આંગણે આવ્યા પંખીઓ
આંગણે આવ્યા પંખીઓ


પપ્પુ, મોંન્ટુના ઘરે આંગણામાં અનેક પંખીઓને ચણતાં જોઈ બોલ્યો, "મોંન્ટુ તારા ઘરે કેમ એટલા બધા પંખીઓ આવે છે ? બોલને ? મોંન્ટુ જરાક હસીને બોલ્યો, "સાંભળ પપ્પુ, હું રોજ સવારે મુઠી ભરીને આંગણામાં દાણા નાખું છું. એ જોઈ પંખીઓ રોજ દાણા ચણવા માટે મારા ઘરે આવે છે. પપ્પુ ઉતાવળો થઈ બોલ્યો હે મોંન્ટુ, જો મારા ઘરે હું આંગણે દાણા નાખું તો બધા પંખીઓ મારા ઘરે આવે ? હા, તો આવે જ ને મોંન્ટુએ કહ્યું.
પપ્પુ આ વાત સાંભળી મનોમન બહુ ખુશ થયો. એને વિચાર્યું કે હું કાલે સવારે મુઠી ભરીને દાણા નાખીશ. એટલે દાણા ચણવા માટે કેટલાય પંખીઓ મારા આંગણે આવશે. મારા આંગણામાં આવીને એ ગીતો ગાશે. હું એમને સાંભળીશ. મજા આવી જશે. એવું વિચારીને એ રાતે સુઈ ગયો.
સવાર થઈ. સૂરજ દાદા પણ ઉઠી ગયા. પપ્પુ પણ આજે વહેલો ઉઠી ગયો. નાહી ધોઈ ને તૈયાર થઈ ગયો હતો. આજે એના ચહેરા પર અનેરો આનંદ છવાયેલો હતો. ઘરના બધા સભ્યોને આજે આશ્ચર્ય લાગતું હતું કે આજ પપ્પુ શું કરવા માંગે છે? પપ્પુએ મમ્મીને કહ્યું કે મમ્મી બાજરાનો ડબો ક્યાં છે ? મમ્મીએ બાજરાનો ડબો બતાવ્યો. અને પપ્પુએ ડબામાંથી મુઠી ભરીને બાજરો લીધો. બાજરો લઈ એને આંગણે દાણા નાખ્યા, ને દાણા નાખી પંખીઓની વાટ જોવા લાગ્યો. પણ બપોર સુધી એક પણ પંખી એના ઘરે દાણા ચણવા આવ્યું નહિ. એટલે પપ્પુ નારાજ થયો.
પપ્પુ વીલા મોએ ફરી મોન્ટુના ઘરે ગયો. પપ્પુને જોઈ મોંન્ટુ બોલ્યો કેમ પપ્પુ આજે ચહેરો સાવ ફિકો પડી ગયેલો છે. પપ્પુએ જવાબ આપતા કહ્યુ કે તારા કહેવા પ્રમાણે મેં સવારે દાણા નાખ્યા પણ એકપણ પંખી મારા ઘેર આવ્યું નહિ. કેમ ? મોંન્ટુ આશ્વાસન આપતા
કહ્યું કે "નિરાશ ન થા, હજી તે એક જ દિવસ દાણા નાખ્યા છે એટલે કોઈ પંખીને જાણ ન હોય એટલે એ કઈ રીતે આવે. તું રોજ નાખીશ એટલે પંખીઓને ધીમે ધીમે ખબર પડશે એટલે આવશે.
ત્યારબાદ તે દિવસથી પપ્પુ રોજ આંગણામાં દાણા નાખે છે. અને આંગણામાં કેટલાય પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે. આ જોઈ પપ્પુ ખૂબ ખુશ થયો.