ધરાનું જતન
ધરાનું જતન
આપણો દેશ પહેલેથી જ ખેતી પ્રધાન દેશ છે. 60 થી 70 ટકા લોકો સીધા ખેતી સાથે સંકળાયેલા છે. આઝાદી પછી દેશમા હરિયાળી ક્રાંતિનો સમય શરુ થયો. સારું બીયારણ, ખાતર, પાણી, મશીન વગેરે ખેડૂતને આપવામાં આવ્યું. આપણે જોઈએ તો આપણા જીવનમાં સૌથી વધુ મહત્વની જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો તે અનાજ છે. તમારી પાસે ખાવા માટે અનાજ જ ના હોય તો તમે જીવશો કેમ ?
કાનજીભાઈ ખેડૂત જમીનને પોતાની માં માને છે. તે એક દાણો જમીનમાં વાવે અને હજારો દાણા ઉગાડે છે. સવારથી લઈને સાંજ સુધી પોતે પરસેવો પાડીને હળ ચલાવે, પાણી પીવડાવે, નિંદામણ કરે, જેવા અનેક નાનામોટા કામ કરે છે. ખેતી જેટલી જોવામાં સરળ લાગે છે સામે એટલી જ કઠિન છે. એક પાકની ઉપજ લેવા માટે ઘણા દિવસની મહેનત હોય છે. અને અત્યારે તો ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી વાતાવરણ ક્યારે પોતાની કાયા પલટી દે છે કઈ ખબર હોતી નથી. ખેડૂતનું સીધું કનેકશન કુદરત સાથે છે .કુદરત કેવો વ્યવહાર કરે તેના ઉપર ખેડૂત નિર્ભર રહે છે .કોઈ વાર સારો વરસાદ થાય, તો કોઈ વાર જરૂર કરતાં વધુ પણ થાય. કમોસમી વરસાદ થાય, અને ઘણી વાર તો સુકો જ દુકાળ પડે પાણી માટે વલખાં મારે ખેડૂત.
આ બાજુ કાનજીભાઈ હિંમત હારતા જ નહીં. કુદરત ઉપર ભરોસો રાખી કામ કર્યે જતા. પાક લણણી પર આવ્યો હોય ત્યારે તો ખેતર એકદમ લીલુંછમ હરિયાળુ જોવા મળે. જાણે ભગવાને કોઈ લીલી જાજમ કાનજીભાઈના ખેતરમાં પાથરી ન હોય. તેમના ખેતરમાં ટીટોડીના ઈંડા હોય કે ગાયો ચરતી હોય પણ કાનજીભાઈ તો બસ ભગવાનની દયા સમજી કોઈને ખેતરમાંથી ભૂખ્યા તગડે જ નહીં. પંખી, ગાયો કે કુતરાઓ બધા જ આરામથી બેસી શકે, કોઈ ડર નહીં.
અત્યારે લોકો જમીન વેચી ને ત્યાં મોટી મોટી બિલ્ડિંગ બનાવવા માટે જમીન વેચી નાખે છે પરંતુ એક સમય એવો આવશે અનાજ ઉગાડવા જમીન કોઈ પાસે જમીન નહીં હોય. માટે ખેતીની જમીનનું જતન પણ કરવું જોઈએ. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ. સરકાર પણ ખેડૂતને સારી એવી સહાય આપે છે તેનો વધુ લોકો લાભ લે એવી કોશીશ કરવી જોઈએ. વાતાવરણને અનુકૂળ પાક લેવો, પાણીની કેનાલનો ઉપયોગ કરવો, સારું બીયારણ વાપરવું આ બધું કરવાથી ખેડૂતોને થોડી જમીનમાં પણ વધુ પેદાશ થાય.
આ જગતના તાત પાસેથી જો જમીન છીનવાય જશે તો એક ટંકની રોટી માટે પણ વલખા મારવાનો સમય આવી શકે છે. માટે રહેઠાણ થોડા નાના હશે તો ચાલશે પણ ભૂખ્યા નહીં સૂઈ શકાય.