આભનો સૂર્ય
આભનો સૂર્ય
“છેવટે સમજાતું નથી આ છોકરીનું શું કરવું?”
“શું થયું વૃંદામેડમ? તમે આટલા ચિંતિત કેમ છો?” – વિશ્વનાથ ચૌહાણ.
“કઈ નહીં બસ, આ છોકરીએ તો હેરાન કર્યા છે, જ્યારથી અહીં આવી છે ત્યારથી લઈને આજ સુધી મેં તેને ક્યારેય હસતાં નથી જોઈ કે રડતા નથી જોઈ.”
“શું એ છોકરી બોલી નથી શકતી?” – વિશ્વનાથ.
“ના, એવું કાંઇ નથી. તે બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે.” – વૃંદાબેન
“તો પછી પ્રોબ્લેમ શું છે? તમે આટલા ગંભીર કેમ છે?”
“તમે જાણો છો કે હું ક્યારેય પણ કોઈ વ્યક્તિને ચૂપ જોઈ શક્તિ નથી.”
“હું સમજું છું, પણ તમે તપાસ કરી આ છોકરી કોણ છે, ક્યાથી આવી છે, કેમ ઉદાસ છે?” – વિશ્વનાથ
“ઘણા પ્રયત્નો કર્યા પણ તે પોતાના મોઢે કાઇ પણ બોલતી નથી. બસ, આખોદિવસ બગીચામાં બેસી રહેશે.” – વૃંદાબેન
“ઠીક છે, ત્યારે હું પ્રયત્ન કરું તેની જોડે વાત કરવાનો કદાચ મને કઈ જાણવા મળે.” – વિશ્વનાથ
“તમે તેની સાથે વાત કરશો!" વૃદાબેનને થોડું આશ્ચર્ય થયું. કારણ કે અગાઉ આટલા વર્ષની નોકરીમાં ક્યારેય તેમણે વિશ્વનાથજીના મોઢે આવા શબ્દો સાંભળ્યા ન હતા.
‘સુમન - છાવની’ નામનું આ અનાથાશ્રમ વિશ્વનાથે ઈ.સ. ૧૯૮૧માં રાજુલા સ્થાપ્યું હતું. આજે આ આશ્રમને ૩૦ વર્ષ પૂરાં થયાં. વિશ્વનાથજીની આયુ અત્યારે ૫૫ વર્ષની છે. આટલી ઉંમર હોવા છતાં વિશ્વનાથ સદા ખુશ-મિજાજી, નિખાલસ, સહજ તેમજ સેવાભાવી હતા. તેમનો જન્મ મહુવા તાલુકાનાં દેવળીયા નામના ગામડામાં થયો હતો. બાળપણથી તેઓ પ્રભાવી વ્યકતિત્વ ધરાવનાર હતા. વીસ વર્ષની આયુમાં તો પોતાના ગામના યુવાન સરપંચ બન્યા. ધીમે-ધીમે તેઓ સરકારી કામોમાં, લોકોના કામોમાં તેમજ નિરાધાર, નિસહાય લોકોની મદદ કરવામાં આગળ રહેવા લાગ્યા. તેમની આવી મિલનસાર પ્રવૃતિને કારણે આજે તેઓ કલેક્ટરની પદવી પર પહોંચી ગયા છે. તેમનું સપનું હતું કે તે એવી સંસ્થા ઊભી કરે કે જે અનાથ બાળકો છે તેને એક સારી જિંદગી આપે. આથી જ તેઓએ ‘સુમન - છાવની’ નામનું એક અનાથાશ્રમ ઊભું કર્યું.
આવા એક આઝાદ વાતાવરણના આશ્રમમાં એવી છોકરીનો પ્રવેશ થાય છે કે જે જિંદગીથી હતાશ થઈ, હાર માની જીવનની એક ભારરૂપ સંવેદનાનો અનુભવ કરે છે. તેની ઉંમર અત્યારે ૧૭ - ૧૮ વર્ષની હશે. તેના અજીબ વ્યવહારના કારણે જ પહેલા આશ્રમના ટ્રસ્ટીઓએ અહી ‘સુમન - છાવની’ આશ્રમમાં સેવા કરવા માટે મોકલી દીધી હતી. પણ તે હજુ આ વાતાવરણમાં ગોઠવાઈ ન હતી.
મહેક વિશે વિચારતા વિશ્વનાથજી મનમાં જ બોલે છે.
“આ છોકરીને જોઈ મને મારા એ દિવસો યાદ આવે છે કે જ્યારે હું આ ઉંમરનો હતો, ત્યારે મારી અવસ્થા પણ આવી જ હતી. જેમાં મેં જીવનની ઉદાસીતાનો અનુભવ કર્યો છે, એને અહીં ફરી જીવંત થતો જોઉ છું. આજે આટલા વર્ષો પછી અતિતની એ સ્મૃતિઓ ફરી પ્રત્યક્ષ જોઉં છું. ફરક માત્ર એટલો જ છે કે ત્યારે પાત્ર હું હતો અને આજે આ...”
વ્યક્તિ જ્યારે પોતાના પ્રતિબિંબને અરીસામાં જોવે છે ત્યારે જે સહજતા તે અનુભવી શકે છે ત્યારે તેની મુલાકાત ખુદ એવી છાયા સાથે થાય છે જે હકીકતમાં સ્વયંમાં છુપાયેલું પોતાનું અસ્તિત્વ છે. આવ જ અનુભવને અત્યારે વિશ્વનાથજી અનુભવે છે. તેની અધીરતા વધતી જાય છે, પોતાના અંગોમાં એક તલપ આવતી જોવે છે અને તેના પગની ગતિ બગીચા તરફ આગળ વધે છે.
ખુલ્લા મેદાનમાં બેઠી મહેક આજુબાજુ ખીલેલા ફૂલો, તેની છાયાઓને નિહાળે છે અને વિચારે છે – “આ ફૂલો સાથે મારો સંબંધ ક્યાં સુધી છે. જેમ આ ફૂલો સહજતાથી, મુક્ત મને ખીલે છે, શું મારા અસ્તિત્વની પણ એક છાયા હશે? મારા માટે જીવન એક અનાથ જ છે. મારી પાસે તો કઈ જ નથી. નથી કોઈ પિતાની છાયા, કે નથી માતાની મમતા. જીવનમાં જે મમતાની, જે સ્નેહની મેં આશા રાખી તેને હું આજે દમ તોડતા જોઉં છું. બસ એટલી જ મારી ઓળખ... બીજું કઈ નથી. શું હું પણ એક નિખાલસ ફૂલની માફક જીવન ન જીવી શકું? મારા રહેવા-ન-રહેવાથી શું ફરક પડવાનો છે? જિંદગીની જે તલાશમાં હું નીકળવા માંગું છું ત્યાં દૂર સુધી માત્ર દરિયો જ છે. ક્યાય કિનારો નથી. મઝધારમાં મારી નૌકા ડૂબવાને આરે છે. અને હું ડૂબતી જાઉં છું. બસ ડૂબતી જાઉં છું...”
વિશ્વનાથ પાછળથી આવી કહે છે – “કેમ શું થયું દીકરી! તું અહીં કેમ બેઠી છે?”
“ઓ, સરજી આપ!” – અચાનક મહેક ઝબકી જાય છે અને કહે છે – “બસ, એમ જ.”
“કુદરતની સુંદરતા નિહાળે છે.” – વિશ્વનાથજી
“ખબર નહીં મારા માટે આ સુંદરતા છે કે બીજું કઈ...?”
“મતલબ હું સમજ્યો નહીં.”
“સવાર આવી સાંજ થતી જાય છે,
દ્રશ્ય આ નિહાળતા જિંદગી ડૂબતી જાય છે.”
મહેકના મોઢે આ સાંભળી વિશ્વનાથજી આશ્ચર્ય પામે છે અને તેઓ કહે છે – “તું કાવ્ય પણ બોલે છે, તને સાહિત્યમાં રસ છે! આવું દર્દ મને તારા જીવનનું સત્ય બતાવે છે.”
“બસ, આ તો આ કુદરતની છાયાનો થોડો પ્રભાવ છે, બીજું કઈ નથી.” – પોતાના અધૂરાપણાંને છુપાવતી મહેક શબ્દો સાથે યુધ્ધ કરવા લાગે છે. વાતને પલટતા તે કહે છે; “તમારે કંઈ કામ હતું મારૂં, બોલો ને.”
“વાતને બદલવાની કોશિશ ન કર. મેં તને એક પ્રશ્ન કર્યો છે કે શું તું લેખન કરે છે?” મહેક ચૂપ રહે છે.
“જો તું નથી કહેવા માંગી તો કંઈ નહીં પરંતુ મારી વાત પર વિચાર કરજે.” - વિશ્વનાથ
વિશ્વનાથ અને મહેકની વારંવાર મુલાકાત થવા લાગે છે. રોજ કોઈના કોઈ બાબતે તેઓ મહેકના મોઢે તેનામાં રહેલી શક્તિને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા પરંતુ મહેકની માનસિકતા હજી પણ એ જ હતી.
“તને ખબર છે ફૂલો કેમ ખીલે છે?” – આ સાંભળી મહેક વિશ્વનાથજીની સામે જોવે છે.
“નહિ, તું નથી જાણતી કે ફૂલ કેમ ખીલે છે, બીજી વાત પૂછું, - સર્જન કેમ થાય છે?”
“કોઈ એવી શક્તિ કે જે પ્રબળ બની પ્રવાહિત થાય છે અને કોઈ એવો પ્રકાશ તેમાં પ્રાણ પૂરી સહજ પ્રગટ થાય છે અને સર્જન થાય છે.”
“જો આ તારો જવાબ છે તો મને લાગે છે તું તારી જિંદગીને ઓળખી જ નથી શકી.”
“મતલબ!” – મહેક
“મતલબ, જેમ તને લાગે છે કે ફૂલો ખીલે છે અને કરમાઈ છે. તેનાથી કોઈને ફરક નથી પડતો પરંતુ તને ખબર છે તે છતાં એ ખીલે છે, કારણ એટલું જ તે તેની સહજ પ્રક્રિયા છે કે જે સર્જન પામી પૂરી દુનિયાને સુવાસિત કરે છે. ‘જો એક સ્ત્રીમાં તેના જાતિય સંબંધથી બીજ રોપાઈ છે તેને વિકસિત થવામાં કેટલો સમય લાગે છે – નવ મહિના. આ નવ મહિનામાં તે બીજ ધીમે-ધીમે બાળક બનશે, તેનું પોષણ થશે, તે પરિપક્વ બનશે, આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી માતાને જ્યારે પ્રસવપીડા થાય છે ત્યારે જે નવ મહિનાની પીડા હતી તે બાળકનો જન્મ થતાં ગાયબ થઈ જાય છે.”
“તમે કહેવા શું માંગો છો?”
“એટલું જ મહેક કે તારામાં એવી શક્તિ રહેલી છે જે તું ઓળખી શકી નથી.”
“ખુદને પ્રગટ કરવા માટે પણ એક લગન જોઈએ જે મારી પાસે નથી.”
“કોણ કહે છે કે તારી પાસે એ નથી. કદાચ તું પોતે નજરઅંદાઝ કરે છે. હું તને કહું છું, તને ગર્વ થવો જોઈએ કે તારી પાસે એ વસ્તુ છે જે સદીયો સુધી અમર રહેશે. આ માનવ તો મટી જશે તું નહીં રહે, હું નહીં રહું, પરંતુ તારું સર્જન સદીયો સુધી અમર બની રહેશે.”
વિશ્વનાથજીની આ વાતો મહેકના અસ્તિત્વને હલાવી મૂકે છે અને તે ખુદને ઓળખવાના પ્રયત્ન કરવા લાગે છે. ધીમે – ધીમે તેના સ્વભાવમાં ફેરફાર થાય છે, તે લોકો જોડે સંપર્કમાં આવે છે, તેની પીડાઓ જાણે છે, તેની સેવા કરે છે અને સાથે – સાથે પોતાના લેખન કાર્યમાં આગળ વધે છે. વિશ્વનાથજી તેની મદદ કરે છે. તેની રચનાઓ પ્રકાશિત થવા લાગે છે. લોકો તેનાથી પરિચિત બને છે. સમય પસાર થાય છે અને ત્રણ વર્ષ વીતી જાય છે. આ દરમ્યાન મહેકની મહેક માનવના બગીચામાં ફેલાવા લાગે છે. ફૂલની સરળ મુસ્કાન મહેકમાં આવવા લાગે છે. પોતાના અસ્તિત્વની વ્યાખ્યા હવે તે સરળ, સરસ અને સહજ પણે કરી શકે છે. દુનિયાના આવા તારલાઓ પાછળ અકસર કહેવાય છે કે અનેક બીજા અદશ્ય તારાઓ ભાગ ભજવે છે. એવાજ એક તારલામાં મહેકના પ્રસરવામાં વિશ્વનાથજી છે. મહેકને દુનિયાને મહેકાવતી જોઈ વિશ્વનાથજીને અદભુત આનંદનો અહેસાસ થાય છે. આ મહેક હવે અવિરતપણે અને વિરાટ રૂપે મહેકતી રહેશે....
“મળી જાય છે નયનોને દશ્ય,
અરીસો બતાવે છે જયારે કોઈ,
વિશ્વ પણ તેના માટે બને કાવ્ય,
મહેકની એ મહેકમાં આજેય છે કોઈ.”