અસલ સ્વરૂપ
અસલ સ્વરૂપ
આ જગતમાં ૮૪ લાખ જીવ યોનિઓ છે. આ બધામાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે, દુર્લભ છે. મનુષ્ય જન્મમાં જ મોક્ષ મળી શકે છે. બધા જ જીવોમાં બુધ્ધિ અને વિચારશક્તિ ફકત મનુષ્યને જ મળેલ છે. છતાં પણ માયાના આવરણથી પોતાનો મૂળ હેતુ ભૂલીને સાંસારિક વિષયોમાં જન્મ વ્યર્થ ગુમાવી દેવો તે મોટી ભૂલ છે. ચારે તરફ માયાનું આવરણ વિસ્તરેલું છે. ક્ષણિક જીવનના આનંદ માટે સતત દોડધામ અને સખત પરિશ્રમ કરી, આ આવરણોને દૂર કરવાને બદલે એક પછી એક આવરણો ચઢાવી લઈએ છીએ. જેને કારણે આપણે પોતાનું અસલ સ્વરૂપ ભૂલી ગયાં છીએ અને ભૂલા પડી ગયાં છીએ. આપણને સાચો રસ્તો મળતો નથી અને ઈશ્વરની માયાજાળમાં ફસાતાં જઈએ છીએ.
સાચી સમજ નથી એટલે આ દ્શ્ય જગતને સાચું માની લઈએ છીએ. અહીંતો જે જે દ્શ્ય પદાર્થ છે તે મિથ્યા છે. પૃથ્વીના પેટાળમાં વિપુલ પ્રમાણમાં પાણી છે. પાણી મેળવવા આવરણ દૂર કરવું પડે છે. તેવી જ રીતે આ માયાજાળના આવરણો દૂર કરવા માટે સાચા સંતના શરણમાં જાવું પડે છે તો જ આ અજ્ઞાનના આવરણ દૂર કરી શકાય અને આ માયાથી બચી શકાય.
હું કોણ છું? ક્યાંથી આવ્યો અને ક્યાં જઈશ? આ પ્રશ્નોના જવાબ સાચા સંતના ચરણે - શરણે જવાથી જ મળે છે. તે તમોને તમારું અસલ મુકામ બતાવશે. વળી તમારું અસલ સ્વરૂપ તમને ઓળખાવશે અને તમે જેનાથી વિખૂટા પડયાં છો તેની સાથે ભેટો કરાવશે. તમારો ભય ભાગતાં તમો નિર્ભય થશો. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી, આ અવસર સુધારી લ્યો ને ચોરાશીના ચક્કરમાંથી બચી જાઓ. આ જ જીવનનો મુખ્ય હેતુ છે.
"ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારે વેદ."
સાચા સંતના શરણમાં જવાથી અને સતત સત્સંગમાં રહેવાથી જ્ઞાનીને આ જગત ભગવાન સ્વરૂપ લાગે છે. પોતાના અસલ સ્વરૂપની ઓળખ થાય છે. કારણકે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહિ. જ્ઞાનથી જ મોક્ષ થાય છે.
