એક રાતનું પાલતું
એક રાતનું પાલતું
ઢળતી સાંજે રસોડામાંથી દોડતી નિરાલી બહાર આવી. કારણ, છ વર્ષનો દીકરો મન ઝાડ પરથી રસ્તા પર પડેલું ચકલીનું બચ્ચું બતાવી રહ્યો હતો. એ ઉડતું નહોતું થયું એટલે વિચાર્યું કે ચકલી સમયસર આવી ન શકી તો? વિચાર માત્રથી કંપારી છૂટી ગઈ તેથી દયાભાવ સાથે રસોઈ પડતી મૂકી. મન ડોલ અને સુપડી લઈ આવ્યો, અને નિરાલી બચ્ચું સહીસલામત ડોલમાં મૂકી ઘરમાં લાવી. સાથે દાણાંપાણી મૂક્યાં.
રાતે જમ્યા ત્યાં સુધીમાં એ સ્વસ્થ થવા લાગ્યું, દાણા જાતે ખાવા જેટલું મોટું નહોતું થયેલું. એટલે રાંધેલું કંઈ કેટલુંય મન એ આપ્યું. પણ પાણી સિવાય કંઈ ન લીધું. રાતની જલ્દી સવાર થાશે વિચારી મન પોતાના પાલતુંની બાજુમાં જ ઊંઘી ગયો. ઉનાળો હતો એટલે વહેલી સવારે ચકલી આવી પહોંચી અવાજો કરતી, બચ્ચું ય જાગીને બોલ્યું એટલે લાગ્યું એનું જ બચ્ચું છે. ડોલમાંથી બચ્ચું બહાર આવી ગયું એટલે બારી ખોલી. ઓશિકાની કતારને દાદરા બનાવી માંડ ઉપર ચડાવ્યું, ત્યાંજ બારીમાં મા આવી પહોંચી. બચ્ચાને હેમખેમ જોઈ તાનમાં આવી લઇ જાવા મથી.
બારીમાંથી બગીચા સુધી પહોંચ્યાં ત્યારે ખુશીના આંસુ સાથે મન એ ‘એક રાતના પાલતું બચ્ચા’ ને વિદાય આપી અને કહ્યું લો, તમારે ઘરમાં કોઈ પાલતું નહોતું લાવવું ને. જો! ભગવાનએ એક રાત માટે પણ મને તારા ના કહેવા છતાંય બચ્ચું મોકલી આપ્યું. આ સાંભળી નિરાલી સ્તબ્ધ રહી ગઈ.