ડોશીમા
ડોશીમા
રતનપર નામનું એક ગામ હતું. એ ગામમાં અંદાજે સો એક ખોરડા હશે ! આખું ગામ એકબીજા જોડે હળીમળીને રહે. ગામના સીમાડે એક વૃદ્ધ વિધવા ડોશીમા રહેતા હતાં. તેમને એક દીકરી હતી. જેને લગ્ન બાજુનાં જ ગામમાં કર્યા હતા.
બંને ગામ વચ્ચે એક મંથરા નામનું જંગલ હતું. આ જંગલમાં જાતજાતના અને ભાતભાતના પશુ-પક્ષી અને વૃક્ષો હતા. આ જંગલમાં ખાસ કરીને વાઘ અને દીપડાનો ખૂબ જ ત્રાસ હતો. અવારનવાર તે ગામ લોકોને મારી ખાતા હતા. આથી ગામ લોકો જંગલમાં જતા ખૂબ જ ડરતા હતા.
એક દિવસ બન્યું એવું કે ડોશીમાની દીકરી કંઈક સંજોગો વસતા માંદી પડે છે તો તે તાર લખીને ડોશીમાને મોકલે છે. ડોશીમા તો બિચારા અભણ તેથી વાંચતા તો આવડે નહીં. આથી તે ગામના માસ્તર પાસે તાર વંચાવા માટે જાય છે.
માસ્તર ડોસીમાને તાર વાંચીને સંભળાવે છે. ડોસીમા દીકરી માંદી છે એમ સાંભળતા જ હાફળા-ફાફળા થઈ જાય છે. છેવટે ડોશીમા માસ્તરને પૂછે છે, ' માસ્તર તું તો અમરાપરનો જ છે તો હું તારા સંગાંથ આવું ?'
' કેમ નહીં માડી ચોક્કસ આવજો અમથા પણ તમારે મંથરા માંથી એકલા નો નીકળાય.'
' તો કાલે માસ્તર તું મને ઘરે જાય એટલે લઈ જાજે હો ! '
' ચોક્કસ માડી. '
બીજા દિવસે ખૂબ વરસાદ પડે છે તો માસ્તર અને ડોશીમા સાંજના સમયે અમરાપર જવા નીકળે છે. જંગલમાં અનરાધાર વરસાદના લીધે ચાલે એવું નથી હોતું અને બીજી તરફ મંથરામાં નદી પણ આવી જાય છે તો માસ્તર અને માડી પાછા ગામમાં પણ નથી જઈ શકતા. માસ્તરે ડોશીમાને કીધું,
' માડી આજે આપણે અહીં જ રોકાવું પડશે હવે. '
'હા માસ્તર, ઓલા વડલાની ઓથે રોકાઈ જાવી.'
માસ્તર અને ડોશીમા વડલાની ઓથે બેસે છે. રાત પડી ગઈ હોવાથી માસ્તરને વાઘ-દીપડો આવવાનો ખૂબ જ ડર લાગે છે. તો માસ્તર માડીને સૂવાનું કહીને પોતે જાગે છે. ડોશીમા તો બસ ઘડીકમાં ઘોર ઊંઘમાં જતા રહે છે. જેમજેમ રાત આવતી જાય છે એમએમ માસ્તરનો ડર વધતો જાય છે. મોડી રાતના બે દીપડા શિકાર માટે નીકળેલા જોઈ માસ્તરનો પરસેવો છૂટી જાય છે.
માસ્તર તો બૂમાં-બૂમ કરવા લાગે છે. ભાગો ડોસી ભાગો ડોસી દીપડા આવ્યાં ! ડોશીમા તો જાગવાનું નામ નથી લેતા. માસ્તર તો વડલાની ઊંચી ડાળીએ ચડીને બેસી જાય છે.
એવામાં ડોશીમા બોલવા લાગ્યા, 'મને નથી કોઈનો ડર, આવી જા સામે દમ હોય તો ! હિંમત હોય તો જ સામે આવજે નહીં તો આજે તને ફાડી ખાઈશ.'
આવું સાંભળતા બંને દીપડા ડરી જાય છે અને બોલે છે, ' અલા, મુનિયા આ દોશી તો હિંમતવાળી લાગે છે. આ આપણને નહીં બક્ષે હો. ચાલ અહીંથી જતા રહીએ.' બંને દીપડા ભાગી જાય છે.
આ જોઈ માસ્તરના જીવમાં જીવ આવે છે અને મનમાં વિચારે છે કે ડોશીમા તો બહુ હિંમતવાળા લાગે છે હો ! સવારમાં માસ્તર વડલાની ડાળીએથી નીચે ઉતરીને ડોશીમાને જગાડે છે. અને ડોશીમા જાગીને માસ્તરને કહે છે, ' ઊંઘ તો બહુ સારી આવી હો માસ્તર. '
' માડી તમેં તો બહુ હિંમત વાળા હો ઓલા બંને દીપડાઓને ભગાડી મૂક્યાં ! '
' શું બોલો છો માસ્તર ? મને તો જનાવરાથી તો બહુ ડર લાગે છે. '
' લે માડી તમે તો બોલતા હતાને કે બંનેને ફાડી ખાવ ! '
' અરે માસ્તર એ તો મારો ઊંઘમાં બબડવાની ટેવ છે ! '
આવું સાંભળતાં બિચારા માસ્તર ત્યાંને ત્યાં જ બેશુદ્ધ થઈને ઢળી પડે છે.