ગામડાંની વહારે
ગામડાંની વહારે
ગામડાંનો સવાલ દહાડે દહાડે વિરાટ અને વિકરાળ થતો જાય છે. હવે તો એના પર સારું નરસું સાહિત્ય પણ ખૂબ વધવા લાગ્યું છે. તાત્વિક ચર્ચા અને વિધ વિધ સૂચનાઓ પણ વધતી જાય છે. રશિયામાં ગામડાંની પુનર્ઘટના શરૂ થઈ છે, અને એનાં વિસ્તૃત અને ઉત્સાહભર્યા વર્ણનો અંગ્રેજીમાં મળવા લાગ્યાં છે. જે સાહિત્યમાં વિગતવાર વિચારો પૂરા પાડવામાં આવે છે તે સાહિત્ય ભણેલાઓને આકર્ષક નીવડે તો એમાં આશ્ચર્ય નથી. જાતે વિચાર કર્યા વગર અથવા પ્રયોગ કર્યા વગર આગ્રહપૂર્વક વિવેચન કે સૂચના કરવાનો એ એક જ માર્ગ છે. ગાંધીજીનો રસ્તો જુદો છે. ભારતવર્ષની સ્થિતિ, પ્રજાની શક્તિ અને મનોવૃતિ પારખીને તેને આધારે જ તેઓ સૂચના કરે છે. ઘણુંખરું અનુભવમાં મૂકી જુએ છે, આપણા દેશમાં ચાલતા પ્રયોગો આસ્થાપૂર્વક નિહાળી આવે છે, અને પછી જ પોતાની વાત દેશવાસીઓ આગળ રજૂ કરે છે.
'દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય' એ વૃત્તિથી તેઓ કામ કરતા હોવાથી આ ગરીબ દેશમાં આજે કરવા જેવી વસ્તુઓ જ તેઓ સૂચવે છે. તેમના ઉપાયો પાયાશુધ્ધ હોવાથી દૂરવર્તી ભવિષ્યકાળમાં પણ હિતકર જ નીવડે છે, એમ આપણે એમની અત્યાર સુધીની પ્રવૃતિ પરથી જોઈ શક્યા છીએ. જેમના હાથમાં દેશની કેળવણી છે અને જેઓ ગ્રામસેવાના પવિત્ર વ્યવસાયમાં પડ્યા છે તેમને એટલી જ વિનંતિ કે આમાં આપેલી એકે એક સૂચનાનો આદરપૂર્વક અનુભવ કરી જુએ; કેવળ તાત્ત્વિક ચર્ચા કરી એને કોરે ન મૂકે.