દીકરીનું રૂપ
દીકરીનું રૂપ
એક નાનકડું ગામ હતું. તે ગામમાં અલગ અલગ જાતિના અનેક લોકો રહેતા હતા. ગામમાં લુહાર, દરજી, કડીયો, સુથાર, બ્રાહ્મણ આમ અનેક જાતિના લોકો રહેતા હતા.
એ ગામમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તેને બે સંતાન હતા. એક દીકરી અને એક દીકરો. તે ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. તે બ્રાહ્મણ સ્ત્રી ગામમાં લોકોના નાનામોટા કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેનો પતિ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો હતો. એટલે બાળકોના ઉછેર અને ઘરની જવાબદારી આ એક સ્ત્રી પર આવી પડી હતી. તેણે ખુબ મહેનત મજુરી કરીને બંને સંતાનોને ઉછેરીને મોટા કર્યા. દીકરી મોટી થતા તેણે પરણાવીને સાસરે મોકલી. પછી ઘરમાં એ બ્રાહ્મણ સ્ત્રી અને તેનો દીકરો બે જ જણ રહ્યા.
સમય જતાં દીકરો ખુબ ભણ્યો. તેને એક મોટી નોકરી મળી. તેથી તે નોકરી માટે ગામ છોડીને બહારગામ ગયો. હવે તે પોતાની માતાને સાથે લઇ જવા માંગતો ન હતો. એટેલે તેણે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મુકવાનું નક્કી કર્યું. તેણે પોતાની માં ને કહ્યું, ‘મારે એક મોટી નોકરી લાગી છે. એટલે મારે બહારગામ જવું પડશે. માટે ચાલો હું તમને ઘરડાઘરમાં મૂકી જાઉં.’ આ સાંભળી પેલી બ્રાહ્મણ સ્ત્રીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે ખુબ જ દુ:ખ લાગ્યું. તે રડવા લાગી. તેણે રડતા રડતા પોતાના દીકરાને કહ્યું, મે તને નાનપણથી મજુરી કરીને મોટો કર્યો. તને ભણાવ્યો ગણાવ્યો. તને મારું દૂધ પાયું. તારી આંગળી પકડીને ચાલતા શીખવ્યો. તને બોલતા શીખવ્યું. આ બધા કામ માટે મે કોઈ પૈસા નથી લીધા. અને તું મને ઘરડાઘરમાં મુકવા જાય છે.’
મા અને દીકરા વચ્ચે આવી રકઝક ચાલતી હોય છે એટલામાં સાસરેથી દીકરી આવે છે. તે પોતાની માં ને રડતી જોઈ આખીવાત સમજી જાય છે. તે પોતાની મા ને હિંમત આપતા કહે છે, ‘મા તું ચિંતા ના કર. ભાઈને નોકરી વ્હાલી હોય તો ભલે જાય, પણ હું તને ઘરડાઘર નહિ જવા દઉં. હું તને મારી પાસે રાખીશ. છોકરો તો રાજી થાય છે. એને એમ કે, ‘ચાલો મને મારી જવાબદારીમાંથી મુક્તિ મળી.’ આમ કહી તે પોતાની નોકરી માટે શહેર ચાલ્યો જાય છે. બીજી બાજુ દીકરી પોતાની મા ને પોતાની સાસરીમાં પોતાના ઘરે લઇ જાય છે. એ બ્રાહ્મણ સ્ત્રી બે-ત્રણ વરસ પોતાની દીકરીના ઘરે રહે છે. પછી એક દિવસ તે દીકરીને વાત કરે છે કે, ‘દીકરી હું તારા ઘરે ઘણું રહી, મારે મા થઈને દીકરીને ઘરે ઝાઝું ન રહેવાય.’ આમ કહી તે જિદ્દ કરી પોતાના ઘરે પાછી આવે છે. તેનો દીકરો તો બહાર શહેરમાં ગયો હોય છે. એટલે તે સ્ત્રી એકલી જ રહે છે. આમ કરતા ચાર છ મહીના પસાર થાય છે. અને એક દિવસ એ બ્રાહ્મણ સ્ત્રી મૃત્યુ પામે છે.
દીકરી પોતાની સાસરીમાંથી આવીને પોતાની માતાની અંતિમક્રિયા કરે છે. દીકરો તો મોડોમોડો આવે છે. તે આવીને ખુબ જ રડવા લાગે છે ત્યારે તેની બહેન રડે છે. ભાઈ હવે શું કામ રડો છો જયારે મા જીવતી હતી ત્યારે તો તેની સેવા ના કરી .હવે રડવાથી શું ફાયદો. એટલામાં એ નગરના નગર શેઠ ત્યાં આવે છે ને કહે છે, તમારી માએ મારી પાસેથી એક હજાર રૂપિયા ઉછીના લીધા હતા તે મને કોણ પાછાં આપશે?’ ત્યારે દીકરો કહે છે, ‘શેઠ એ પૈસા તમે મારી માં ને આપ્યા હતા, મને આપ્યા નથી. હવે મારી મા તો મૃત્યુ પામી તમારા પૈસા એ ક્યાંથી આપે!’એવામાં દીકરી બોલી, શેઠ તમે ચિંતા ના કરો મારી માએ તમારી પાઈ જેટલા રૂપિયા લીધા હશે એ બધાં જ રૂપિયા હું તમને પાછા આપીશ.
ત્યારે શેઠે હસતા હસતા કહ્યું, ‘વાહ દીકરી વાહ. ખરેખર તું ધન્ય છે. આજે તે બતાવી દીધું કે દીકરી દીકરાથી ઓછી નથી હોતી.’ તેમણે આગળ વાત કરતા કહ્યું, ‘ દીકરી મારે તારી મા પાસેથી કોઈ રૂપિયા લેવાના નથી, ઉપરથી રૂપિયા આપવાના છે. પણ તમારા બેમાંથી કોને આપવા તે નક્કી કરવા માટે મે આ યુક્તિ કરી.’ એમ કહી શેઠે રૂપિયા ભરેલી થેલી દીકરીના હાથમાં આપી. ભાઈ તો ફાટી આંખે જોતો જ રહ્યો અને પસ્તાવો કરવા લાગ્યો. કે રૂપિયા મને ન મળ્યા.
‘દીકરી બે ઘરનો દીવો છે.’ જનની સ્વર્ગથી પણ મહાન છે.