ચતુર વાણિયો
ચતુર વાણિયો
એક નગર હતું. તે નગરમાં અનેક લોકો રહેતા હતા. આ નગરમાં એક શેઠ પણ રહેતા હતા. તે શેઠ ઘણા જ સુખી અને ધનવાન હતા. આ શેઠ ચતુર પણ ખુબ જ હતા. તેમની પાસે ખુબ જ ધન ભેગું થયું હતું. તેમણે બધું જ ધન એક પેટીમાં ભેગું રાખ્યું હતું.અને પેટીને ઘરમાં સંતાડી દીધી હતી.
હવે આજ ગામમાં એક ચોર પણ રહેતો હતો. તે રાત પડે એટલે લોકોના ઘરમાં જઈને ચોરી કરતો. એકવાર તેને જાણવા મળ્યું કે શેઠના ઘરમાં ખુબ જ ધન છે. એટલે તેણે એ શેઠના ઘરે જઈને ચોરી કરવાનું નક્કી કર્યું. એક અંધારી રાત આવી એટલે ચોરે એ શેઠના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું. તેણે ચહેરા પર કપડાની બુકાની બાંધી અને ચોરી કરવા નીકળી પડ્યો. તે છાનો માનો બારી તોડીને શેઠના ઘરમાં ઘૂસ્યો.
શેઠ તો ઉંઘી ગયાં હતા. તેણે ધીમેથી શેઠના ઓશિકા નીચેથી કબાટની ચાવી ખેંચી લીધી. ઘરની બહાર નીકળી ગયો. સવારે શેઠ ઉઠ્યા તો જોયું કે ઘરમાં ચોરી થયેલી હતી. અને ચોર બધું જ ધન ચોરી ગયાં હતા. પણ શેઠ ખુબ ચતુર હતા. તેમણે ચોરીની વાત કોઈને કરી નહિ. અને જાણે કે કશું બન્યું જ ના હોય તેમ સ્વસ્થ થઈને ફરવા લાગ્યા.
શેઠને આમ બિન્દાસ રીતે નગરમાં ફરતા જોઈને ચોરને નવાઈ લાગી, કે એમના ઘરમાં ચોરી થઈ છતાં શેઠ કેમ આટલા ખુશ છે. એટલે તે શેઠની પાસે આવ્યો. અને અજાણ્યો માણસ બની પૂછવા લાગ્યો, ‘શેઠ કેમ આજે આટલા ખુશ દેખાવો છો? ‘ શેઠે જવાબ આપ્યો, ‘એટલા માટે કે કાલે મારા ઘરે ચોર આવ્યો હતો, પણ બિચારો અસલીને બદલે નકલી દાગીના ચોરી ગયો. અસલી દાગીના તો ઘરે જ રહી ગયાં. આ સાંભળી પેલો ચોર માણસ સાચું માની ગયો. તેણે નક્કી કર્યું કે હું આજે રાતે જઈને અસલી દાગીના ચોરી આવીશ.
હવે શેઠને ખબર પડી ગઈ હતી. કે આ વાત સાંભળ્યા પછી ચોર આજે ચોરી કરવા પાછો જરૂર આવશે. એટલે તેમણે પહેલેથી પોલીસને બોલાવી ઘરમાં સંતાડી રાખી હતી. રાત પડી એટલે પેલો ચોર ફરી ચોરી કરવા આવ્યો. તેણે જેવું કબાટ ખોલ્યું કે શેઠ અને પોલીસે તેને પકડી પાડ્યો. પોલીસ તેને થાણામાં લઇ ગઈ અને ખુબ માર માર્યો. અને શેઠના ચોરેલા દાગીના પાછા અપાવ્યા. આમ શેઠે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ચોરને પકડી પાડ્યો અને પોતાના ચોરાયેલા દાગીના પણ પાછા લઇ આવ્યા.