ્નની અરજી દાખલ કરી ત્યારે નીતાને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠેલા ખોખલા સમાજ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો. ખૂબજ ધુંધવાઈ અને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યુ કે સુભદ્રાને બળજબરીથી ઝેર પાયું છે કૃષ્ણવદનભાઈએ.
નીતાને ઘણાં બધાં લોકોએ ખખડાવી. ‘આ શું શરૂ કર્યું છે તે.. અને એ કૃષ્ણવદન સાથે આપણે શું પંચાત?’ પોલીસે તો ત્યાં સુધી કહ્યું વિના પુરાવાને આધારે તારી વાત હવામાં ઊડી જશે. ત્યારે નીતા ફક્ત એટલું બોલી, ‘મને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેસવું ગમતું નથી, મને ખબર છે કૃષ્ણવદને તેને ઝેર પાયું છે.’
કૃષ્ણવદનના બેંક ખાતમાંથી બીજા ચાર લાખ ઘટી ગયા. ભીનું સંકેલાઈ ગયું અને નીતાને ભાગે ખોટૂં આળ આવી ગયું. ‘તે તો ગામફોઇ છે.’ પણ તેનો ગુસ્સો વેડફાઈ નહોતો ગયો.
મીરાબેને કૃષ્ણવદનને લગ્નની ના પાડી રખડાવી દીધા હતા. ગામફોઈઓ પણ ક્યારેક ગામનું ભલું કરી જતી હોય છે. પૈસા હોય એટલે કંઈ બધું ના કરી શકાય. તે પાઠ ખોખલા સમાજને શીખવાડી ગઈ.