આતમને ઝરૂખે
આતમને ઝરૂખે
આલીશાન મહેલ સરીખા "આનંદ" પાર્ટીપ્લોટમાં પોતાની લાડકી દીકરી સ્નેહાના લગ્નની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી.
સ્નેહાના મમ્મી -પપ્પા કનકરાય અને અનુપમાની આંખોમાં ઘેરી ઉદાસી સ્પષ્ટ જણાઈ આવતી હતી. પણ હા ! એ ઉદાસી દીકરીને હવે વિદાઈ આપવી પડશે એની તો હતી જ પણ એથી વધારે ઉદાસી પોતાના અવસરમાં પોતાના મોટાભાઈ ભાભી નથી આવ્યા તેની હતી. અતિભવ્ય "આનંદ" પાર્ટીપ્લોટના પરિસરના નયનરમ્ય "ઝરૂખે" કનકરાય અને અનુની આંખો કંઈક શોધી રહી હતી.. વાટલડી જોઈ રહી હતી. આનંદનો અવસર "દીકરીના લગ્નનો" હોવા છતાંય બંનેનો ચહેરો ઉદાસ હતો. કનકરાય મોટા બાંધવની અને મા સરીખા મોટા ભાભીમાંની રાહ જોઈ રહ્યા હતાં.
પોતાની વ્હાલસોયી દીકરી સ્નેહાના ભવ્ય લગ્ન પ્રસંગમાં પિતાતુલ્ય મોટાભાઈ અને ભાભીમાંની ગેરહાજરીએ એમને ઉદાસ કરી દીધા હતાં. લગ્ન પ્રસંગની રસમો એતો કહેવાય છે ને કે ? "સમય સમયનું કામ કર્યે જતો હોય છે" એમ દરેક રસમ એના ટાઈમે થવાનીજ હતી પણ કનકરાયની અધીરી આંખો વાટ જોઈ રહી હતી મોટાભાઈ રામજીભાઈની.
અનુપમાએ કનકરાયને કહ્યું, "ચાલોને ? બહુ મોડું થઈ જશે, હજુ મામેરું, ગ્રહશાંતિ અને ગોત્રપુજા પણ બાકી છે. જાન હમણાં આવીજ પહોંચશે. જો આપણે દરેક વિધિ પતાવી દીધી હશે તો જાનને પણ વેળાસર આવકારી શકીશુ ને ?"
"કનકરાયે ઉદાસી સહીત ગુસ્સામાં ઉંચા અવાજે કહ્યું અનુ! "કેમનો પતાવું મામેરાની વિધિ? કોણ છે જોવા વાળું? કોણ છે મારી પાસે? " અને અનુ! આપણો તો છેલ્લો પ્રસંગ ! રડમસ અવાજે બોલ્યા, "બધાજ સગાસંબંધીની હાજરીમા સરસ રીતે ઉજવવો હતો પ્રસંગ! પણ જોને અનુ હજુ મોટાભાઈ ભાભી પણ ન આવ્યા. આ કાળમુખો કોરોના તો વેરી થયો. માણસોની લિમિટ પણ ? મોટા ભાઈભાભી તો મારે જોઈએ ને ?"
કનકરાય બોલ્યા, "મારા કાળજાના કટકાને વિદાઈ આપીશ ત્યારે મને સાંત્વના આપનારા મારા વડીલો ક્યાં ?"
અનુ પણ આવા વેણ સાંભળી રડતી રડતી બોલી, "વાત તો તમારી સાચી પણ બાપ સરીખા મોટાભાઈ ? અને અનુ ભૂતકાળમાં સરી પડી. આતમને ઝરૂખે બેસી વિચારવા લાગી. દરેક વારે તહેવારે ભગવાન પહેલા પોતાના વડીલ બંધુને પગે લાગવાનું પછી જ મંદિરના ભગવાનને લાગવાનું. તો પછી ? વર્ષોથી ભગવાનનો દરજ્જો પામેલ મોટા ભાઈભાભીને એવું તો શુ ખોટું લાગ્યું ? અને હા ! પ્રભુ કદાચ અમારી કોઈ ભૂલ થયેલ હશે તો એ મોટા છે તો શુ અમને માફ ન કરી શકે ?"
કનકરાય બોલ્યા, "અનુ આપણી કંઈક તો ભૂલ થઈ જ હશે ! નહીંતર આપણો રામ ક્યારેય ન રૂઠે !"
પ્રભુએ પણ કનકરાય અને અનુનો આંતરનાદ સાંભળી લીધો હોય તેમ ઝરૂખાની સામેની બાજુએ ગોઠવેલ મસમોટા અરીસામાં પોતાના ભગવાનનું સજોડે પ્રતિબિંબ દેખાતા અશ્રુભરી આંખે કનકરાય અને અનુ દોડીને તેમના પગમાં પડી ગયા. પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા હોય એવો માહોલ દેખાતો હતો. સરસ મજાની રસમો વચ્ચે મજાના સંગીત સહીત ગીતના સૂર રેલાઈ રહ્યા હતાં.
"અપને તો અપને હોતે હે"