અઘરો સવાલ
અઘરો સવાલ
હું કોણ છું ?
બહુ જ અધરો સવાલ જેનો જવાબ આપણને ક્યારેય મળતો નથી. આપણો આત્મા તેના થકી જીવાય પણ તે અદ્રશ્ય છે. જોઈ શકતા નથી, તેથી ઓળખવા મળ્યું શરીર આ નામનો હું. આ શરીરનું હું એવું છવાયું કે આત્માને ઉજાગર કરવાનું, મનની ભીતર ઝંખવાનું રહી ગયું. શરીરનાં બાહ્ય આવરણની ટીપટાપમાં, એના મોહમાં, એની કાળજીમાં, એના લાલન પાલનમાં આસક્તિ વધતી ગઈ અને ભીતરનાં કમાડ બંધ થઈ ગયા. હું નામનું અભિમાન વધી ગયું તેની આગળ સૌ ગૌણ થયું.
હું કોણ ? તો હું અંતરમનનો અવાજ ખુદ છું, હું બ્રહ્મનો અંશ છું. મારામાં શક્તિઓ અનંત છે જે હું જાગૃત કરી શકું છું. મનને તન સાથે ઐક્ય સાંધી હું દરેક વસ્તુ કરવા સક્ષમ છું. ઈશ તમારી અંદર જ છે. મદદ કરવા હરપળે તૈયાર બેઠો છે. તેનો નાદ સંભળાતો નથી. મનની આસક્તિ પ્રભુ પ્રત્યેનીમાં શરીરની આસક્તિ વધારે છવાયેલી રહે છે. માનવી શરીર પર જ અટકી જાય છે.
હું કોણની યાત્રા ભીતરમાં માણવાનો આનંદ છે. આત્માને મુક્તિ આપવા, જન્મમરણના ચક્કરમાંથી બચવા, સારા કર્મો, ઉચ્ચ વિચારો, તનમનનું ઐક્ય, હૃદયની પ્રસન્નતા વધારશે. જે જીવનમાં દયા, કરુણા, લાગણી અને અનકન્ડિશનલ લવ લાવશે. જેનાથી તમારું અભિમાન દૂર થશે. હું પણું દૂર થશે. હું કોણની અનંત યાત્રામાં હું બ્રહ્મનો અંશ છું, જીવનમુક્તિ માટે મારે શું કરવાનું છે ? મારો જન્મ કેવી રીતે સુધારવો. જીવન કેવી રીતે વ્યતીત કરવું. આ સવાલ થાય તેની સાથે હું કોણના જવાબ મળે એજ ખરી જીવનની યાત્રા.
